ભુજ, તા.ર૯
ભુજના સંજયનગર વિસ્તારમાં નશીલા પ્રદાર્થનું વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમીના આધારે એફ.એસ.એલ. અધિકારીઓ સાથે એલ.સી.બી.એ વોચ ગોઠવી સવા બે કિલો ગાંજાના જથ્થા સાથે નીકળેલા શખસની ધરપકડ કરી સઘન પૂછપરછ હાથ ધરી છે.
- આરોપી નશીલા પદાર્થનો જથ્થો શેખપીરમાંથી લાવ્યો હોવાની કબૂલાત
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ એલ.સી.બી.ના પી.આઈ. મલ્હોત્રાને એવી હકીકત મળી હતી કે, સંજયનગર વિસ્તારમાં રહેતો શખસ નશીલા પદાર્થનો જથ્થો લઈને આવી રહ્યો છે.
ચોક્કસ બાતમીના આધારે એલ.સી બીનો સ્ટાફ અને એફ.એસ.એલ.ના અધિકારીઓએ સંજયનગર ગીતા માર્કેટ પાસે વોચ ગોઠવી હતી.
દરમિયાન શંકાસ્પદ હાલતમાં નીકળેલા સંજયનગરમાં રહેતા સુલેમાન ઈબ્રાહીમ બલોચ (ઉ.પ૦) નામના શખસની અટકાયત કરી તલાશી લેતાં તેની પાસે રહેલી થેલી માંથી ર કિલો અને ૧૭૦ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. એફ.એસ.એલ.ના અધિકારીઓએ નશીલા પદાર્થની ખરાઈ કર્યા બાદ પોલીસે આરોપી સામે એન.ડી.પી. એસ. એકટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકઠડ કરી હતી. પોલીસની પૂછપરછમાં આરોપી અગાઉ દારૂના ગુનામાં પકડાઈ ચૂક્યો છે અને ગાંજાનો જથ્થો શેખપીર પાસેથી લઈ આવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે શેખપીરમાં પણ દરોડાની કાર્યવાહી શરૂ કરી છે.
આ કામગીરી એલ.સી.બી.ના પી.આઈ મલ્હોત્રા, વનરાજસિંહ ઝાલા, ગીરીશભાઈ વાણિયા, બાદલ જાડેજા, પ્રવીણભાઈ, હેમુભાઈ, હરપાલસિંહ સહિતના સ્ટાફે કરી હતી.