સુરત, તા. ૨૯
સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જરૂરી એવી AIEEEની પરીક્ષા રવિવારે સુરતના ૩૫ સેન્ટરો પર યોજાઇ હતી. દરમિયાન ૩૦ હજાર વિદ્યાર્થીઓએ AIEEEની પરીક્ષા આપી હતી. પરીક્ષાને લઇને પહેલેથી પરીક્ષા ક્રમ નંબર અને વર્ગખંડની કરાયેલી વ્યવસ્થાને પગલે રવિવારે સવારે વિદ્યાર્થીઓ વાલીઓ સાથે સેન્ટર પર પહોંચી ગયા હતા. નોંધનીય છે કે, ગયા વર્ષની સરખામણીએ સુરતમાં ચાલુ વર્ષે સેન્ટરોની સંખ્યા વધારીને ૩૫ કરી દેવામાં આવી હતી. જ્યારે સુરતમાં યોજાયેલી પરીક્ષામાં સમગ્ર દક્ષિણ ગુજરાત સિવાય અન્ય શહેરોમાંથી પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં છૈંઈઈઈની પરીક્ષા સંપન્ન થઇ હતી.
- ગયા વર્ષે ૧૫ સેન્ટરો સામે રવિવારે ૩૫ સેન્ટરો પર પરીક્ષા
૨૦૧૨ની સાલમાં AIEEEની પરીક્ષાને લઇને કેટલાક મહત્ત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. ઓનલાઇન અને ઓફલાઇન પરીક્ષાને લઇને વિદ્યાર્થીઓને આગોતરી જાણકારી આપી દેવાઇ હતી અને સેન્ટરોની જાહેરાત કરી દેવામાં આવી હતી, જેને પગલે વિદ્યાર્થીઓએ સંપૂર્ણ તૈયારી સાથે રવિવારે દેશભરમાં AIEEEની પરીક્ષા આપી હતી. સુરતમાં પણ ઠેરઠેર ૩૫ સેન્ટરો પર પરીક્ષાઓ યોજવામાં આવી હતી. ઉપરાંત, ચાલુ વર્ષે શરૂ કરવામાં આવેલી ઓનલાઇન પરીક્ષાને અંતર્ગત ગુજરાતમાં એકમાત્ર અમદાવાદને ઓનલાઇન પરીક્ષાનું સેન્ટર ફાળવવામાં આવ્યું હતંુ. આ સિવાય સુરત અને વડોદરાને ઓફલાઇન પરીક્ષાના સેન્ટરો ફાળવવામાં આવ્યાં હતાં. અમદાવાદમાં ઓનલાઇન પરીક્ષાના સેન્ટરો હોવાને કારણે સુરત અને વડોદરામાં દર વર્ષે ફાળવણી કરવામાં આવતા ઓફલાઇન સેન્ટરોની સંખ્યા વધારી દેવામાં આવી હતી.
ગયા વર્ષે સુરતમાં AIEEEના ૧૫ સેન્ટરો હતાં, તે સામે ચાલુ વર્ષે ઓનલાઇન-ઓફલાઇન સેન્ટરોને અલગ અલગ શહેરોમાં ફાળવી દેવાતા સુરતમાં સેન્ટરોની સંખ્યામાં ૨૦નો વધારો કરી દેવાયો હતો. દરમિયાન સુરતમાં રાજકોટ તેમજ ઉત્તર ગુજરાતના અન્ય શહેરોમાંથી પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા હતા. ગુજરાતમાં એક લાખ અને દેશભરમાં ૧૭ લાખ વિદ્યાર્થીઓ AIEEEની પરીક્ષા આપી રહ્યા છે ત્યારે સુરતમાં ૩૦ હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જે પૈકી ભૂલકા ભવનમાં સૌથી વધુ ૪૮૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ઉપરાંત, પરીક્ષા દરમિયાન ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં આવેલા સેન્ટરમાં આઇઆઇટીના ત્રણ વિદ્યાર્થીઓ ડમી પકડાયા હતા, જેની અસર દેશના તમામ સેન્ટરો પર જોવા મળી હતી. પરીક્ષાનું મહત્ત્વ વધારવા માટે પરીક્ષા ફરીવાર લેવાનો ઊહાપોહ પણ થયો હતો, તેમ છતાં પરીક્ષા ફરીથી લેવા માટે કોઇ ફેરવિચારણા કરાઇ ન હતી.