ભુજ,તા.પ
સમગ્ર રાજયમાં શિક્ષણનો વ્યાપ વધે અને વિદ્યાર્થીઓ શિક્ષણ તરફ વળે તે માટે રાજય સરકાર અનેક કાર્યક્રમો ઉજવે છે. રાજયમાં ખાનગી શાળાઓ અને સેલ્ફ ફાઈનાન્સ કોલેજોનો રાફડો ફાટયો છે. છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષણના પ્રમાણમાં વધારો થયો છે, પરંતુ શિક્ષણ મેળવ્યા બાદ વિદ્યાર્થીઓને નોકરી નહીં મળતા શિક્ષિત બેરોજગારોના પ્રમાણમાં ચિંતાજનક વધારો થયો છે. તેમાં કચ્છ જિલ્લામાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા ર૧ હજારની આસપાસ હોવાનું રોજગાર કચેરીમાંથી જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ર૦૦૧નાં ભૂકંપ બાદ કચ્છમાં અનેક ઉદ્યોગો આવ્યા. જો કે, ઉદ્યોગોમાં સ્થાનિક રોજગારીનાં નિયમોનું પાલન કરવામાં નથી આવતું તેના કારણે પણ બેરોજગારીની સમસ્યા વકરી રહી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે.
કચ્છમાં દિન પ્રતિદિન ધંધા રોજગારના કાર્યક્ષેત્રો વધતા જાય છે. તેમાં શિક્ષણક્ષેત્રે પણ કચ્છ જિલ્લો મોખરાનું સ્થાન ધરાવે છે. રાજય સરકાર શિક્ષણનો વ્યાપ વધે અને તેના ભાગરૃપે કચ્છ જિલ્લામાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે પ્રયત્નશીલ છે. જેથી વિદ્યાર્થીઓમાં પણ શિક્ષણ પ્રત્યે જાગુતિ આવી છે,પરંતુ શિક્ષણ મેળવી લીધા બાદ વિદ્યાર્થીઓને નોકરી મળતી ન હોવાને લીધે રોજગાર કચેરીમાં દર વર્ષે બેરોજગારોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.આ અંગે રોજગાર કચેરીમાંથી મળતી માહિતી મુજબ કચ્છમાં ડિસે-૧૧ સુધીમાં કુલ ર૧,૩૦૦ જેટલા બેરોજગારોની નોંધણી થઈ ચૂકી છે. જેમાંથી બહેનોની સંખ્યા ૬૦૭રએ પહોંચી છે ,તો ભાઈઓની સંખ્યા ૧પ,રર૮એ પહોંચી છે. જો કે બહેનોમાં બેરોજગારોનું પ્રમાણ વધુ છે પરંતુ નોકરી કરાવવાની ઈચ્છા તેમના પરિવારોની ન હોય જેથી બહેનો રોજગાર કચેરીમાં નોંધણી કરાવવા માટે જતી નથી તેવું જાણવા મળ્યું છે. જયારે સમગ્ર જિલ્લામાં ૭૦૦૦ જેટલા તો ગ્રેજયુએટ બેરોજગારો છે, તો ૧૮૦૦ જેટલા પોસ્ટ ગ્રુજયુએટ જેટલા બેરોજગારો રોજગાર કચેરીએ નોંધાયેલા છે.કચ્છમાં દિન પ્રતિદિન બેરોજગારોની સંખ્યામાં વધારો થતો હોવાથી વિદ્યાર્થીઓની સાથે વાલીઓમાં પણ ચિંતા પ્રસરી છે.
રાજય સરકાર નોકરી આપે
રાજય સરકાર શિક્ષણને પ્રોત્સાહન આપી રહી છે, પરંતુ શિક્ષણ મેળવ્યા બાદ વિદ્યાર્થીઓને નોકરી આપવામાં સરકાર ઉણી ઉતરી છે. આ અંગે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, હાલના સમયમાં શિક્ષણ એ ધંધો બની ગયો છે. સરકાર આડકતરી રીતે સરકારી કવોટામાં સીટો ઘટાડી રહી છે જેથી સેલ્ફ ફાઈનાન્સ કોલેજોનો રાફડો ફાટયો છે. સરકારી કવોટામાં ઉચ્ચ અભ્યાસક્રમ માટે જગ્યા ન મળતી હોવાથી નાછુટકે વિદ્યાર્થીઓ ખાનગી કોલેજો તરફ વળે છે. ખાનગી કોલેજોમાં તગડી ફી ભરીને અભ્યાસ પૂરો કર્યા બાદ પણ વિદ્યાર્થીઓને નોકરી મળતી નથી જેથી યોગ્ય લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને નોકરી મળી રહે તે માટે રાજય સરકારે વિચારવું જોઈએ.
નોકરીમાં લાગવગિયા ફાવી જાય છે.
કચ્છમાં બેરોજગારોના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો હોવાથી વાલીઓ પણ ચિંતિત બન્યા છે. પોતાના સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપ્યા પછી પણ નોકરી મેળવવા માટે ફાંફાં મારવા પડે છે. બેરોજગારો અંગે વાલીઓએ જણાવ્યું હતું કે, આવી મોંઘવારીમાં ઘર ચલાવવુ મુશ્કેલ થઈ પડયું છે, પરંતુ સંતાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તગડી ફી ભરીને સંતાનોને ભણાવી રહ્યા છે ,પરંતુ સંતાનો જયારે ભણીને બહાર આવે છે ત્યારે એક વર્ષની જેટલી ફી ભરી હોય તેટલા માસિક પગારે નોકરી પણ મળતી નથી અને શિક્ષિત વિદ્યાર્થીઓ પોતાના શિક્ષણની ફાઈલ લઈને આમથી તેમ આંટાફેરા કરતા હોય છે. જયારે સરકારી નોકરીની વિપુલ તક આવે ત્યારે લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓમાં ખુશી છવાઈ જાય છે, પરંતુ સરકારી નોકરીઓમાં રાજકારણીઓના સંબંધીઓ અને લાગવગિયાઓ ફાવી જાય છે, આથી શિક્ષિત બેરોજગારોમાં નિરાશા વ્યાપી જાય છે.