સુરત તા. ૧૦
અઠવાલાઇન્સ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાયેલા શહેરી ગરીબ કલ્યાણ મેળામાં જરૂરિયાતમંદોને રૂ. ૧૧૭ કરોડની સાધન સહાય આપવામાં આવી હતી. આ મેળાનો શહેરના ૧૧૨૮૬ જરૂરિયાતમંદોએ લાભ લીધો હતો.
- ત્રણ તબક્કામાં થયેલા આયોજનમાં ૬૪૨ મેળાઓમાં રૂ. ૮૫૦૦ કરોડ લોકોને અપાયા
ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મંગુભાઇ પટેલે કેન્દ્ર સરકાર સામે પ્રહાર કર્યા હતા. તેમણે મુખ્યમંત્રી મોદીની સ્ટાઇલમાં જણાવ્યું કે, ભૂતકાળમાં કેન્દ્રની સ્વ. રાજીવ ગાંધીની સરકારે કબૂલાત કરી હતી કે, દિલ્હીથી નીકળતા ૧૦૦ રૂપિયા લોકો સુધી પહોંચતા ૧૫ રૂપિયા થઇ જાય છે. ૮૫ રૂપિયાનો હિસાબ મળતો નથી. જોકે, આજે રાજ્યમાં ગાંધીનગરથી નીકળતા રૂ. ૧૧૭ કરોડ પૂરેપૂરા લોકોના હાથમાં જાય છે. તેમણે રાજ્ય સરકારની સિદ્ધિઓના બરાબર ગુણગાન ગાયા હતા. રાજ્ય સરકારે ગરીબ કલ્યાણ મેળાના ત્રણ તબક્કામાં ૬૪૨ ગરીબ કલ્યાણ મેળાઓમાં ૫૮ લાખ જરૂરિયાતમંદોને ૮૫૦૦ કરોડ રૂપિયા સીધા લોકોના હાથમાં આપ્યા છે.
રાજ્ય સરકાર સરપંચને રૂ. ૧ લાખ આપે છે, તો બીજા ૫૦ હજાર આપી લોકો સામેથી લોકભાગીદારીમાં જોડાય છે એવું રાજ્યમાં પારદર્શીય વાતાવરણ ઊભું થયું હોવાનું તેમણે ઉમેર્યું હતું.