અમદાવાદ, તા.૪
ગુજરાત હાઈકોર્ટે દર વર્ષે રાજ્યની નીચલી કોર્ટમાં કરવામાં આવતા ફેરફારોના સંદર્ભમાં લીધેલા એક મહત્ત્વપૂર્ણ નિર્ણયમાં રાજ્યની સેશન્સ, લેબર, મેટ્રોપોલિટન અને ડિસ્ટ્રીક્ટ કોર્ટોના ૧૧૦ જેટલા જજીસની સાગમટે બદલી કરતાં રાજ્યના ન્યાયતંત્રમાં વ્યાપક ફેરફારો થયા છે. સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, ૨૦૦૨ના રમખાણોના મામલે સુપ્રીમ કોર્ટના આદેશથી જે હત્યાકાંડના કેસ માટે ખાસ જજીસની નિમણૂંક કરી ટ્રાયલ યોજવામાં આવી રહી છે તેમાંથી હિંમતનગર નજીક પ્રાંતીજ ખાતે બે બ્રિટીશ નાગરિકની હત્યાનો કેસ અને આણંદના ઓડમાં મલાવ ભાગોળમાં ત્રણને જીવતા સળગાવવાના કેસના ટ્રાયલ જજની પણ બદલી કરવામાં આવી છે.
આણંદના ઓડ ખાતે મલાવ ભાગોળ હત્યાકાંડ કેસના ખાસ જજ શુક્રવારે તો પોતાનો ચુકાદો જાહેર કરવાના હતા ત્યારે ગુરૃવારે જ ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ જી.આર. ઉધવાણીએ પ્રસિદ્ધ કરેલા જાહેરનામાથી આણંદ જિલ્લાના એડિશનલ સેશન્સ જજ આર.એમ. સરીનને ભાવનગર જિલ્લામાં ખસેડવામાં આવ્યા છે. અલબત્ત, તેમને ૧૮મી મે સુધીમાં પોતાનો નવો ચાર્જ સંભાળવાનો હોવાથી શુક્રવારે સવારે ૧૧ વાગ્યે તેમણે મલાવ ભાગોળ હત્યાકાંડ કેસનો પોતાનો ચુકાદો જાહેર કરી દીધો હતો. જેમાં ૯ આરોપીઓને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફરમાવી હતી, જ્યારે બાકીના ૩૨ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.
- સેશન્સ, લેબર, મેટ્રોપોલિટન, ડિસ્ટ્રીક્ટ કોર્ટના જજની આંતર બદલીઓ
- ઓડ અને પ્રાંતીજ હત્યાકાંડ કેસના જજ પણ અન્યત્ર ખસેડાયા
રમખાણોના અન્ય સંવેદનશીલ કેસ - પ્રાંતીજ બ્રિટીશ નાગરિક હત્યાકાંડ કેસના ખાસ જજ અને સાબરકાંઠાના એડિશનલ સેશન્સ જજ ગીતા ગોપીની ટ્રાન્સફર અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટમાં કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, લગભગ પૂર્ણતાના આરે પહોંચેલી આ ટ્રાયલમાં તાજેતરમાં જ ખાસ સરકારી વકીલ અને મદદનીશ સરકારી વકીલોએ રાજીનામા આપતાં ટ્રાયલ રોકાયેલી રહી હતી. જ્યારે હવે ટ્રાયલ જજની બદલી થઈ છે. તેમના સ્થાને કોને નિમવામાં આવ્યા છે તે હજુ અનિશ્ચિત છે.