નવી દિલ્હી, 30 એપ્રિલ
સરકારે વિપણન વર્ષ ઓકટોબર- સપ્ટેમ્બર 2011-12માં મોટા જથ્થામાં કપાસ નિકાસને સોમવારે મંજૂરી આપી છે. આ નિર્ણય કપાસ ઉત્પાદન વધુ હોવાના અનુમાનોને ધ્યાનમાં રાખી લેવામાં આવ્યો છે.
વાણિજ્ય તેમજ ઉદ્યોગ તથા કપડા મંત્રી આનંદ શર્માએ કૃષિ મંત્રી શરદ પવારની સાથે બેઠક પછી પત્રકારોને કહ્યું કે કપાસ નિકાસ રજિસ્ટ્રેશન પરથી પ્રતિબંધ હટાવાનો નિર્ણય લીધો છે. સરકાર કપાસ નિકાસનું રજિસ્ટ્રેશન ચાલુ કરશે.
ગત મહિને સરકારે નિકાસ પરથી પ્રતિબંધ હટાવ્યો હતો પરંતુ સાથે જ નવું રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર (આરસી) જારી ન કરવાનો નિર્ણય લીધો હતો. સરકારે ફક્ત તેને જ નિકાસની મંજૂરી આપી હતી જેના માટે રજિસ્ટ્રેશન પ્રમાણ-પત્ર પાંચ માર્ચે લાગેલ પ્રતિબંધ પહેલા જારી કરવામાં આવ્યા હતા.
સંપ્રગ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહમદ પટેલ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાના નેતૃત્વમાં રાજયના કોંગ્રી સાંસદોએ તાજેતરમાં વડાપ્રધાન મનમોહન સિંહ, નાણાંપ્રધાન પ્રણવ મુખર્જી અને શર્મા સાથે મુલાકાત કરી હતી અને કપાસ નિકાસ પર પ્રતિબંધ હટાવાની માંગણી કરી હતી.
આજનો નિર્ણય પવાર દ્વારા વડાપ્રધાનને લખેલ પત્રની પૃષ્ઠભૂમિમાં પણ લેવામાં આવ્યો છે. જેમાં તેમણે કપાસ, ખાંડ અને દૂધ જેવા કેટલાક કૃષિ ઉત્પાદનો સાથે જોડાયેલ નિકાસ નીતિઓને લઈને આપત્તિ વ્યકત કરી હતી.
શર્માએ કહ્યું કે નિકાસના રજિસ્ટ્રેશન પર કોઈ માત્રાત્મક પ્રતબિંધ નહિ હોય પરંતુ મંત્રીજૂથ આવનાર બે-ત્રણ અઠવાડિયામાં સ્થિતિની સમીક્ષા કરશે. તેમણે કહ્યું કે અમે કપાસ ઉત્પાદન સંબંધમાં કૃષિ મંત્રાલયના આંકડાનો સ્વીકાર કરી લીધો છે. કપાસ પરામર્શ બોર્ડ અને કૃષિ મંત્રાલયના સંશોધિત અનુમાનના આધાર પર અમે કપાસ નિકાસના રજિસ્ટ્રેશન પરથી પ્રતિબંધ હટાવાનો નિર્ણય કર્યો છે.