નવી દિલ્હી, તા. ૨૯
દેશના જે જજીસ સામે કાયદામંત્રાલયને ફરિયાદો મળી છે તેવા જજીસનાં નામો જાહેર કરવા માટે સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશન દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જે જજીસ સામે ફરિયાદો મળી હોય તેવી ફરિયાદો તેના ફોરર્વિંડગ લેટર્સ સાથે જાહેર કરવા સીઆઈસીએ કાયદામંત્રાલયને આદેશ આપ્યો છે.
આરટીઆઈ કાર્યકર્તાની અરજીના સંદર્ભમાં કાયદામંત્રાલયને આદેશ
મંત્રાલયે અગાઉ એવો દાવો કર્યો હતો કે આવી ફરિયાદો જે તે કિસ્સામાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તેમજ ચીફ જસ્ટિસ ઓફ હાઈકોર્ટને મોકલવામાં આવતી હોવાથી તે આવી ફરિયાદોની નકલો આપી શકે તેમ નથી. મંત્રાલયના અધિકારીઓ દ્વારા આવી ફરિયાદોનો રેકોર્ડ રાખવામાં આવતો નથી તેવી ચોખવટ પણ મંત્રાલયે કરી હતી.
આ સંદર્ભમાં આરટીઆઈ કાર્યકર્તા સુભાષ અગ્રવાલની અરજીને ધ્યાનમાં લેતાં સીઆઈસીએ આવા પત્રો અને ફરિયાદો જાહેર કરવાની માગણીને વાજબી ગણાવી હતી. છેલ્લા એક વર્ષમાં આવી જે કોઈ ફરિયાદો મળી હોય તેને તત્કાળ જાહેર કરવાનો સીઆઈસીએ આદેશ આપ્યો હતો, આ ઉપરાંત કાયદામંત્રાલયના અધિકારીઓને છેલ્લાં ત્રણ વર્ષનો ટ્રેક રેકોર્ડ શોધવા અને અરજદારને તે માહિતી પૂરી પાડવા પણ આદેશ અપાયો હતો.
માહિતી કમિશનર સુષ્માસિંહે મંત્રાલયને આદેશ આપ્યો હતો કે તેમણે જજીસ સામેની આવી ફરિયાદોનો હવેથી ટ્રેક રેકોર્ડ રાખવો અને જ્યારે જ્યારે અરજદાર માગે ત્યારે તેમને આપવો.