સુરત,તા.૭
સુરતની જીવનભારતી શાળાના શિક્ષક કિરણ જાદવે કરેલી આત્મહત્યાના કેસમાં જીવનભારતી ટ્રસ્ટના મંત્રી ડો. કેતન શેલતે કરેલી આગોતરા જામીનઅરજી હાઈકોર્ટે રૂ. ૧૦,૦૦૦ના જામીન અને કેટલીક શરતો સાથે મંજૂર કરી હતી.
- હાઈકોર્ટે કેટલીક શરતો સાથે આગોતરા જામીનઅરજી મંજૂર કરી
નાનપુરામાં આવેલી જીવનભારતી શાળાના શિક્ષક કિરણ જાદવે તા. ૧૧-૦૨-૦૮ના રોજ તેમના પીપલોદ ખાતેના મકાનમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તેમના પત્ની હસુમતીબેને જીવનભારતી સ્કૂલના આચાર્ય ડો. રાજેશ શિંદે અને જીવનભારતી ટ્રસ્ટના મંત્રી ડો. કેતન શેલતના માનસિક ત્રાસને કારણે તેમના પતિને આત્મહત્યા કરવા પડી હોવાની ફરિયાદ નોંધાવતાં પોલીસે તા. ૩-૦૧-૧૨ના રોજ ઈપીકોની કલમ ૩૦૬, ૧૧૪ તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
આ કેસમાં ટ્રસ્ટના મંત્રી ડો. કેતન શેલત રહે. આરોગ્યનગર, અઠવાલાઈન્સએ અગાઉ સુરતની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જેને એડિશનલ સેશન્સે નામંજૂર કરતાં તેમણે હાઈકોર્ટમાં દાદ માંગી હતી. આ અરજીની સુનાવણી હાથ ધરાતાં તેમના એડવોકેટે કોર્ટમાં એવી દલીલ કરી હતી કે ડો. શેલત ટ્રસ્ટમાં મંત્રી તરીકે માનદ સેવા આપે છે. આત્મહત્યા કરનાર શિક્ષક સામે વિદ્યાર્થીઓની ફરિયાદો હતી અને તેમની વર્તણૂક માટે શોકોઝ નોટિસ આપવામાં આવી હતી એ એક રુટિન પ્રક્રિયા હતી. કેસમાં તેમની ખોટી રીતે સંડોવણી કરવામાં આવી છે. મરનાર શિક્ષકે તેમની આત્મહત્યા પૂર્વેની નોટમાં પણ ડો. શેલતના નામનો ક્યાંય ઉલ્લેખ કર્યો ન હતો. મા. જસ્ટિસ એમ.ડી.શાહે ડો. શેલતના આગોતરા જામીન મંજૂર કરી ઉમરા પોલીસ તેમની ધરપકડ કરે એવા સંજોગોમાં ડો. તેમને રૂ. ૧૦,૦૦૦ના જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો હતો.