ભાવનગર તા. ૧૦
ભાવનગર શહેરમાં એકાતરે પાણી કાપ વચ્ચે આજે ગુરૂવારે પીજીવીસીએલના રીપેરીંગના કારણે શેત્રુંજી ડેમ સાઈટ પર વીજપુરવઠો બંધ રહેવાથી ભાવનગર શહેરમાં પાણી સપ્લાય અનિયમિત રહ્યું હતુ. સાથોસાથ કેટલાક વિસ્તારોમાં વધારાનો પાણી કાપ જીકાયો હતો. ત્યાં આવતીકાલે શુક્રવારે તરસમીયા ફીલ્ટ્રેશન પ્લાન્ટ પર પીજીવીસીએલના રીપેરીંગના કારણે સવારે ૭ થી બપોરના ૧ સુધી વીજ પુરવઠો બંધ રહેવાનો હોવાથી તરસમીયા ફીલ્ટ્રેશન પ્લાન્ટ હેઠળ આવતા તમામ વિસ્તારોમાં પાણી પુરવઠો અનિયમિત મળશે તેમ વોટરવર્કસ કમિટિના ચેરમેન મનભા મોરી અને વોટરવર્કસ વિભાગના ઈજનેર એમ.વી. રાઠોડે જણાવ્યું છે.
- ગઈકાલે શેત્રુંજી ડેમ સાઈટ પર અને આજે તરસમીયા ફીલ્ટ્રેશન પ્લાન્ટ પર વીજ પુરવઠો બંધ
- સવારે ૭ થી બપોરે ૧ પીજીવીસીએલના રીપેરીંગના કારણે તરસીમીયા ફીલ્ટર હેઠળ આવતા વિસ્તારોમાં પાણી અનિયમિત
સીદસરથી પાવર સપ્લાય બંધ રહેવા પાછળનું કારણ પ્રિ-મોન્સુન કામગીરી નિમિતે રીપેરીંગ કામગીરી હોવાનું વોટરવર્કસ ઈજનેરે જણાવી ઉમેર્યુ હતુ કે, કાળીયાબીડ અને ભરતનગર વિસ્તારમાં પાણી વિતરણ વ્યવસ્થાને અસર થશે. જ્યારે વોટરવર્કસ કમિટિના ચેરમેન મોરીએ ભરતનગર, સિંધુનગર, શ્રીનાથજીનગર અને હિલડ્રાઈવમાં પણ પાણી પુરવઠો અનિયમિત રહેશે તેમ જણાવ્યુ હતુ.
એક તરફ મહાપાલિકાના શાસકો મહીપરીએજમાંથી વધારાનુ ૧૦ એમએલડી પાણી મળવા બાબતે તારીખો લંબાવીને બણગા ફુંકી રહ્યા છે ત્યારે વોટરવર્કસ કમિટિના ચેરમેન, વોટરવર્કસ ઈજનેર અને નગરસેવકોને પ્રજાને જવાબો આપવા મુશ્કેલ બની ગયા છે. વીજ પુરવઠાના કારણે પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ છે તે માની લઈએ પણ મહાપાલિકાના શાસકો પાણી બાબતના આયોજનમાં ઝીરો સાબીત થયા છે તે નક્કર હકીકત છે. લોકો અગાઉથી એકાતરા પાણી કાપના કારણે પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે આવા વધારાના કાપ અને અનિયમિત પાણી વિતરણથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જોકે સહનશીલ પ્રજા મુશ્કેલી વેઠવા ટેવાઈ ગઈ હોય અત્યાર સુધી બધુ ચલાવી લેવાયુ છે પણ આગામી દિવસોમાં પ્રજાની ધીરજ ખુટી તો મહાપાલિકાના શાસકોએ પાણી મામલે ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવુ પડે તેમ છે.