નવી દિલ્હી 1, મે
વાયુ સેનામાં પાયલોટોની હાલમાં અછત છે. 1લી એપ્રિલ 2012 સુધી પાયલોટોની સંખ્યા 3406 છે, જ્યારે તેની સ્વીકૃતિની ક્ષમતા 3783ની છે, એટલે કે કુલ ક્ષમતા કરતાં ઈન્ડિયન એરફોર્સમાં 377 પાયલોટની કમી છે. પાયલોટનાં પ્રશિક્ષણની સુવિધા હૈદરાબાદ અને યેલાહંકા ખાતે ઉપલબ્ધ છે. એરફોર્સમાં દર વર્ષે 180 થી 200 પાયલોટની ભરતી કરવામાં આવે છે.
પાયલોટોનાં કામ અને પ્રશિક્ષણ માટે સરકાર તરફથી એક સતત પ્રક્રિયા ચલાવવામાં આવી રહી છે. જેનાં પગલે સારાં પાયલોટોની ભરતી કરી શકાય. કેન્દ્રીય સરકારનાં છઠ્ઠા પગાર પંચનો પ્રસ્તાવ એરફોર્સમાં લાગુ થયા બાદ હવે તેમાં ભરતીની આશા વધી રહી છે. ઉપરાંત સરકાત તરફથી કેરિયર મેળાનું આયોજન કરવામાં આવશે, પ્રિન્ટ મીડિયા અને ટીવી પર સતત તેની જાહેરાતોનું પ્રદર્શન પણ કરવામાં આવશે. ઉપરાંત સરકાર દ્રારા શાળાઓમાં અને કોલેજોમાં એરફોર્સ પર વ્યાખ્યાન આપવાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.
પાયલોટનાં પ્રશિક્ષણ માટેનાં અભ્યાસને સિમ્યલેટર અને એડવાન્સ જેટ ટ્રેનરમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે. જુલાઈ 2011થી યુદ્ધનાં મોરચે લડનાર પાયલોટોનાં ત્રીજા સેશનમાં આ અભ્યાસ શરૂ કરવામાં આવશે, એવી સૂચના રક્ષામંત્રી એન્ટનીએ લોકસભામાં આપી હતી.