સુરત તા. ૬
બિહારની ભવ્ય વિરાસત આજે સમયની સાથે વિસરાઇ ગઇ છે. કેટલાંક કારણોસર બિહાર માટે સારા શબ્દપ્રયોગ થતા નથી, તે બંધ થવા જોઇએ. બિહાર માટે સારું બોલીશું તો તેમનો ખોવાયેલો આત્મવિશ્વાસ ફરી જાગી ઊઠશે. ગાંધીએ ચંપારણથી અંગ્રેજો સામેનું આંદોલન શરૂ કર્યું હતું. તો જયપ્રકાશ નારાયણે ભષ્ટ્રાચારનું રણશિગું ગુજરાતમાંથી ફૂંક્યું છે. ગુજરાતમાં બિહારના તમામ લોકોનું સ્વાગત છે અને સન્માન પણ છે. ઉધનાના બીઆરસી ગ્રાઉન્ડ ઉપર રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા આ જાહેર આહ્વાનથી લોકોએ તેમને વધાવી લીધા હતા.
- બિહાર માટે થતા શબ્દપ્રયોગ બંધ થવા જોઇએ
- ગુજરાતમાં ભગવાન બુદ્ધનું ભવ્ય સ્મારક બનાવાશે
સુરતમાં યોજાયેલા બિહાર શતાબ્દી મહોત્સવમાં રાજ્યના મુખ્યપ્રધાન મોદીએ બિહાર અને ગુજરાત એકબીજાના પૂરક હોવાનું જણાવ્યું હતું. કેન્દ્ર સરકાર ઉપર કોઇ ટીકા-ટિપ્પણી કર્યા વિના માત્ર બિહારની વિરાસત, ભવ્યતા અને પરંપરા વિશે તેમણે કહ્યું કે, ૧૯૧૨માં બંગાળથી છૂટા પડયા બાદ બિહારે દેશને ઘણું આપ્યું છે. આખા વિશ્વમાં બુદ્ધથી પ્રભાવિત થવાનો મતલબ બિહારથી પ્રભાવિત થવાનો છે. બિહારે બુદ્ધના માધ્યમથી પોતાની ઓળખ ઊભી કરી છે. ગુજરાત અને બિહાર એટલે બુદ્ધ અને મહાવીર. ગુજરાત મહાવીરના પ્રભાવમાં અને બિહાર બુદ્ધના પ્રભાવમાં જીવે છે. સમગ્ર વિશ્વમાં બુદ્ધના અવશેષો માત્ર ગુજરાતમાં છે. ત્યારે આ તબક્કે ગુજરાત આવનારા દિવસોમાં ભગવાન બુદ્ધનું અતિભવ્ય સ્મારક બનાવશે. એવી તેમણે જાહેરાત કરી હતી. રાષ્ટ્રપિતા ગાંધીએ અંગ્રેજો સામેના આંદોલનની શરૂઆત બિહારના ચંપારણથી કરી હતી.
તો બિહારના જયપ્રકાશ નારાયણે ભષ્ટ્રાચારની લડાઇ સામે ગુજરાતમાંથી અવાજ ઉઠાવ્યો હતો. રોજીરોટી કમાવવા માટે બિહારથી ગુજરાતની ધરતી ઉપર આવનારા તમામનું અહીં સ્વાગત છે અને સન્માન પણ છે. ગુજરાતના વિકાસમાં તમામ હિન્દુસ્તાનીઓના પરસેવાની સુગંધ છે. તેમાં પણ સુરત એટલે લઘુ હિન્દુસ્તાન છે. દેશના વિવિધ પ્રાંતમાં બિહાર માટે બોલવામાં આવતા અપશબ્દો અને શબ્દપ્રયોગ બંધ થવા જોઇએ. આ માટે સમગ્ર રાષ્ટ્રએ સંકલ્પ કરવો રહ્યો. આ માટે ડંકાની ચોટ ઉપર વકાલત કરવાની જરૂર છે. બિહાર માટે સારું બોલવામાં આવશે તો ખોવાયેલો આત્મવિશ્વાસ ફરી જાગી ઊઠશે. એવું તેમને જનમેદનીને જાહેરમંચથી આહ્વાન કર્યું હતું. આ તબક્કે બિહારના આરોગ્ય મંત્રી અશ્વિની ચોબે પણ મંચ ઉપર હાજર રહ્યાં હતાં.
ગુજરાતમાં તમામને રોટલો અને ઓટલો મળે છે આંધ્રપ્રદેશનો વિકાસ કરવામાં ત્યાંની સરકાર નિષ્ફળ
શહેરના પટવત વિસ્તારમાં યોજાયેલા તેલુગુ મહાસંમેલનમાં કેન્દ્રની યુપીએ સરકાર પર આકરા પ્રહાર કરતાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કુપોષણ સામે લડવામાં કેન્દ્ર સરકાર ઉદાસીન છે. કુપોષણ સામે પડવા માટે ગુજરાત સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. રાજ્ય સરકારે લોકભાગીદારીથી કુપોષણ સામે અભિયાન ઉપાડયું છે. ભૂલકાંઓ સ્વસ્થ થાય તો જ ગુજરાતની આવતીકાલ સ્વસ્થ રહેશે.
સુરતના તેલુગુ સમાજ દ્વારા આયોજિત મહાસંમેલનમાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે થોડા સમય પહેલાં દેશના વડાપ્રધાન ડો. મનમોહનસિંહે ટેલિવિઝન સમક્ષ ભાષણમાં જણાવ્યું હતું કે દેશમાં કુપોષણની સ્થિતિ જોઇને મને શરમ આવે છે. આ ભાષણ બાદ દેશના વડાપ્રધાન શરમજનક બાબત દૂર કરવા માટે કોઇ નક્કર પગલાં લેશે એવું મને લાગતું હતું. પ્રધાનમંત્રી એમની વેદનાને કોઇ મોટી યોજના સાથે જોડશે એવું લાગતું હતું. કેન્દ્ર સરકારનું બજેટ આવ્યું ત્યારે દેશને આશા હતી કે કુપોષણ સામે પગલાં ભરવા કોઇ જાહેરાત થશે, પરંતુ દુખ સાથે કહેવું જોઇએ કે કુપોષણ સામે વડાપ્રધાને શરમ અનુભવી પણ બજેટમાં એક નવા પૈસાની જોગવાઇ કરવામાં આવી નહીં. દેશનાં કરોડો ભૂલકાંઓ અને કિશોરીઓ કુપોષણનો ભોગ બનતી હોય તો સમાજની શું સ્થિતિ હોય ? ગુજરાત સરકારે કુપોષણ સામે લડવા માટે બજેટમાં રૂ. ૭૦૦ કરોડની જોગવાઇ કરી છે. આ કામમાં સમાજને જોડવામાં આવ્યા છે. તેલુગુ ફાઉન્ડેશને ૧૦૯ આંગણવાડી દત્તક લીધી છે. આ બાળકોને પોષ્ટિક આહાર આપવામાં આવશે.
કપાસની નિકાસ પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર ફરી એક વખત પ્રહાર કરતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે નિકાસ પર પ્રતિબંધ મુકાતા ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના ખેડૂતોને હજારો કરોડોનું નુકસાન થયું છે. ગુજરાતે આ સામે અવાજ ઉઠાવ્યો. ભાજપના પ્રદેશ પ્રમુખે પાંચ હજાર કિલોમીટરની કિસાનયાત્રા યોજી. ગુજરાતના આંદોલનને કારણે કેન્દ્ર સરકારે ઝૂકવું પડયું. મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં કોંગ્રેસની સરકારો છે જ્યાં સંખ્યાબંધ ખેડૂતોએ આત્મહત્યા કરવી પડી છે. સદનસીબે ગુજરાતના ખેડૂતોએ આત્મહત્યા કરવી પડતી નથી.
સુરત અને ગુજરાતની ધરતી પર આંધ્રપ્રદેશ સહિત દેશનાં તમામ રાજ્યોના લોકોને આવકારતા મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આંધ્રપ્રદેશમાં મજબૂત સરકાર હોત તો ત્યાંના લોકોએ ઘરબાર છોડવાની જરૂર નહીં પડતે. ગુજરાતમાં તમામનું સ્વાગત છે. અહીં આવો, મહેનત કરો અને પ્રગતિ કરો. આંધ્રપ્રદેશનો વિકાસ કરવામાં ત્યાંની સરકાર નિષ્ફળ ગઇ છે. ગુજરાતમાં સૌને રોટલો અને ઓટલો મળે છે. આંધ્રના હોવાથી અન્યાય થતો હોય એવો એક પણ કિસ્સો બન્યો નથી. સુરતમાં તેલુગુ માધ્યમની શાળા ચાલે છે. ગુજરાત પર જેટલો અધિકાર મારો છે એટલો જ અધિકાર બહારથી ગુજરાતમાં આવીને વસતા લોકોનો પણ છે. ગુજરાતના વિકાસમાં તમામ સમાજ અને પ્રાંતના લોકોનો હિસ્સો છે.
તેલુગુ મહાસંમેલનમાં કાંચી કામકોટી પીઠના શંકરાચાર્ય શ્રી જયેન્દ્ર સરસ્વતીજીએ ઉપસસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા નિર્મલા સીતારમન તથા પૂર્વ કેન્દ્રીય ગૃહરાજયમંત્રી .એચ.વિધાસાગરરાવજી મહાસમંલેનમાં હાજર રહ્યા હતા.