ભુજ, તા.પ
સેનટ્રલ આઈ.બી.ના સંદેશાના આધાર મુજબ લશકર-એ-તોયબાના આતંકવાદીઓએ જામનગર અને અમદાવાદમાં ત્રાસવાદી હુમલાનું આયોજન કર્યું હોવાના સંદેશા બાદ રાજ્યની વિવિધ સુરક્ષા એજન્સીઓએ સર્તકતા બક્ષીને સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું છે. જે સંદર્ભે ચોંકાવનારી મળતી વિગતો અનુસાર લશકર-એ-તોયબાના પાંચ જેટલા આતંકવાદીઓ કચ્છ સરહદમાંથી ઘુસ્યા હોવાના અહેવાલોને પગલે સમગ્ર કચ્છભરમાં દરિયાઈ તેમજ ભૂમિ સરહદ વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન બનાવી દેવાયું છે અને ખાસ કરીને કચ્છના કંડલા અને મુન્દ્રા બંદર અને ઓઈલ મથકો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની સાથે શંકાસ્પદ લોકોની હિલચાલ પર બાજ નજર રાખવાની સૂચના સુરક્ષા એજન્સીઓ દ્વારા આપવામાં આવી છે.
- સરહદી દરિયાઈ તેમજ ભૂમિ વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન બનાવવાની સાથે કંડલા તથા મુન્દ્રા ઓઈલ મથકો પર ચુસ્ત બંદોબસ્ત
શુક્રવારના રાજ્યના પોલીસવડા ચિતરંજનસિંઘે અમદાવાદ ખાતે એક બેઠકમાં જણાવ્યું હતું કે, લશકર-એ-તોયબા દ્વારા જામનગર અને અમદાવાદમાં આતંકવાદી હુમલાનું આયોજન કર્યું હોવાનું સેન્ટ્રલ આઈ.બી.ના સંદેશા બાદ સમગ્ર રાજ્યની પોલીસને એલર્ટ રહેવાની સૂચના અપાઈ હતી. જે સૂચના ને પગલે સરહદી જિલ્લા કચ્છમાં પણ દરિયાઈ તેમજ ભૂમિ સરહદે પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવ્યું છે, પરંતુ તે દરમિયાન બિનસત્તાવાર મળતી વિગતો અનુસાર લશકર-એ-તોયબાના પ જેટલા આતંકવાદીઓ કચ્છમાંથી ઘુસ્યા હોવાના વહેતા થયેલા અહેવાલો બાદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં સલામતીના પગલાં ભરવામાં આવ્યા છે.
સાથો-સાથ દેશના મહાબંદર એવા કંડલા અને મુન્દ્રા બંદરે કે જ્યાં ઓઈલ સ્ટોરેજ મથક આવ્યા છે. ત્યાં વિવિધ એજન્સીઓ દ્વારા સુરક્ષાના પગલાં ભરવાની સાથે કચ્છની ચેકપોસ્ટ, રેલવે સ્ટેશન, હવાઈ મથક, સહિતના સંવેદન વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા ખાસ તાકીદ કરવામાં આવી હોવાનુ જિલ્લા કલેકટર એમ.થેન્નારસને જણાવ્યું હતું અને સાથો-સાથ બી.એસ.એફ. અને કોસ્ટ ગાર્ડને પણ એલર્ટ રહેવાની સૂચના જારી કરવામાં આવી છે. જિલ્લાના પ્રવેશદ્વાર રાજમાર્ગો પર આવતા જતાં વાહનોનું ચેકિંગ કરવાની સાથે કેટલાક શંકાસ્પદ સ્થળોએ પણ તપાસ પોલીસ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લાના પૂર્વ અને પશ્ચિમ વિભાગના પોલીસ વડાએ પણ રાજ્યના પોલીસવડાની સૂચનાના પગલે નાકાબંધી કોમ્બિંગ તેમજ વાહન ચેકિંગની ઝુંબેશ હાથ ધરી દીધી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.