રાજકોટ તા. ૨૯,
જયોતિષશાસ્ત્રમાં ખુબજ મહત્વ ધરાવતા ગુરૂ ગ્રહનો આગામી તા.૧લી મે થી અસ્ત (લોપ) થતો હોવાથી આગામી તા. ૨૮મી મે સુધી માંગલિક કાર્યો પર રોક આવી જશે. ગુરૂના અસ્ત પછી શુક્રનો પણ અસ્તકાળ આવતો હોવાથી લગ્નના શુભમુહુર્ત છેક ૨૪મી જુનથી શરૂ થશે.
- લગ્ન સગાઈ અને અન્ય કાર્યોમાં ગુરૂ પ્રાબલ્યનું મહત્વ
જાણીતા જયોતિષ વસંતલાલ પોપટના જણાવ્યા મુજબ બૃહસ્પતિ (ગુરૂ) દેવોના પણ ગુરૂ સ્થાને છે. જે વિદ્યા સંતાન જ્ઞાન, પરિવાર લગ્ન, વિસ્તરણ, શુભત્વ.ધન સોનું ર્કિિત,ના પ્રદાતા છે. જેનો તા. ૧ મે થી ૨૮ મે સુધી અસ્ત થાય છે જેના કારણે શાસ્ત્રોકત આજ્ઞા મુજબ માંગલિક કાર્યો થઈ શકતા નથી. જેમાં લગ્ન જનોઈ, વાસ્તુકાર્ય, પ્રથમવારની યાત્રા, ખાતપૂજન વિગેરેનો સમાવેશ થાય છે. જયારે દરરોજની મુસાફરી, દૈનિક સાધના ઉપાસના મહાપુજા, જુના મકાનમાં રીપેરિંગ, નવા કપડા બનાવવા કે ઉપયોગ કરવો, સ્ત્રીનો પ્રથમવાર શ્વસુરગૃહપ્રવેશ, સિમંત , ચાતુર્માસ વ્રત , બાળકને અન્નપ્રાશનને કોઈ બાધ નથી. ઉલ્લેખનીય છે કે ગુરૂના અને શુક્રના અસ્તમાં લગ્ન થઈ શકતા નથી. ગુરૂનો તા. ૨૮મી મેએ ઉદય થાય છે પણ તા. ૧ લી જુનથી શુક્રનો અસ્ત થાય છે. આથી એમાં પણ લગ્ન થાય નહીં લગ્નનું પહેલુ મુહુર્ત તા.૨૪મી જુન એટલે કે અષાઢ સુદ પ ને રવિવારથી લગ્નો થઈ શકે આ દિવસ એ લગ્ન માટેનું પહેલુ મુહુર્ત આવે છે.