સુરત, તા. ૨૯
શહેરમાં સિમેન્ટ કોંક્રીટના રસ્તા બનાવવાનો કોન્ટ્રાકટ મેળવનાર રોહિત ઇન્ફ્રા પ્રોજેકટ નામના ઇજારદારે છ છ મહિનાથી કામગીરી શરૂ નહીં કરતા પાલિકાએ કોન્ટ્રાકટ ર્ટિમનેટ કરી ઇજારદારને પાંચ વર્ષ માટે કાળી યાદીમા ચૂંટાયેલી પાંખની મંજૂરી માંગી છે. સીસી રોડના પેકેજ પાંચ હેઠળ રૂ.૪૬.૬૮ કરોડનો મોટો કોન્ટ્રાકટ મેળવનાર ઇજારદારને કામગીરીમાં રસ નહીં હોવાથી પાલિકાએ નાછૂટકે આકરા પગલાં ભરવાનો નિર્ણય લીધો છે. રોડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ અંતર્ગત સીસી રોડના પેકેજ એકથી ચારના કામો ટેન્ડરની સમયમર્યાદા કરતા મોડા પૂરાં થયાં હતાં. સીસી રોડની કામગીરી સમયસર પૂરી કરાવવામાં વિભાગ સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હતો જ્યારે પેકેજ પાંચની કામગીરી તો શરૂ સુદ્ધાં થઇ શકી નહોતી.
- સીસી રોડનો રૂ.૪૭ કરોડનો કોન્ટ્રાકટ મેળવનાર ઇજારદારને કામગીરીમાં રસ નથી
- છ મહિને પણ કામગીરી શરૂ નહીં થતા ઇજારદાર સામે આકરા પગલાં ભરવા મંજૂરી મંગાઈ
સુરત ડુમસ રોડ પર રુંઢ હવેલીથી એરપોર્ટ સુધી, અડાજણ હજીરા રોડ પર રાજહંસ મલ્ટિપ્લેકસથી શહેરની નવી હદ સુધી તથા સુરત બારડોલી રોડ પર પૂણા ફલાયઓવર બ્રિજ એપ્રોચથી શહેરની નવી હદ સુધીના માર્ગને સિમેન્ટ કાંક્રીટના રોડમાં ફેરવવા માટે સ્થાયી સમિતિએ રોહિત ઇન્ફ્રા પ્રોજેકટને અંદાજિત રકમ રૂ.૫૩.૦૮ કરોડથી ૧૨.૦૬ ટકા નીચા રૂ.૪૬.૬૮ કરોડના ખર્ચે ૨૨-૯-૧૧ના રોજ કામગીરી સોંપી હતી. ઇજારદારે ચોમાસા સિવાય ૧૫ માસમાં સીસી રોડની કામગીરી પૂરી કરી દેવાની હતી. પહેલા છ માસમાં ઇજારદારે કામગીરી શરૂ પણ કરી નથી. વર્કઓર્ડર મળ્યા બાદ ઇજારદારે ટેકનિકલ સ્ટાફ મૂકવાથી માંડીને પ્લાન્ટ શરૂ કરવા સુધીની કામગીરી કરવાની હતી, પરંતુ પાલિકાના અનેક પ્રયાસો છતાં ઇજારદારે કામગીરી હાથ ધરવામાં કોઇ રસ દાખવ્યો નથી.
રોડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે છ મહિનામાં છ કરતા વધુ વખત ઇજારદારને શોકોઝ નોટિસ પાઠવી છે. સિટી ઇજનેર લેવલે વખતોવખત ઇજારદારને રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા.
છ મહિના પૂરાં થયા બાદ ઇજારદારે કામગીરી શરૂ કરવામાં કોઇ રસ નહીં દાખવતા પાલિકાએ લાલ આંખ કરી ઇજારદારને પાંચ વર્ષ માટે બ્લેક લિસ્ટ કરવા, સિક્યુરિટી ડિપોઝીટ રૂ. ૯૩ લાખ જપ્ત કરવા તથા ઇજારદારના ખર્ચે કામગીરી પૂરી કરાવવાનો નિર્ણય લીધો છે. ટેન્ડરની શરત મુજબ કામગીરીમાં પ્રગતિ નહીં જાળવવા બદલ પાલિકા કોન્ટ્રાકટ વેલ્યુની ૦.૨ ટકા પ્રતિદિન લેખે પેનલ્ટી વસૂલી શકે છે. આ ઉપરાંત આ કામગીરી માટે નવેસરથી ટેન્ડર મંગાવવાનો સંપૂર્ણ ખર્ચ ઇજારદાર પાસેથી વસૂલાઇ શકે છે. ઇજારદાર સામે પગલાં ભરવા માટે વહીવટી તંત્રએ સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરી દીધી છે.