રાજકોટ તા. ૩
હાલ અરબી સમુદ્રમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તેમજ કચ્છના માછીમારો માછીમારી કરી રહયા છે. ઓખા અને જખૌ નજીકના દરિયામાં માછીમારી ચાલુ જ છે. દરિયામાં આશરે ૧૫૦૦૦ બોટો માછીમારી કરી રહી છે. સરકારી પરિપત્ર એવો છે કે દર વર્ષે ૯ જુન પછી દરિયામાં જવાની મનાઈ કરી દેવામાં આવે છે અને સરકારી રાહે દરિયાઈ વેકેશન જાહેર કરવામાં આવે છે. પણ આ સાલ ગમે તે કારણ હોઈ અનેક માછીમારોએ સરકારે દર્શાવેલી તારીખ કરતા વહેલી માછીમારી સમેટી લઈ સ્વૈચ્છિક વેકેશન જાહેર કરી દઈ પોતાની બોટો સાગરમાંથી બંદર તરફ લાવવાની વહેલી પ્રક્રિયા ચાલુ કરી દીધી છે.
- માંગરોળમાં ૧૫૦ બોટો કિનારે લાંગરી દેવાઈ, અન્ય બંદરો પર ધીમેધીમે પરત ફરતી બોટો
એકલા માંગરોળમાં જ બંદરની જેટી પર ૧૫૦ જેટલી ફિશિંગ બોટો માછીમારોએ લાંગરી દીધી છે. આવી જ પ્રક્રિયા દરેક બંદરે ધીમી ગતિએ ચાલુ થઈ છે. જો કે, કેટલાક માછીમારોની એવી ગણતરી છે કે દરિયામાં પાકિસ્તાન મરિનની દાદાગીરી વધી છે. હવે એક માસ આડો છે ત્યાં એની અડફેટે ચડી ન જવાય એ સારૂ !
૯ જુન એટલે દરિયામાં જાહેર થતી ' ઓફ સિઝન' કહેવાય છે. એ પછી દરિયામાં ' ખરાઈ' (એટલે કે ઉંચા મોજા ઉછળવા અને પવનની ભારે થપાટો લાગવી) તેમજ દરિયામાં કરંટ ચાલુ થવો જેવું વાતાવરણ બને છે.
તેમજ નોર્મલ દરિયો થોડો તોફાની બની જાય છે. અને માછીમારી માટે વિકટ બની જાય છે. એ વખતે માછીમારો વેકેશન જાહેર કરી દરિયામાંથી બોટો બંદર પર લાવી લાંગરી દે છે. અને ઓફસિઝનમાં ધાર્મિક પ્રસંગો તેમજ બોટોનું સમારકામ કરાવે છે. નવી સિઝન પહેલા રંગ કામ કે અન્ય કામ કરાવે છે. કેટલાક માછીમારો ૨૫થી ૩૫ ટનની ભારે ખમ બોટને ક્રેઈનની મદદથી ઉંચકી દરિયાકાંઠે મુકી દે છે કે ગોડાઉનમાં મુકી દે છે. માંગરોળ ખાતે હાલ અનેક બોટો કચ્છના દરિયામાંથી પરત આવી રહી છે. અને આશરે ૧૫૦ બોટ દરિયાકિનારે લાંગરી દેવાઈ છે. દરિયા પર બોટને લાંગરવાની કામગીરી પુરજોશમાં ચાલુ થઈ છે.