વાઘોડિયા,તા. ૨
વાઘોડિયા તાલુકાના જાંબુવાડા ગામે ગ્રામ પંચાયતની ગૌચર જગ્યામાંથી ૧૦ ફૂટ પહોળી નહેર ઉપર કેટલાક લીલા વૃક્ષો ઉછેરવામાં આવેલા જેમાંથી ગત રોજ મોડી સાંજે કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા ગ્રામ પંચાયતની કોઇપણ જાતની લેખિત કે મૌખિક પરવાનગી સિવાય બાવળના ૫ વૃક્ષો ખાટી આમલીના ૧ વૃક્ષ તથા લીમડાનું એક ઝાડ મળી કુલ ૭ વૃક્ષો કાપી નાખતા ભારે ચકચાર મચી છે. આ લીલા વૃક્ષોના છેંદન અંગેની જાણ ગ્રામ પંચાયતના સરપંચ નાથાભાઇ હીરાભાઇ રોહિતને થતાં તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી જઇ તપાસ કરતાં સ્થળ ઉપરથી તેમજ (નહેર ઉપર) લીલા વૃક્ષો કપાયેલી હાલતમાં નજરે પડયા હતા જેથીઆબાબતે વાઘોડિયા તાલુકા મામલતદાર ઓફિસ, તાલુકા પોલીસ સ્ટેશન, તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં અરજી આપી લીલા
વૃક્ષો કાપનારાની ધરપકડ કરી કાયદેસર પગલાં ભરવા માટે સરપંચે સરકારી અધિકારીઓને લેખિતમાં રજુઆત કરી છે. સ્થળ ઉપર ગામના સરપંચ પંહોચ્યા ત્યારે કેટલાક શખ્સો કપાયેલાં વૃક્ષોને લઇ જવાની પેરવીમાં હતા પરંતુ દુરથી સરપંચને આવતા તેઓ ફરાર થઇ ગયા હતા.
વાઘોડિયા તાલુકામાં કેટલાક વિસ્તારોમાં ગેરકાયદેસર લીલા વૂક્ષ છેદનની પ્રવૃત્તિ ચાલી રહી છે. સરકારી તંત્ર સજાગ બને તો અનેક લીલા વૃક્ષો ગેરકાયદેસર કપાતા અટકી શકે તેમ છે. સરપંચે આજે પંચો રૂબરૂ પંચકયાસ કરેલ છે.