મોરબી તા. ૮:
લીલાપર ગામના સરપંચને ખનીજચોરી પ્રશ્ને માથાભારે બોરીચા શખ્સે જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ધમકી આપ્યા બાદ લીલાપરના ગ્રામજનો દ્રારા બોરીચા યુવાનના ઘરે તોડફોડ કરાઈ હતી. જે સંદર્ભે લીલાપરના સરપંચ અને પાટીદાર સેનાના હોદેદારો સહિત ર૦૦ પાટીદારો સામે હુમલા ઉપરાંત લૂંટની ફરિયાદ નોંધાતા લીલાપરના ગ્રામજનોમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો હતો.લૂંટ ધાડ જેવી ખોટી ફરિયાદો સામે સોમવારે રાત્રીના લીલાપર ગામે પાટીદાર સમાજની જાહેર સભાનું આયોજન કરાયું હતું. જેમાં ર૦૦૦ થી વધુ પાટીદારોની હાજરીમાં આગેવાનોએ અન્યાય સામે લડી લેવા જરૂર પડયે સમાજને સંગઠીત થવા હાકલ કરવામાં આવી હતી.
- લીલાપર ઘટના સંદર્ભે મળેલી બેઠકમાં આગેવાનોનો એકસુર
લીલાપરના મુખ્ય ચોકમાં યોજાયેલી આ સભામાં આજુબાજુના ગામોમાંથી ર૦૦૦ જેટલા પાટીદારો એકઠા થયા હતા. મીટીંગમાં પાટીદાર સમાજના સરપંચો, ઉપસરપંચો, પાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો સહિતના આગેવાનો અને પાટીદાર સેનાના હોદેદારો ઉપસ્થીત રહયા હતા. આગેવાનોએ પાટીદાર સમાજ સામે ખોટી રીતે આંગળી ચીંધનારા લુખ્ખા તત્વો સામે લડી લેડવા માટે એક થવા હાકલ કરી હતી.
આ મિટીંગમાં અન્યાય સામે પાટીદાર સમાજે લડી લેવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો.પાટીદાર સેનાના અગ્રણી અશોક પટેલ આ લડત કોઈ જ્ઞાતિ સામે નહી પણ ગુંડાઓ સામે હોવાનું જણાવી હિંમતથી સામનો કરવાનું જણાવ્યું હતું.પાટીદાર સમાજમાં જો આવા તત્વો હોય તો તેમની સામે પણ લડત ચલાવવાની હાકલ કરી હતી અને હણે તેને હણવામાં વાંધો નહી તેવો લલકાર કર્યો હતો.પાટીદાર સેનાના પ્રમુખ તુલસીભાઈ કાસુન્દ્રાએ કહ્યુ હતુંકે,પાટીદાર ભોળો સમાજ છે આપણે ગુંડા તત્વો સામે લડત ચલાવવી પડશે. પણ આ માટે કાયદો હાથમાં લેવાની જગ્યાએ કાયદાનો ઉપયોગ કરવાની જરૂર છે.કલમમાં જે તાકાત છે તે ધોકામાં નથી.કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ કાસુન્દ્રા એ જણાવ્યું હતું કે અન્યાય સહન કરવો એ પાપ છે તે ગીતામાં પણ જણાવ્યું છે. અન્યાય સામે એક થઈને લડવું પડશે. આપણે કોઈને મારવા નથી પણ મરવા આવે તેને પાછા પણ નથી જવા દેવા. જો સમાજ એક નહી થાય તો સજજનપર જેવી ધટનાઓનું પુનરાવર્તન થતુ રહેશે.લલીત કગથરાએ કહયું હતું કે ગુંડાઓની કોઈ જ્ઞાતિ નથી હોતી.હવે ડર કાઢી નાખવાનો છે.જરૂર પડયે હથિયાર પણ ઉપાડવામાં પાપ નથી. પણ સાથે સંયમ પણ જરૂરી છે.
વેલજીભાઈ પટેલે જણાવ્યું હતું કે હવે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે. પણ હિંસાથી કંઈ મળતું નથી.લોકશાહીમાં દરેક ને જીવવાનો અધિકાર છે. પાટીદાર સમાજમાં તમામ તાકાત પડી છે. બસ હવે તેને ભેગી કરવાની જરૂર છે.સીરામીક એસોશીયેશનના પ્રમુખ ટી.ડી. પટેલે જણાવ્યું હતું કે લીલાપરના સરપંચને ધમકી આપનાર માથાભારે બોરીચા શખ્સે ગુનાહીત ઈતિહાસ ધરાવે છે. આવા ગુંડાઓને આપણા જ કેટલાકોએ ઉછેર્યો છે.પાટીદારનો દિકરો કયારેય લુંટ કે ઘાડ ન કરે આપણા સમાજે કયારેય લુંટ નથી કરી ત્યારે લુંટ કર્યાનું ખોટું કોઈ કાળે સ્વીકારવાનું નથી. જો લુંટ ઘાડની કલમ નહી હટાવાય તો ઉપવાસ આંદોલન કરાશે.
આ સંમેલન માં પાટીદાર અગ્રણીઓ એકી સુરે પાટીદારોના યુવાનો સામે થયેલી લુંટની ફરીયાદ ખોટી હોવાનું જણાવી તાકીદે ઘાડ અને લુંટ ની ૩૯પ,૩૯૭ કલમ દુર કરવાની તેમજ આ કેસમાં પોલીસ સી સમરી ભરવાની માંગ કરવામા આવી હતી.
આ લડત માટે જરૂર પડયે પાટીદાર સમાજના દરેક યુવાને હાજર થઈ હિંમત પુર્વક લડત લડવા હાકલ કરવામાં આવી હતી.
મોટા નેતા અને અગ્રણીઓની ગેરહાજરી
લીલાપર ગામની સભામાં પાટીદાર સમાજના ટોચના નેતાઓ, ધારાસભ્યો અને અગ્રણીઓને આમંત્રણ અપાયું હતું. પરંતું આ સભામાં એક પણ ટોચના નેતા કે ધારાસભ્ય તેમજ અગ્રણી જોવા મળયા નહોતા. આ ઉપરાંત જેમની પર લુંટની ફરીયાદ થઈ છે તે લીલાપરના સરપંચ અને પાટીદાર સેના ના હોદેદારોને પણ ધરપકડના કારણે સભાથી દુર રખાયા હતા.