સ્વાસ્થ્ય - ડો. રમણ પટેલ
ગર્ભાવસ્થા દરમિયાન સોનોગ્રાફી શબ્દ વધુ સાંભળવા મળે છે. સોનોગ્રાફી એ વિજ્ઞાનની એવી એક મૂલ્યવાન શોધ છે કે જેનાથી ગર્ભમાં શ્વાસ લઈ રહેલા બાળકના વિકાસ વિશેની માહિતી બહુ સરળતાથી મેળવી શકાય છે, પરંતુ સોનોગ્રાફીની આડઅસરને લઈને અનેક ખોટી માન્યતા પણ લોકોમાં પ્રવર્તે છે. ત્યારે આજે સોનોગ્રાફીની ટેક્નિક અને તેના ફાયદા વિશે વાત કરીશું જેથી તેની ભ્રામક માન્યતાઓ દૂર કરી શકાય.
ઘણી વાર સોનોગ્રાફીને લઈને દર્દીઓમાં તેમાં પણ ખાસ કરીને પ્રેગ્નન્ટ સ્ત્રીમાં એક પાયા વગરનો ભય જોવા મળે છે. મોટા ભાગની સ્ત્રીઓ એવું માનતી હોય છે કે, ગર્ભાવસ્થા દરમિયાન સોનોગ્રાફી કરાવવાથી ગર્ભને નુકસાન થાય છે, પરંતુ આ સાવ ભ્રામક માન્યતા છે. ગર્ભાવસ્થા દરમિયાન કોઈ તકલીફ ઊભી થાય ત્યારે ઠ-ટ્વિઅ કરાવવાનું થાય તો ક્ષ-કિરણોની આડઅસર થતી હોવાથી ગર્ભને પણ નુકસાન થવાનો ભય રહે છે, પરંતુ સોનોગ્રાફીમાં આ વાત લાગુ પડતી નથી. સોનોગ્રાફીથી ડરવાની જરૂર નથી, કારણ કે સોનોગ્રાફીમાં વપરાતા સાધનમાંથી ફક્ત અવાજનાં મોજાં ઉત્પન્ન થાય છે, જે સામાન્ય રીતે સાંભળી શકાતાં નથી. આ કોઈ કિરણો નથી. વૈજ્ઞાનિક પ્રયોગો તથા હજારો દર્દીઓમાં સોનોગ્રાફીનો ઉપયોગ કર્યા પછી એવું તારણ સ્પષ્ટ થયું છે કે સોનોગ્રાફીથી ગર્ભાવસ્થાને કોઈ જ આડઅસર થતી નથી. આ એક એવું પરીક્ષણ છે જે હાથવગું છે, સરળતાથી ઉપલબ્ધ છે, કોઈને પણ પરવડી શકે તેવું છે. આ તપાસનું રેકર્ડ રાખી શકાય છે અને તે Non invasive છે. આ રીતે સોનોગ્રાફીની કોઈ આડઅસર નથી. તેનાથી વિપરીત તેના તો અનેક ફાયદા છે, જેનાથી બાળકના વિકાસ-વૃદ્ધિની માહિતી બહુ સ્પષ્ટ રીતે મેળવી શકાય છે. જો બાળકમાં કોઈ ખામી હોય તો તેનું પણ સ્પષ્ટ ચિત્ર જોવા મળે છે, તેથી સમયસર બાળકની ખામીનો ઇલાજ પણ કરી શકાય છે.
જ્યારે સોનોગ્રાફીની શોધ નહોતી થઈ ત્યારે નિષ્ણાત ડોક્ટર દર્દીને હાથ વડે તપાસીને બુદ્ધિ કૌશલ્ય દ્વારા જ ધારણા કરીને રોગોનું નિદાન કરતા. જે નિદાન એટલું સ્પષ્ટ અને વિશ્વસનીય ન રહેતું અને દર્દીની સારવાર પણ ધારણા આધારિત જ થતી. જેમાં ધાર્યું પરિણામ ન આવતું અને સફળતા પણ ન મળતી. આજે સોનોગ્રાફીના આગમન પછી પ્રસૂતિ વિજ્ઞાનનું માળખું જ જાણે કે બદલાઈ ગયું છે. હવે નિષ્ણાત ડોક્ટર ગર્ભાશયમાં જઈને ડોકિયું કરીને સાચું નિદાન કરી શકે છે અને એ પ્રમાણે ત્વરિત ઉપાય પણ કરી શકે છે.
સોનોગ્રાફીની શોધના શરૂઆતના તબક્કામાં સ્ટિલ ફોટોગ્રાફી જેવી સોનોગ્રાફી થતી. આ સોનોગ્રાફીની પણ પોતાની મર્યાદાઓ હતી. અહીં મશીનો મોટાં અવાજવાળાં અને ગ્રે સ્કેલ હોવાથી સ્પષ્ટદર્શી ન હતાં, તેથી તેમનું રિઝલ્ટ પણ સ્પષ્ટ ન આવતું. અહીં સ્ટિલ ફોટોગ્રાફીનું જ પ્રતિબિંબ જળવાતું હોવાથી ગર્ભમાં બાળકના અંગનું હલનચલન વગેરે જોઈ શકાતું નહીં. સમય જતાં મેડિકલ સાયન્સે પ્રગતિ કરી અને વિજ્ઞાને સુધારો કરીને તેમાં જીવંતતા બક્ષી. હવે ગર્ભાવસ્થાને લગતી સોનોગ્રાફી દરમિયાન બાળકનો વિકાસ, બાળકનું હલનચલન વગેરે સ્પષ્ટ જોઈ શકાય છે.
ટ્રાન્સવજાઇનલ સોનોગ્રાફીની શોધ પહેલાં દર્દીનો પેશાબ રોકી રાખવામાં આવતો અને પછી તેની તપાસ કરવામાં આવતી, પરંતુ ટ્રાન્સવજાઇનલ સોનોગ્રાફીની શોધ થતાં દર્દીને યુરિન રોકી રાખવાની ઝંઝટમાંથી પણ મુક્તિ મળી ગઈ તેમજ આ ટેક્નિકમાં દૃશ્ય પણ વધારે સ્પષ્ટ થયું. આ ટેક્નિકમાં જુદા જુદા અવયવોમાં થતો રુધિરાભિસરણનો અભ્યાસ કરીને કેટલાંક તારણો ઉપર પહોંચાય છે. આજે સોનોગ્રાફીમાં અત્યાધુનિક 3D Live એટલે કે 4D Sonographyપણ ઉપલબ્ધ છે, જે ગર્ભાવસ્થામાં બાળકની ખોડખાંપણનું નિદાન કરે છે. હવે તો બધાં જ મશીનો કમ્પ્યુટરરાઇઝ્ડ થઈ જવાથી Printer સાથે જોડીને પુરાવારૂપે ફોટોગ્રાફ પણ લઈ શકાય છે અને વીડિયો પ્રિન્ટ વડે બાળકનું જીવંત નિદર્શન પણ કરી શકાય છે. આમ ટૂંકમાં, કહીએ તો સોનોગ્રાફીના અનેક લાભ છે. તો ખોટા પાયા વગરના ભ્રામક ભય છોડીને મેડિકલ સાયન્સની આ ઉપલબ્ધિનો લાભ લેવો જોઈએ.
dr.ramanpatel@yahoo.com