નવી દિલ્હી, તા. ૬
એનસીટીસીના મુદ્દે વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા શનિવારે બોલાવાયેલ બેઠકમાં બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારે નરેન્દ્ર મોદી સાથે હાથ મિલાવ્યા બાદ રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) પ્રમુખ લાલુપ્રસાદ યાદવે કુમાર પર બેવડા ધોરણો અપનાવવાનો આક્ષેપ કર્યો હતો. લાલુએ કહ્યું હતું કે નીતીશે નરેન્દ્ર મોદીને બિહારમાં પ્રવેશવા દીધા નહોતા ત્યાર બાદ દિવસ દરમિયાન મોદીએ સુરતમાં નીતીશને પ્રવેશતા અટકાવ્યા હતા તો પછી તેમણે એનસીટીસીની બેઠકમાં હાથ શા માટે મિલાવ્યા ?
મોદી સાથે હાથ મિલાવતા નીતીશની બિનસાંપ્રદાયિકતા શંકાના ઘેરામાં
તેમણે જણાવ્યું હતું કે મોદી સાથે હાથ મિલાવ્યા બાદ બિનસાંપ્રદાયિકતા અંગે નીતીશકુમારની વિશ્વસનીયતા ફરી શંકાના ઘેરામાં આવી ગઈ છે. નવીદિલ્હીમાં એનસીટીસી પર મુખ્યપ્રધાનોની બેઠક દરમિયાન નીતીશે માત્ર મોદી સાથે હાથ જ નહોતો મિલાવ્યો પરંતુ સંપૂર્ણ મીડિયાની હાજરીમાં બંને ઉમળકાભેર એકબીજાને મળ્યા હતા.
લાલુએ ઉમેર્યું હતું કે નીતીશકુમાર બિહારમાં હંમેશાં મોદી સાથે અંતર જાળવતા રહ્યા છે, પરંતુ રાજ્ય બહારનાં સ્થળો પર તેમની સાથે ઉમળકાભેર વાતચીત કરવામાં તેમને કોઈ વાંધો નથી, આમ, નીતીશકુમાર તેમની બિનસાંપ્રદાયિક છબી બાબતે ખુલ્લા પડી ગયા છે. રાજદ સુપ્રીમોએ આક્ષેપ કર્યો હતો કે આ ઘટના એ બાબતની સાબિતી છે કે નીતીશકુમાર માત્ર સત્તામાં ટકી રહેવા માટે લઘુમતીઓના મત મેળવવા માટે બિનસાંપ્રદાયિક ચહેરો પહેરી રાખે છે. લાલુએ ઉમેર્યું હતું કે વર્ષ ૨૦૧૦માં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારી બેઠક દરમિયાન મોદી સાથે તેમનો ફોટોગ્રાફ પ્રકાશિત કરવાનો કુમારે વિરોધ કર્યો હતો, પરંતુ આ વિરોધ માત્ર પછીનાં વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમોના મત મેળવવા માટે દેખાવારૂપ જ હતો.