ભાવનગર તા. ૭
ભાવનગર શહેરના સરકીટ હાઉસમાં આજે સોમવારે સવારે ૧૦:૩૦ કલાકે પત્રકાર પરિષદને સંબોધતા મહાગુજરાત જનતા પાર્ટીના અધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયાએ ભાજપ અને કોંગ્રેસ સામે આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કરતાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ કંઈક અંશે લોકો માટે સારા કહી શકાય તેમ છે. કારણ કે દાઉદ એક કરોડની વસ્તીમાં ૧૦ જેટલા કરોડપતિઓ પાસે જ ખંડણી માંગે છે જ્યારે ધનસંગ્રહ અભિયાનના નામે નરેન્દ્ર મોદીએ એક પણ ગુજરાતનીને છોડયા નથી. કોંગ્રેસ અને ભાજપ એક-બીજા પર આક્ષેપ કરવાનું રાજકારણ રમી રહ્યા છે. કોંગ્રેસ વિધાનસભામાં બોલવા પુરતી વિરોધપક્ષની ભૂમીકા ભજવી રહી છે. શેરીઓ સુધી પહોંચવામાં કોંગ્રેસ નિષ્ફળ રહ્યું છે ત્યારે મહાગુજરાત જનતા પાર્ટીનું ધ્યેય શેરીઓ સુધી પહોંચવાનું છે. આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મજપા ત્રીજા મોરચા તરીકે ચૂંટણી જંગમાં ઝંપલાવશે અને ઓછામાં ઓછી ૧૦૦ સીટ પરથી ચૂંટણી લડશે.
- મજપા ૧૦૦ સીટ પરથી વિધાનસભાની ચૂંટણી લડશે
- ઝડફીયા વતન ભાવનગરની કોઈપણ સીટ પર ઉમેદવારી નોંધાવશે
- ભાજપના કેશુભાઈ, કનુભાઈ અને કોંગ્રેસના રાદડીયા અંગત મિત્રો છે : ઝડફીયા
ગોરધનભાઈ ઝડફીયાએ મોદી પર નિશાન તાકતા વધુમાં જણાવ્યું હતું કે, બોટાદમાં મિડીયા પર પ્રહાર કરનારા
નરેન્દ્ર મોદી વાસ્તવીકતા સહન કરી શકતા નથી. મોદીના મિડીયા સામેના રોષને વખોડી કાઢવા સાથે તેમણે કેશુભાઈ પટેલની ભારોભાર પ્રશંસા કરી હતી. કેશુભાઈ જેવા સારા લોકો ગુજરાતમાં બહાર નિકળે તો ગુજરાતને મુક્ત કરી શકાય તેમ છે. જો કે પોતાને કેશુભાઈ સાથે મિત્રતાના સંબંધ છે જેથી કેશુભાઈ સાથેની દરેક મુલાકાત સામાજીક હેતુથી થઈ છે, રાજકીય હેતુથી નહીં. ભાજપ અને કોંગ્રેસનો વિરોધ કરતાં ઝડફીયાને ભાજપના કનુભાઈ કળસરીયા અને કોંગ્રેસના વિઠ્ઠલભાઈ રાદડીયા સાથે એક મંચ પર કાર્યક્રમ આપવા બાબતે પ્રશ્ન પુછાતા તેમણે કહ્યું હતું કે પક્ષ કરતા પ્રજાને મહાન ગણે અને સત્ય માટે અવાજ ઉઠાવવાની ક્ષમતા ધરાવતા હોય તેવા નેતાઓ કોઈપણ પક્ષના હોય, મજપા તેમની સાથે છે. કનુભાઈ અને વિઠ્ઠલભાઈ મારા અંગત મિત્રો છે અને પ્રજા હિતમાં અવાજ ઉઠાવવા બાબતે અમારા વિચારો મળે છે એટલે એક મંચ પર આવ્યા છીએ. ગત વર્ષે કેટલાક ભાજપના અસંતુષ્ટો મજપામાંથી ચૂંટણી લડયા હતાં અને હાર્યા હતાં, જ્યારે આ વર્ષે ભાજપના અસંતુષ્ટોનો પુરતો ટેકો નથી ત્યારે ચૂંટણીમાં કેવી રીતે જીતશો ? તેવો પ્રશ્ન પુછાતા ઝડફીયાએ કહ્યું હતું કે ભાજપના નેતાઓ કે જેમને બોલવાની ત્રેવડ નથી, પ્રજા માટે અવાજ ઉઠાવી શકે તેટલી હિંમત નથી અને છાતીએ ડાબી બાજુ વજન આવી ગયું છે તેવા નમાલા નેતાઓના સાથની મહાગુજરાત જનતા પાર્ટી અપેક્ષા રાખતી નથી. મહાપાલિકાની ગત ટર્મની ચૂંટણીમાં મજપાનો એક પણ ઉમેદવાર જીત્યો ન હતો અને ગઈકાલે જ મહુવા માર્કેટીંગ યાર્ડમાં મજપા જેમની સાથે કાર્યક્રમો આપી રહી છે તેવા કનુભાઈ કળસરીયાની પેનલનો પરાજય થયો છે તે બાબતે તમારૃં શું કહેવું છે ? તેવા પ્રશ્નના જવાબમાં ગોરધનભાઈએ જણાવ્યું હતું કે હાર કે જીત ગૌણ છે. જનસંઘે તો સતત ર૦ વર્ષ સુધી ડિપોઝીટ ગુમાવી હતી. હારવુ કે જીતવું મહત્વનું નથી પરંતુ યોગ્ય ટ્રેક પર હિંમત પૂર્વક ચાલતા રહી લડતા રહેવું મહત્વનું છે. મહુવા યાર્ડની ચૂંટણી બાબતે તેમણે કહ્યું હતું કે યાર્ડની ચૂંટણીમાં ડેઝીગ્નેટેડ લોકો જ મત આપે છે પ્રજા નહીં જેથી યાર્ડની ચૂંટણીના પરિણામ પરથી પ્રજામતનો ક્યાસ કાઢી શકાય નહીં.
અંતમાં ગોરધનભાઈ ઝડફીયાને આગામી ચૂંટણી ક્યાંથી લડશો ? તેવો પ્રશ્ન પુછાતા તેમણે જવાબ આપ્યો હતો કે, ભાવનગર મારૂ વતન છે એટલે ભાવનગરની કોઈપણ વિધાનસભા બેઠક પરથી જ ચૂંટણી લડવાનો છે.
ગોરધનભાઈના વાક્બાણ
-
- મોદીએ પ્રસિધ્ધી માટેના કાર્યક્રમોમાં કરોડો ખર્ચ્યા ન હોત તો આરોગ્ય અને શિક્ષણ સેવા મફત આપી શકાત
- પોતે (ઝડફીયાએ) રાજ્યપાલને સદ્ભાવના પાછળ કરોડોના ધુમાડા અંગે રજૂઆત કરતા રાજ્યપાલે સરકાર પાસે જવાબ માગતા એવો જવાબ અપાયો કે કેન્દ્રની સુચનાથી તમારે આવી સદ્ભાવના જાળવવી જોઈએ ખરી !
- ૧૪૪ની કલમનો ભંગ કરીએ છીએ, સરકારને થાય તે કરી લે !
- સાવરકુંડલામાં કેસ કર્યો હતો તેમ ગમે તેટલા કેસ કરો અમારી જેલમાં જવાની તૈયારી છે.
- ધરતીમાતાનું ધાવણ ધવાય, લોહી ન કઢાય.
- જો વિધાનસભામાં ધાર્યું પરિણામ મળશે તો ચોક્કસ એજન્ડા સાથે કોઈપણની સાથે બેસશું અને તેની લગામ બનશું