ભરૂચ, તા. ૨૯
ભરૂચની સોન તલાવડી ઝૂંપડપટ્ટીમાં આજરોજ સવારે ગટરનો સ્લેબ તૂટી જવાના કારણે બે સગર્ભા ગાયો ખુલ્લી ગટરમાં પડી ગઈ હતી. જો કે જીવદયા પ્રેમીઓ અને ફાયર ફાયટરોની બે કલાકની મહેનત બાદ બંને ગાયોને સહી સલામત બહાર કઢાઈ હતી. ત્યારે ફરીવાર નગર પાલિકાની તકલાદી કામગીરીનો નમુનો જોવા મળતા સ્થાનિક લોકોએ તંત્ર સામે રોષ વ્યકત કર્યો હતો.
- બે કલાકની મહામહેનત પછી સગર્ભા ગાયોને સહી સલામત બહાર કઢાઈ
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ નગર પાલિકાના વોર્ડ નં. ૫ માં આવેલ સોન તલાવડી ઝૂંપડપટ્ટીમાં નગર પાલિકાના કોન્ટ્રાકટરની તકલાદી કામગીરીને કારણે ગટર પરનો સ્લેબ તૂટી ગયો હતો. જેના કારણે આજરોજ બે સગર્ભા ગાયો આ ખુલ્લી ગટરમાં પડી જતા અફડાતફડી મચી જવા પામી હતી. ઘટનાની જાણ ફાયર ફાયટરોને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જીવદયા પ્રેમી અનિલ મહેતા અને તેમની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી બંનેએ સંયુકત પ્રયાસ હાથ ધર્યા હતા. ગટરમાં ગંદકીના કારણે ગાયો ગટરમાં ઉંડે સુધી ખૂંપી ગઈ હતી. તેમજ બંને ગાયો સગર્ભા હોવાના કારણે બંને ગાયોને સલામત બહાર કાઢવી એ ફાયર ફાયટરો અને જીવદયા પ્રેમીઓ માટે પડકારરૂપ હતું પરંતુ બે કલાકની જહેમત બાદ બંને ગાયોને બહાર કઢાતા નજારો જોવા ઉભેલા લોકટોળાએ તાળીઓના ગડગડાટ સાથે બચાવ કામગીરીને વધાવી લીધી હતી. પરંતુ આક્રોશ પણ ઠાલવ્યો હતો કે નગર પાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના ખાઈ બદેલા અધિકારીઓ કોઈપણ જાતની કામગીરી કરવા તૈયાર નથી. આજે ગાયો પડી છે તો કાલે કોઈ વ્યકિત પણ પડી શકે છે? તો કોઈ જાનહાની સર્જાશે તો તેની જવાબદારી કોની રહેશે?