ઉજ્જૈન, તા. 05
જો તમે એકસાથે એક મહિનાનું પુણ્ય કમાવા ઈચ્છતા હોવ તો 5મી મેના દિવસે એટલે કે આજના દિવસે પંચાગ પ્રમાણે આ વર્ષે વૈશાખ પૂર્ણિમા આવે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે તેમ કારતક મહિનાની પૂનમનું જે માહાત્મય છે તેટલું જ માહાત્મ્ય વૈશાખ માસની પૂનમનું છે. બ્રહ્માજી આ મહિનાને 12 મહિનામાં સૌથી ઉત્તમ માસ કહ્યો છે.
આ મહિનામાં દરરોજ સૂર્યોદયથી પહેલા સ્નાન કરીને વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી પાપોનો નાશ થાય છે અને યશ કીર્તિમાં વધારો થાય છે. મૃત્યુ પછી વ્યકિતને વિષ્ણુ લોકમાં સ્થાન મળે છે. જો વ્યકિત પૂરા મહિના આ વ્રત કરવામાં સક્ષમ ન હોય તો માત્ર પૂનમ તિથિના દિવસે સૂર્યોદયથી પહેલાં પાણીમાં તલ મેળવીને સ્નાન કરવું, તલથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને તલનું દાન પણ કરવું જેનાથી એક મહિનાનું સ્નાનનું પુણ્ય મળે છે.
વૈશાખી પૂનમે તલનાં દાનનું મહત્વ
શાસ્ત્રોમાં વૈશાખ માસને ભગવાન વિષ્ણુનો પ્રિય માસ કહ્યો છે. આ માસની પૂનમ તિથિના દિવસે ભગવાન વિષ્ણુએ કચ્છપ અવતાર ધારણ કર્યો હતો. આ ણાટે આ દિવસને વિષ્ણુ ભગવાનની પૂજાનું ખાસ મહત્વ છે. આ દિવસે બ્રહ્માજીએ વિષ્ણુ ભગવાનને પ્રિય તલનું નિર્માણ કર્યું હતું .આ માટે શાસ્ત્રોમાં આ દિવસે તલનું દાન ખાસ મહત્વ રાખે છે. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે દાન કરવાથી અજાણતા થયેલ તમામ પાપ નાશ થાય છે.
મોક્ષની ઈચ્છા રાખનારે આ દિવસને વ્રત રાખીને વિષ્ણુ ભગવાનની પૂજા કરવી જોઈએ, સાંજના સમયે તલનો દીપક સળગાવીને સંધ્યા વંદના કરવી જોઈએ. બાદમાં એક પાત્રમાં પાણી ભરીને વિષ્ણુ ભગવાનને તેમાં શયન કરાવવું જોઈએ.
બૌદ્ધ ધર્મમાં વૈશાખ પૂનમનું મહત્વ
બૌદ્ધ ધર્મમાં વૈશાખ પૂનમના દિવસે ત્રિવિધ પાવન દિવસ કહેવાય છે. આ દિવસને બૌદ્ધ ધર્મને માનનાર ખૂબ શુભ અને ઉત્તમ માને છે, અને ઘરને ખૂબ શણગારતા હોય છે, આ ઉપરાંત રોશની કરે છે. આ ઉત્સવનું મુખ્ય કારણ એ છે કે આ દિવસે મહાત્મા બુદ્ધનો જન્મ થયો હતો. આ પૂનમે તેમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી અને આ દિવસે તેમનું પરિનિર્વાણ પણ થયું હતું.