મુંબઈ : ૧૦ મે ૨૦૧૨
અજય દેવગણ અને શાહરૂખખાન કરણ જોહરની ફિલ્મમાં સાથે કામ કરશે
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક અશક્ય લાગતી વાત કદાચ શક્ય થવા જઇ રહી છે. બોલિવૂડમાં અત્યારે ચર્ચા છે કે, અજય દેવગણ અને શાહરૂખખાન એક ફિલ્મમાં સાથે કામ કરવા જઇ રહ્યા છે. આ ફિલ્મ અજય અને શાહરૂખના ખાસ મિત્રો અનુક્રમે રોહિત શેટ્ટી અને કરણ જોહર બનાવી રહ્યા છે. આ બંને અભિનેતાએ હજુ સુધી ક્યારેય સાથે કામ નથી કર્યું. એવું કહેવાય છે કે, આ એક મસાલા ફિલ્મ હશે. રોહિત શેટ્ટી અને કરણ જોહરના નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ, તાજેતરમાં જ રોહિત અને કરણે એક ફિલ્મ બનાવવા કોન્ટ્રાક્ટ કર્યો છે. કરણ આ ફિલ્મ પ્રોડયુસ કરશે, અને રોહિત ડિરેક્શન સંભાળશે. કરણ તેના ડિરેક્ટરને સંપૂર્ણ સ્વતંત્રતા આપવા જાણીતો છે. આ ફિલ્મ પણ રોહિત તેની સ્ટાઇલમાં બનાવશે. એટલે કે, તેમાં એક્શન કોમેડીની સાથે રોમાન્સ, ઇમોશન પણ હશે.
સૂત્રોના જણાવ્યાનુસાર, “એક વખત, 'કભી અલવિદા ના કહેના' ફિલ્મ આવી તે પહેલાં કરણે અજયનો સંપર્ક કર્યો હતો. એ ફિલ્મમાં પણ શાહરૂખ હતો, પરંતુ કોઇ કારણોસર અજયે તે ફિલ્મ સ્વીકારી ન હતી. છેવટે તે બંનેને એકસાથે ચમકાવતી ફિલ્મનો પ્રોજેક્ટ ઘોંચમાં પડયો હતો.” ગયા વર્ષે 'સિંઘમ'ની સફળતા પછી રોહિત શેટ્ટીએ કહ્યું હતું કે, ભવિષ્યમાં તે શાહરૂખ અને અજયને એકસાથે ચમકાવશે.