જામનગર તા.૮
જામનગર જિલ્લાના કૃષિ મહોત્સવનો ખંભાળિયા તાલુકાના ધરમપુરથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ડો.પી.બી.વસોયાએ જણાવ્યું હતું કે કૃષિ મહોત્સવ થકી અનેક ખેડુતોએ આધુનિક ખેતી અપનાવી છે.
- હાલારમાં કૃષિ મહોત્સવનો ધરમપુરથી પ્રારંભ
જામનગર જિલ્લાના કૃષિ મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામે પ્રગતિશીલ ખેડૂત હીરાભાઈ વેલજીભાઈની વાડી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ડો.પી.બી.વસોયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ તકે ધારાસભ્ય મુળુભાઈ બેરા તથા મેઘજીભાઈ કણઝારિયા, કલેકટર સંદીપકુમાર, જિલ્લા વિકાસ અધિકારી અજયકુમાર ઉપસ્થિત રહ્યા હતાં. મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વકતવ્યનું પ્રસારણ થયું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ ડો.પી.બી.વસોયાએ જણાવ્યું હતું કે, ખેડૂતો આધુનિક ખેતી અપનાવે, તેમની આવક વધે, ખેતી, જમીન, પાણી વિગેરે અંગે માર્ગદર્શન મળી રહે, પશુધનનું આરોગ્ય જળવાઈ રહે તેવો હેતુ રાજય સરકારનો કૃષિ મહોત્સવ યોજવા પાછળ રહયો છે. આ મહોત્સવનો શકય તેટલો વધુ લાભ ખેડૂતોએ લેવો જોઈએ.
ધારાસભ્ય મુળુભાઈ બેરાએ કહયું હતું કે, કૃષિ મહોત્સવથી અનેક ફાયદાઓ ખેડૂતોને થયા છે. ખેતી અને ખેડૂતો સમૃધ્ધ બન્યા છે. ખંભાળિયાના ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારીયા જણાવ્યું હતું કે, ગુજરાતના ખેત ઉત્પાદનમાં વૃધ્ધિનું કારણ રાજય સરકારનો ખેડૂતો પ્રત્યેનો સકારાત્મક અભિગમ છે.
વિવિધ યોજના અને મહોત્સવ થકી ખેડૂતો સમયાંતરે રાજય સરકાર માર્ગદર્શન પુરૂ પાડીને ખેડૂતોને ઉપર લઈ આવવાની કોશિષ કરી છે. જિલ્લા ખેતીવાડી અધિકારી પી.બી.ખીસ્તરીયાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યા બાદ જણાવ્યું હતું કે, એક મહિના દરમિયાન યોજાનાર કૃષિ મહોત્સવમાં પશુ આરોગ્ય મેળા યોજાશે. કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન અપાશે જેનો વધુને વધુ ખેડૂત ભાઈઓ-બહેનોએ લાભ લેવો જોઈએ.જિલ્લાભરના ૩૦ અધિકારીઓ અને ૪૦ કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને માહિતી આપશે. જિલ્લાના કૃષિ ઈનપુટ વિક્રેતાઓ તરફથી કૃષિ મહોત્સવમાં હાજર રહેનાર ખેડૂતોને ખાસ ડીસ્કાઉન્ટ કુપન અપાશે. જિલ્લાના ૧૪ હજાર ખેડૂતોએ કૃષિ કીટનું વિતરણ કરવામાં આવશે. શાળાઓના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો અને યોગ રજુ કર્યા હતાં. કૃષિ રથનું પ્રસ્થાન જિલ્લા પંચાયત પ્રમુખ ડો.પી.બી.વસોયાએ કર્યું હતું. આ પ્રસંગે યોજાયેલ કૃષિ પ્રદર્શનને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ-બહેનોએ નિહાળ્યું હતું.