સુરત, તા. ૨૯
છઠ્ઠી મેના રોજ ઉધનાના બીઆરસી મેદાન પર યોજાનારું બિહારી મહાસંમેલન બિનરાજકીય હોવાનો પરપોટો ફૂટી ગયો છે. બિહારી મહાસંમેલનને સફળ બનાવવા માટે વોર્ડ દીઠ એક એક હજાર માણસો લાવવા ભાજપના કોર્પોરેટરોને આદેશ આપવામાં આવ્યો છે. કતારગામમાં પાટીદાર મહાસંમેલન અને વરાછામાં બ્રહ્મ સમાજના મહાસંમેલનના ફિયાસ્કા બાદ બિહારી મહાસંમેલનનો ફિયાસ્કો નહીં થાય એ માટે શહેર ભાજપ સંગઠન મેદાનમાં ઉતર્યું છે.
- છઠ્ઠીએ મુખ્ય પ્રધાનની ઉપસ્થિતિમાં મળનારું બિહારી મહાસંમેલન બિનરાજકીય હોવાનો પરપોટ ફૂટયો
- પાટીદાર અને બ્રહ્મ સમાજના મહાસંમેલનનો ફિયાસ્કો થતા બિહારી મહાસંમેલન માટે ભાજપ મેદાનમાં
છઠ્ઠી મેના રોજ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિમાં બિહાર ઝારખંડથી આવેલા લોકોનું મહાસંમેલન યોજવામાં આવ્યું છે. આ મહાસંમેલનને સફળ બનાવવા માટે શહેર ભાજપનું સંગઠન ખુલ્લેઆમ બહાર આવ્યું છે. શહેર ભાજપના ૩૮ વોર્ડના પ્રમુખ, મહામંત્રી તથા ૯૮ કોર્પોરેટરોની એક બેઠક ખંભાતી પંચની વાડીમાં બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં બિહારી મહાસંમેલનને લગતા સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું. બિહારી મહાસંમેલન ઉધના વિસ્તારમાં યોજાવાનું છે જેને પગલે ઉધના સિવાયના દરેક વોર્ડના કોર્પોરેટરને બિહારી મહાસંમેલનમાં એક એક હજાર માણસો અને ઉધનાના કોર્પોરેટરોને એક હજાર કરતા વધારે માણસો લાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. છઠ્ઠી મેના રોજ બિહારી મહાસંમેલન ઉપરાંત પરવટ વિસ્તારમાં તેલુગુ સમાજના કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન હાજર રહેવાના છે. શહેર ભાજપની બેઠકમાં કોર્પોરેટરો અને વોર્ડ પ્રમુખ મહામંત્રીઓને ફકત બિહારી મહાસંમેલનમાં માણસો લાવવા સૂચના આપવામાં આવી હતી. તેલુગુ સમાજના કાર્યક્રમમાં માણસો લાવવાની કોઇ સૂચના કાર્યકરોને અપાઇ નથી.
સુરતમાં અંદાજે ત્રણ લાખ બિહારીઓ વસવાટ કરે છે. બિહાર વિકાસ પરિષદ સુરત વસતા બિહારી સમાજનું સૌથી મોટું સંગઠન છે. છઠ્ઠી મેના રોજ યોજાનારા બિહારી મહાસંમેલનના આયોજનમાં બિહાર વિકાસ પરિષદ જોડાઇ નથી. બે વર્ષ પહેલા ભાજપમાં જોડાયેલા અજય ચૌધરીએ રાતોરાત ઊભી કરેલી બિહાર ઝારખંડ સેવા સમિતિના નેજા હેઠળ છઠ્ઠી મેના રોજ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અજય ચૌધરી શહેર ભાજપના ભાષાભાષી સેલના કન્વીનર છે. છેલ્લા એક મહિનામાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં શહેરમાં ત્રણ મોટા સંમેલનો યોજાયાં છે.
લિંબાયતમાં ઉત્તર ભારતીય મહાસંમેલનને સફળ બનાવવા માટે શહેર ભાજપનું સંગઠન સક્રિય રહ્યું હતું જ્યારે કતારગામમાં પાટીદાર મહાસંમેલન અને વરાછામાં બ્રહ્મ સમાજના મહાસંમેલનના આયોજનમાં શહેર ભાજપ સંગઠન સીધી રીતે ક્યાંય ચિત્રમાં રહ્યું નહોતું. આ ત્રણેય મહાસંમેલનો પૈકી ઉત્તર ભારતીય મહાસંમેલનને અભુતપૂર્વ સફળતા મળી હતી જ્યારે બાકીના બે સંમેલનો એક યા બીજા કારણોસર ફલોપ શો પુરવાર થયા હતા. બિહારી મહાસંમેલન ફારસરુપ નહીં બને તે માટે શહેર ભાજપના સંગઠનની તાકાત કામે લગાડવાનો નિર્ણય લેવાયો છે. શહેર ભાજપ તરફથી મહાસંમેલનને સફળ બનાવવા માટે વિધિવત રીતે બેઠક બોલાવવામાં આવતા બિનરાજકીય મહાસંમેલનનો દાવો પોકળ પુરવાર થયો છે.