ભુજ, તા.૪
દેશના વિસ્તારની દ્રષ્ટિએ બીજા નંબરનાં અને અત્યંત સંવેદનશીલ ગણાતા કચ્છ જિલ્લામાં ખેતી બાદ મત્સ્યોદ્યોગનો વિકાસ મોટાપાયે થયો છે.કચ્છનાં જખૌ, માંડવી, કંડલા, મુન્દ્રા,સલાયા સહિતનાં વિસ્તારોમાં વસવાટ કરતાં માછીમારોનું જીવન માછીમારી પર જ નિર્ભર બની રહ્યું છે, ત્યારે કચ્છની દરિયાઇ સીમાઓમાંથી ઘૂસી આવતાં ઘૂષણખોરો દ્વારા માછીમારોનાં અપહરણ તેમજ હુમલાઓ કરવાની ઘટનાઓ બનતી જ રહે છે.જેનાં કારણે કચ્છનાં માછીમારો તેમજ તેમના પરિવારોમાં રોષની લાગણી ફેલાઇ રહી છે.માછીમારી સંગઠન દ્વારા દેશની સુરક્ષા એજન્સીઓમાં સંકલનના અભાવે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું જાણવા મળ્યું હતું. કચ્છના વિશાળ દરિયામાં વિવિધ પ્રકારની માછલીઓ મળી રહેતી હોવાના કારણે માછીમારો દરિયામાં ખૂબ દૂર સુધી માછીમારી કરવા માટે નીકળી જતાં હોય છે.માછીમારોમાં શિક્ષણનો અભાવ હોવાના કારણે તેઓ અન્ય કોઇ વ્યવસાય કરી શકતાં નથી તેથી તેઓ માત્ર માછીમારી કરીને જ પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે અને આ માટે કેટલીકવાર મુશ્કેલી ઊભી થઇ રહી છે.આ પરિસ્થિતિ માટે સુરક્ષા એજન્સીઓમાં સંકલનનો અભાવ હોવાનું માછીમારોમાં પ્રવર્તી રહ્યું છે.
- કચ્છનાં માછીમારોએ સુરક્ષા વધારવા કરી માગ
આ અંગે માછીમાર એસોસિએસન,કચ્છનાં પ્રમુખ પીરજાદાએ જણાવ્યું હતું કે, માછીમારો પકડાવાની ઘટનાઓ મોટા ભાગે આંતરરાષ્ટ્રીય સરહદ પર બનતી હોય છે. માછીમારો પોતાની રોજીરોટી મેળવવા માટે દરિયો ખેડતા હોય છે.તેથી ભારત તેમજ અન્ય દેશની સુરક્ષા એજન્સીઓએ સંકલન કરવું જોઇએ.આ ઉપરાંત કોઇપણ દેશના માછીમાર કે જે માછીમારી માટે દરિયામાં ગયા હોય તેને પકડવા જોઇએ નહીં.વાઘા સહિતની જમીની બોર્ડર પર જે રીતે સરહદનો વિસ્તાર નક્કી કરવામાં આવ્યો છે તેવી જ રીતે દરિયાઇ સીમામાં પણ કેટલાક ચિહ્નો અથવા તો સુરક્ષા એજન્સીઓ તૈનાત કરવી જોઇએ જેથી માછીમારોને દેશની હદ ક્યાં સુધી છે તેની જાણ થાય અને તે અન્ય દેશની સરહદમાં ઘૂસવાની ભૂલ ન કરે.આ માટે બી.એસ.એફ. અને મરિન સિક્યુરિટીએ સંકલન કરીને માછીમારોના હિત માટે પગલાં લેવા જોઇએ જેથી માછીમારો નિશ્ચિંત બનીને માછીમારી કરી શકે તેમ હોવાનું તેમણે જણાવ્યું હતું.