જામનગર તા.૭ :
જામનગર શહેર-જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર વ્યકિતઓને આત્મહત્યા કરી છે. શહેરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતા યુવાને બેકારીથી કંટાળી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
- શહેરમાં બિમારીથી કંટાળી યુવતીની આત્મહત્યા
જામનગરમાં સાધના કોલોનીમાં એલ-૭૧માં રહેતો રાજેન્દ્ર અમૃતભાઈ (ઉ.વ.૪૭) નામનો યુવાન ફેબ્રીકેશનનું કામ કરતો હતો. આ ધંધો બરાબર ચાલતો ન હોવાથી રાજેન્દ્રએ બેકારીથી કંટાળી જઈ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના પુત્ર દુષ્યંત રાજેન્દ્ર લુહારે પોલીસમાં જાણ કરતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. જામનગરમાં ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતી ગાયત્રીબા દિગ્વિજયસિંહ ઝાલા (ઉ.વ.ર૭) નામની યુવતીએ પોતાના ઘરે અગમ્ય કારણોસર શરીર ઉપર કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતા સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. જયાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તપાસ હાથ ધરી હતી. જેમાં ગાયત્રીબાને પગ તથા હાથમાં વાની બિમારી હોવાથી જિંદગીથી કંટાળી જઈ આત્મહત્યા કરી લીધાનું બહાર આવ્યું છે. ધ્રોલમાં ચામુંડા પ્લોટમાં રહેતા અને અરવિંદભાઈ સતવારાની વાડીમાં ખેતીકામ કરતા વિનુભાઈ પબાભાઈ મકવાણા (ઉ.વ.૬૦) નામના વૃધ્ધે અગમ્ય કારણોસર ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. જયાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજયું હતું.
દ્વારકા તાલુકાના મોજપ ગામમાં રહેતા રૂક્ષ્મણીબેન ગંગાધરભા કુંભાણી (ઉ.વ.૬૦) નામના વૃધ્ધા પોતાની વાડીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા હતા. ત્યારે ઝેરી દવાની અસર થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. જયાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજયું હતું. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.