ભુજ, તા.પ
ભુજ નગરપાલિકાનાં કર્મચારીઓનાં છઠ્ઠા પગાર પંચની દરખાસ્તમાં પ્રાદેશિક નિયામકની કચેરીએથી મળેલા સૂચનો અને અધૂરાશોની આજે પૂર્તતા માટે પાલિકાનાં મુખ્ય અધિકારી અને કર્મચારી અગ્રણીઓએ રાજકોટ સ્થિત પ્રાદેશિક નિયામકની કચેરીની મુલાકાત લઈ, દરખાસ્તમાં પૂર્તતા કરી હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. છઠ્ઠા પગારપંચની દરખાસ્તમાં પૂર્તતાથી મંજૂરીની પ્રક્રિયા આગળ ધપશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
- પ્રાદેશિક નિયામક સમક્ષ પૂર્તતાથી મંજૂરી કાર્યવાહી આગળ ધપશે
આ અંગે મુખ્ય અધિકારી ચેતન ડુડિયા સાથે વાત કરતાં તેમણે ઉપરોક્ત બાબતને સમર્થન આપતા કહ્યું હતું કે, ભુજ નગરપાલિકાનાં કર્મચારીઓને છઠ્ઠા પગારપંચનાં લાભો ઉપલબ્ધ થાય તે માટે પાલિકા દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી . આ દરખાસ્ત બાદ પ્રાદેશિક નિયામકની કચેરીએથી તેમાં અધૂરાશોને પૂર્ણ કરવાની તેમજ જરૃરી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ પૂર્તતા કરવા જણાવાયું હતું. જેના અનુસંધાને આજે કર્મચારી અગ્રણી હિતેન્દ્રસિંહ જાડેજા, જ્યોતિ ભટ્ટ અને વિનોદ ગોર સાથે આજે તેમણે પ્રાદેશિક નિયામકની કચેરીમાં જરૃરી કાર્યવાહી કરી, છઠ્ઠા પગારપંચની દરખસ્તમા પૂર્તતા કરી હોવાનું જણાવ્યું હતું. ભુજ નગરપાલિકાનાં કર્મચારીઓ લાંબા સમયથી છઠ્ઠા પગારપંચની રાહમાં છે ત્યારે આજે છઠ્ઠા પગારપંચની દરખાસ્તમાં પૂર્તતા કરાતા, જો નવી કોઈ અધૂરાશ નહીં નીકળે તો ટૂંક સમયમાં ભુજ પાલિકાનાં કર્મચારીઓને પણ છઠ્ઠા પગારપંચનાં લાભ ઉપલબ્ધ થશે તેવી સંભાવનાઓ જાણકારોએ વ્યક્ત કરી હતી.