જામનગર તા.૬
જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા મોટરકારનો બેફામ દુરુપયોગ કરવામાં આવતો હોવાથી સંબંધિતો પાસેથી નાણાની વસુલાત કરવા માટે પુર્વ કોર્પોરેટર દ્વારા મ્યુનિ.કમિશનરને નોટિસ આપવામાં આવી છે.
- સંબંધિતો પાસેથી નાણાંની અંગત વસુલાત માટે પૂર્વ નગરસેવકે આપેલી નોટિસ
જામનગર મહાનગરપાલિકાના ચાર પદાધિકારીઓ મેયર, ડે.મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અને વિરોધપક્ષના નેતાને ફાળવવામાં આવેલી કારના વપરાશ અંગે રાખવાની થતી ધારાધોરણસરની તકેદારી રાખવામાં આવતી નથી. આથી જામનગરના પુર્વ નગરસેવક કાંતિભાઈ જોષીએ બીપીએમસી એકટ-૧૯૪૯ની કલમ હેઠળ મ્યુનિ.કમિશનર, મોટર પાણી કંટ્રોલીંગ અધિકારી, ચીફ ઓડીટર તથા રાજયના મુખ્ય સચિવ, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ ખાતાના મુખ્ય સચિવને કાનુની નોટિસ પાઠવી છે.
આ નોટિસમાં જણાવવામાં આવ્યા મુજબ મ્યુનિ.કમિશનરના શીરે પ્રજાની તીજોરીની રકમનો દુરુપયોગ ન થાય તે જોવાની જવાબદારી હોય છે. તેમ છતાં તેઓ દ્વારા પ્રજાના ફંડના થતા વેડફાટ સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવતી નથી. ઉપરોકત પદા ધિકારીઓએ પ્રજાલક્ષી કામ માટે જ આ વાહનોનો ઉપયોગ કરવાનો હોય છે તેમ છતાં સરકારી નિયમોને ઉલંઘીને આ વાહનો ખાનગી સહેલાણીઓ માટે જઈ રહયા છે. તેની સામે સેવાતા દુર્લક્ષના કારણે તેઓ આ મામલે આડકતરી રીતે મદદ કરી રહયા છે તેમ આ નોટિસના અંતમાં જણાવાવમાં આવ્યું છે.