ભાવનગર તા. ર૯
વલભીપુર તાલુકાના નસીતપર ગામે રહેતી એક સાત વર્ષની બાળા પર થોડા દિવસ પૂર્વે આજ ગામના એક સગીરે એકલતાનો લાભ લઈ બળાત્કાર ગુજારર્યા હોવાની ફરીયાદ ગઈકાલે વલભીપુર પોલીસ મથકમાં નોંધાય હતી. આ ઘટના બાદ સગીર ફરાર થઈ ગયો હતો. આ સગીરને આજરોજ ક્રાઈમ બ્રાંચની ટીમે વલભીપુર પાસેથી ઝડપી લીધો હતો. ભાવનગરની સરકારી હોસ્પિટલમાં સગીરની મેડીકલ તપાસ કરવામાં આવી રહી છે.
- ૧૬ વર્ષના સગીરે એકલતાનો લાભ લઈ સાત વર્ષની બાળાને પીખીં નાખી હતી
- ભાવનગરની હોસ્પિટલમાં સગીરની મેડીકલ તપાસ કરાઈ
મળતી વિગતો મુજબ, વલભીપુર તાલુકાના નસીતપર ગામે રહેતી બાબર જ્ઞાતિની સાત વર્ષની માસુમ બાળા ગત તા.રપ એપ્રિલે તેના ઘરે માતા સાથે હતી ત્યારે આજ ગામમાં રહેતો એક ૧૬ વર્ષનો કોળી જ્ઞાતિનો સગીર ઘરે આવ્યો હતો અને બાળાની માતાને કહેલ કે તમને તમારા પતિ પૈસા લઈ દુકાને બોલાવે છે, તેથી બાળાની માતા તેને ઘરે એકલી મુકી પોતાના પતિને પૈસા આપવા જતા એકલતાનો લાભ લઈ સગીરે બાળા પર બળાત્કાર ગુજારયો હતો. નરાધમનો શિકાર બનેલી ભોગગ્રસ્ત બાળાએ તેની સાથે બનેલી ઘટનાની જાણ તેના માતા-પિતાને કરતા તેઓ ચોંકી ઉઠયાં હતાં. ગામના કેટલાક આગેવાનો દ્વારા સમગ્ર ઘટનાને દબાવી દેવા પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ બાળાને દુઃખાવો ઉપડતા તેને ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને ભાંડો ફુટયો હતો. આ બાબતે સત્તાવાર ફરીયાદ નોંધાતા સગીર આરોપી ફરાર થઈ ગયો હતો.
ફરીયાદના આધારે લોકલ ક્રાઈમ બ્રાંચ અને વલભીપુર પોલીસે સગીર આરોપીને ઝડપી લેવા ચક્રોગતીમાન કર્યા હતાં. આજે રવિવારે સવારે ૧૦ કલાકના સમય આસપાસ ક્રાઈમ બ્રાંચની એક ટીમ વલભીપુરના અયોધ્યાપુરમ પાસે પેટ્રોલીંગમાં હતી ત્યારે સગીર સુરતની બસમાં આવી ત્યાં ઉતરતા પોલીસે તેને ઝડપી લીધો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમે સગીરને વલભીપુર પોલીસને સોંપી દીધો હતો. આ બાબતે વલભીપુર પોલીસના પીએસઆઈ ઝાલાએ જણાવ્યું હતુ કે, સગીર આરોપીનુ મેડીકલ ચેકઅપ ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં કરાવેલ છે અને ત્યારબાદ તેને બાળ અદાલતમાં રજુ કરવામાં આવેલ છે.