રાજકોટ તા.૧
ભારતમાંથી વાયા દુબઈ થઈને ખાસ કરીને ચાઈના અને યુરોપના દેશોમાં ગેરકાયદે નિકાસ કરાતા રકતચંદનના લાકડાની દાણચોરી કરતી ગેંગ થોડા સમય માટે શાંત થઈ ગયા બાદ ફરી સક્રિય થઈ હોય તેમ પ્રથમ મુંદરા પોર્ટ પરથી નિકાસ કરવામાં આવનાર ઓટો પાર્ટસના બનાવટી જથ્થા સાથે સ્ટફ કરવામા આવેલ રૃ.૨.૫૦ કરોડના રકતચંદનના જથ્થા સાથેનું કન્ટેઈનર આજે મુંબઈ કસ્ટમ્સની મરીન એન્ડ પ્રિવેન્ટીવ વીંગ દ્વારા ઝડપી લઈ ધનિષ્ઠ તપાસ હાથ ધરવામા આવી છે..
- બનાવટી ઓટો પાર્ટસના કારગો સાથે સ્ટફ કરવામાં આવ્યું હતું
મુંબઈ મરીન એન્ડ પ્રિવેન્ટીવ વીગના સ્ટાફને માહિતી મળી હતી કે રાજસ્થાનના કોઈ આઈ.સી.ડી.માં સ્ટફ કરવામા આવેલ બનાવટી ઓટોપાર્ટસના કન્ટેઈનરમાં રકતચંદના દાણચોરો દ્વારા રકતચંદનનો જથ્થો પણ સ્ટફ કરાયેલ છે. જયારે કન્ટેઈનર સ્ટફ કરવામા આવતું હતું ત્યારે એવું નક્કી કરાયું હતું કે, તેને મુંદરા પોર્ટ પર લઈ જવું પણ છેલ્લા કેટલાક સમયથી રકતચંદનના અનેક કેસો મુંદરા પોર્ટ પર થયા બાદ સ્થાનિક કસ્ટમ્સ એલર્ટ થઈ ગયું હતું. ફેકટરી સ્ટફ થયેલા કેન્ટેઈનરોને પણ શંકા જાય તો ખોલીને ચકાસવામા આવી રહયા છે. આથી રકતચંદનના દાણચોરોએ છેલ્લી ઘડીએ કન્ટેઈનર મુંદરાને બદલે મુંબઈ તરફ રવાના કરેલ હતું.રાજસ્થાનના આઈ.સી.ડી.માંથી મુંબઈનું ટ્રાન્સપોર્ટેશન વધી જાય પણ સામે નફાનો ગાળો બહું મોટો રહેતો હોવાથી રકત ચંદનના દાણચોરો દ્વારા કન્ટેઈનરને મુંબઈ રવાના કરવામા આવ્યું હતું અને ત્યાંથી કોઈ જહાજમાં લોડ થાય તે પહેલા મરીન એન્ડ પ્રિવેન્ટીવ વીંગના અધિકારીઓ દ્વારા કન્ટેઈનરને ઝડપી લેવામાં આવ્યું હતું અને આમાં પણ રાબેતા મુજબ નિકાસકાર પાર્ટીના નામ-સરનામા ખોટા દર્શાવવામા આવ્યા હતા.ફરીથી રકતચંદનના દાણચોરો એકટીવ થયા હોય તેમ જણાતા કસ્ટમ્સ તથા ડી.આર.આઈ.પણ હરકતમાં આવી ગયેલ છે