નવસારી તા.૩૦
નવસારી શહેરની પ્રખ્યાત શેઠ આર જે જે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીને ટેક્સબુક વગર માત્ર નોટબુક ફરજીયાત લેવાનો આદેશ આપવામાં આવતા સોમવારે સવારે ભારે હોબાળો મચી ગયો હતો. જોકે શિક્ષણાધિકારી કચેરીની દરમિયાનગીરી બાદ વાલીઓને નોટબુક ફરજિયાત નહીં લેવાના તથા જેમણે નોટબુક લીધી હતી તેમની પાસેથી પરત લઈને તેમને રકમ પાછી આપવામાં આવી હતી.
- નવસારીમાં વાલીઓના વિરોધ વચ્ચે નોટબુકની ફી પરત કરાઈ
સોમવારે સવારે શેઠ આર જે જે પ્રાથમિક શાળાના આચાર્ય જરીનબેન કાસદની સૂચનાથી વાલીઓ પાઠયપુસ્તકો અને નોટબુક લેવા માટે પહોંચી ગયા હતા. વાલીઓના જણાવ્યા અનુસાર તેમને શાળા તરફથી જે ચીઠ્ઠી આપવામાં આવી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે રૂ. ૬૭૦ ભરવાથી પાઠયપુસ્તકો અને નોટબુક બન્ને શાળા તરફથી આપવામાં આવશે, પરંતુ સોમવારે જ્યારે ધો. ૭ સહીતના વાલીઓ શાળા પર પહોંચ્યા ત્યારે તેમને માત્ર નોટબુક કવર અને એક કલર બોક્ષ જ આપાવામાં આવ્યુ હતું અને પાઠયપુસ્તકો આપવામાં આવ્યા નહતા.
આ બાબતે જ્યારે વાલીઓએ વિરોધ કરીને પૂછપરછ કરતા શાળા તરફથી વિરોધ કરનારા વાલીઓને તેમના બાળકોના લિવીંગ સર્ટીફીકેટ લઇ લેવા માટે કહી દેવામાં આવ્યું હતું. તેને પગલે મામલો બિચક્યો હતો અને વાત છેક ડીઇઓ ઓફીસ સુધી પહોંચી હતી. જેને કારમે ડીઇઓ ઓફીસમાંથી બીપીનભાઇ પટેલ તથા નવસારી નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મધુભાઇ કથિરિયા તુરંત જ શાળા પર દોડી આવ્યા હતા.
તેમણે વાલીઓ તથા શાળાના આચાર્ય તથા ટ્રસ્ટી સાથે વાટાઘાટો કરીને વાલીઓ પાસેથી ફરજીયાત પણ નોટબુકના રૂપિયા ઉઘરાવી શકાય નહી તેને જાણ કરી હતી. જે વાલીઓ હાજર હતા તેમને સ્થળ પર જ રૂપિયા પરત કરવાનો આદેશ કરાયો હતો. જેને પગલે લગભગ ૨૦થી વધુ વાલીઓ રૂપિયા પાછા લઈ ગયા હતા. જ્યારે બાકીના વાલીઓ પણ બે દિવસ દરમિયાન નોટબુકના જે રૂપિયા ભર્યા છે તે પાછા લઈ જઇ શકશે તેમ જણાવવામાં આવ્યું હતું.