મુંબઇ 08, મે
મુંબઇ હાઇકોર્ટે કહ્યું કે લિવ ઇન રિલેશનશીપથી લોકોના લગ્નજીવનમાં ભંગાણ થઇ રહ્યું છે. મેનટેનન્સ વધારવા માટે દાખલ કરવામાં આવેલી એક અરજીની સુનવણી દરમિયાન કોર્ટે આ ટિપ્પણી કરી હતી. આ મામલે મહિલાએ પોતાના પતિ પાસેથી એ તમામ સુવિધાઓની માંગણી કરી છે જે તે પોતાની લિવ ઇન પાર્ટનર અને તેના ત્રણ બાળકોને આપી રહ્યો છે. મહિલાના પતિએ તેનો વિરોધ કર્યો છે.
જસ્ટીસ પીબી મજૂમદાર અને અનુપ મોહતાએ સુલેખા કિલેદાર (48 વર્ષ, નામ બદલ્યું છે)ની અરજીની સુનવણી દરમિયાન કહ્યું કે લિવ ઇન રિલેશનશીપ લોકોના લગ્ન જીવનને બરબાદ કરી રહ્યું છે. આ અરજીમાં સુલેખાએ ફેમિલી કોર્ટના 2010ના એ નિર્ણયને પડકાર્યો છે જેમાં મેન્ટેનન્સ 2000 રૂપિયાથી વધારવાનો આદેશ કર્યો હતો.
પોતાની અરજીમાં તેઓએ કહ્યું કે તેમના પતિ સુભાષ (56 વર્ષ, નામ બદલ્યું છે) સેન્ટ્રલ રેલવેમાં મુખ્ય ટિકીટ ચેકર છે અને સોલાપુર સ્ટેશન પર નોકરી કરી છે. આ બંનેના લગ્ન 5 મે, 1987ના રોજ થયા હતા. લગ્ન બાદ સુભાષ તેની પત્ની સાથે અલગ વર્તાવ કરવા લાગ્યો અને ત્યારબાદ તેઓને તરછોડી દીધા હતા. માર્ચ 1988માં સુલેખાએ કેસ દાખલ કર્યો હતો. ઓગસ્ટ 1989માં ફેમિલી કોર્ટે સુભાષને આદેશ કર્યો કે સુલેખાને ઘરે લાવવામાં આવે અને તેને જીવન નિર્વાહ કરવા માટે 400 રૂપિયા દર મહિને આપે. ઓક્ટોબર 2000માં તેને વધારીને 5 હજાર કરી દેવામાં આવ્યા હતા અને નવેમ્બર 2010માં સાત હજાર રૂપિયા કરી દેવામાં આવ્યા હતા.
પોતાની પીટિશનમાં સુલેખાએ કહ્યું કે સુભાષ છેલ્લા 15 વર્ષથી વૈવાહિક જીવન જીવી રહ્યા છે અને તેમના ત્રણ બાળકો છે. તેમની લાઇફ સ્ટાઇલ ઘણી સારી છે અને લક્ઝુરિયસ છે. તેથી એક પત્ની તરીકે તે પણ આ લક્ઝુરિયસ લાઇફ સ્ટાઇલની હકદાર છે. આના જવાબમાં સુભાષના વકીલે કહ્યું કે, તેઓએ લગ્ન નથી કર્યા તેઓ લિવ ઇન રિલેશનશીપમાં રહે છે. આ ગેરકાયદેસર સંબંધ છે. વકીલે એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે સુભાષ અને તેના પાર્ટનરને ત્રણ બાળકો છે.
જસ્ટીસ મજૂમદારે કહ્યું કે તમે ત્રણ બાળકોના પિતા છો, તો પરિવારની દુર્દશા તો જૂઓ. તમારાં આ વલણથી તમારો પરિવાર પરેશાન થઇ રહ્યો છે. તમારી પાસે 7-8 લોકોના જીવનનિર્વાહની જવાબદારી છે. જસ્ટીસ મજૂમદારે કહ્યું કે તમારી પાસે એવી આશા રાખવામાં આવે છે કે તમે માત્ર ટિકીટ ચેક કરો અને લિવ ઇનમાં ન રહો.
સુલેખાના વકીલે કહ્યું કે સુભાષે મેનટેનન્સને લઇને ફેમિલી કોર્ટના આદેશોનું પણ પાલન નથી કર્યું. તેના પર જ્જે કહ્યું કે અમે એમ્પલોયરને કહીશું કે સુભાષની સેલેરીમાંથી તે રકમ કાપી લેવામાં આવે. તેના જવાબમાં સુલેખાના વકીલે કોર્ટને જણાવ્યું કે 88 હજાર રૂપિયા એરિયર બાકી છે. જ્જે આ મામલે સુનવણી સ્થગિત કરી દીધી છે અને સુભાષને કહ્યું છે કે તેઓ વન ટાઇમ સેટલમેન્ટ પ્રપોઝલ લઇને આવે.