ભુજ, તા.પ
પશુપાલન વિભાગની ભુજના એરપોર્ટ રોડ પર આવેલી છ દાયકા જૂની સરકારી જમીન પર ઉદયન ઠક્કરના પાવરદાર વિનય રેલોન દ્વારા પેશકદમી કરાઈ હોવાની ફરિયાદ બાદ આ મામલે જિલ્લા કલેકટર દ્વારા આધારોની ચકાસણી કરાઈ હતી અને જે અંગે ભુજની કોર્ટમાં જમીનની માલિકી અંગે કેસ દાખલ કરાયો હતો, જેમાં ડિસ્ટ્રીકટ કોર્ટે આ જમીન સંદર્ભેના કાગળોની ચકાસણી કર્યા બાદ આ જમીન પશુપાલન વિભાગની જ છે અને તે જમીન પોતાની હોવાના અને કબજો જમાવવાનો પ્રયાસ કરનાર પાવરદાર રેલોન પાસેના દસ્તાવેજ ખોટા હોવાનો ચુકાદો આપતાં કચ્છના ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ મચી જવા પામ્યો છે.
- ડિસ્ટ્રીકટ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા બાદ ભૂમાફિયાઓમાં ફફડાટ
આ અંગે કલેકટર કચેરીમાંથી મળતી વિગતો અનુંસાર મદદનીશ પશુપાલન નિયામક કચેરી હસ્તક સર્વે નં. ૪૧,૪ર,૪૩ વાળી અંદાજે ૩૦ એકર જમીન કે જે ૧૯૬પથી કબજો ધરાવે છે. શહેરના એરપોર્ટ રોડ પર આવેલી આ જમીનમાં હાલે પશુપાલન વિભાગ હસ્તક ૩૦૦ જેટલી ગાયનો ઘાસચારો ઉગાડવામાં આવી રહ્યો છે, તે સરકારે જમીનમાં જે ઉગેલું ઘાસ હતું તેનું ગેરકાયદે ભેલાણ કરી કરોડો રૃપિયાની કિંમતી જમીન પર ડોળો જમાવીને આ સરકારી જમીન રાજકીય મહેસૂલી તથા પોલીસતંત્રની વગ ધરાવતા લેન્ડલોડ દ્વારા આ જમીન પોતાની હોવાનો દાવો કરતા નવો વિવાદ સપાટી ઉપર આવ્યો હતો. આ અંગે પશુપાલન વિભાગના જવાબદારોએ કલેકટર, પોલીસવડા તથા તાલુકા પોલીસને લેખિતમાં ફરિયાદ કર્યા છતાં સંબંધિત સરકારી તંત્રો તેમની જવાબદારીમાંથી છટકી હાથ ઉંચા કરતા હોવાના આક્ષેપ બાદ આખરે કલેકટર એમ. થેન્નારસને આ અંગે તપાસ કરવાના આદેશો આપ્યા હોવાનું અધિક કલેકટર સી. પી. નેમાએ જણાવ્યું હતું. તેમણે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, પશુપાલન વિભાગ હસ્તકની સરકારી જમીન પર તા. ૧૯મીના ભુજના વિનય રેલોન નામની વ્યકિત દ્વારા ધાકધમકી કરી જમીન જે ખોટી રીતે કબજો મેળવવા સંબંધેની એક મળેલી ફરિયાદને પગલે કાયદો ને વ્યવસ્થા જોખમાય નહીં તેવા પગલાં ભરવા જિલ્લા પોલીસવડાને જણાવ્યું છે. અને આ અંગે ભુજના પ્રાંત અધિકારી પી. એ. ગામિતને પણ ડી. આર. એલ. આઈ.ને સાથે રાખી જરૃરી આધારોની સંપૂર્ણ તપાસ કરવાનો આદેશ આપ્યો હોવાનું નેમાએ જણાવ્યું હતું. આમ કચ્છમાં ભૂકંપ બદ મૂળ જમીન માલિકની જાણ બહાર બોગસ દસ્તાવેજ બનાવી રાતોરાત અનેક ઈસમો કરોડપતિ બન્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જે અંગે ભુજની કોર્ટમાં જમીન માલિકી અંગેના ચાલી ગયેલા કેસમાં ડિસ્ટ્રીકટ કોર્ટે પાવરદાર રેલોને રજૂ કરેલા દસ્તાવેજો જાલી હોવાનું જણાવું આ જમીનનો કબજો પશુપાલન વિભાગને સોંપવા અંગેના ચુકાદો આપ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. આમ જિલ્લા કલેકટર એમ.થેન્નારસન કચ્છના ભૂમાફિયા સામે લાલઆંખ કરીને જમીન શ્રીસરકાર કરે છે ત્યારે ભુજની કોર્ટનો સરકારી જમીન પચાવી પાડવાનો ચુકાદો ભૂમાફિયા માટે લપડાક સમાન જણાવાઈ રહ્યો છે.