અમદાવાદ,તા.૧૦
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના રાજીવ ગાંધી ભવનમાં આજે એ.આઇ.સી.સી.ના ગુજરાતના પ્રભારી મોહન પ્રકાશે 'કોંગ્રેસ હેલ્પ લાઇન'નું ઉદઘાટન કર્યું હતુ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને સામાન્ય પ્રજાને ગુજરાતની ભાજપ સરકારના શાસનમાં પડતી મુશ્કેલીઓ, પ્રશ્નો અને કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં સમાવવા માટેના સુચનો સીધા પ્રજા પાસેથી મંગાવશે. કોંગ્રેસ હેલ્પ લાઇન થકી પ્રજાના મળેલા સુચનોને કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં સમાવવામાં આવશે તેવી કોંગી અગ્રણીઓએ જણાવ્યું હતુ.
- ભાજપ શાસનમાં પડતી મુશ્કેલીઓ, પ્રશ્નોને વાચા મળશે : મોઢવાડિયા
ગુજરાતના પ્રભારી મોહન પ્રકાશે જણાવ્યું કે, આ હેલ્પ લાઇન શરૂ કરીને પ્રજાને કોંગ્રેસ સાથે સીધી રીતે સાંકળવાનો પ્રયાસ કરાયો છે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા માટે લોકોને હેલ્પ લાઇન દ્વારા સુચનો મેળવવાની વાતથી લોકોની ભાગીદારી વધશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, રાજકીય પક્ષ તરીકે પોતાની હેલ્પ લાઇન શરૂ કરનાર ગુજરાતમાં કોંગ્રેસ પ્રથમ છે. આ હેલ્પ લાઇનથી લોકો સરકાર સામેની ફરિયાદ કરી શકશે અને કોંગ્રેસ વિશેની માહિતી મેળવી શકશે. નિવૃત આઇએએસ અધિકારી આર.આર.મહેતા ફરિયાદ સેલના કન્વીનર તરીકે નિમાયા છે તેઓ હેલ્પ લાઇનની મળેલી દરેક ફરિયાદની સમીક્ષા કરીને સંબધિત
સરકારી અધિકારી સમક્ષ તે ફરિયાદની રજુઆત કરશે. વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં ઉમદા પ્રણાલી હતી કે ફરિયાદ કરનારને ફરિયાદનો જવાબ ચોક્કસ દિવસમાં મળી જતો હતો. આજે તો ભાજપના શાસનમાં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનીધિઓને પણ જવાબ આપવામાં આવતો નથી. ગુજરાતના મુખ્યમંત્રીએ સરકારી તંત્રને એ કક્ષાએ ખરાબ કરી દીધું છે કે વિરોધ પક્ષના નેતાને પણ જવાબો મળતા નથી. સચિવાલયમાં તમારો ભાઇ બેઠો છે તેને પોસ્ટકાર્ડ લખજો કહેનાર મુખ્યમંત્રીએ અનેક બહેનોએ કરેલી ફરિયાદનો જવાબ મળતો નથી. કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકેની તેની ભુમિકા નિભાવશે અને લોકોને મળેલી ફરિયાદોનો ઝડપી નિકાલ કરાવશે. આઇઇ.ટી સેલ દ્વારા કરાયેલા પ્રેઝેન્ટેશનમાં જણાવ્યું કે, કોંગ્રેસ ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૦૦ ૫૫૫૨ ઉપર ફેક્સ, મેસેજ કે ફોન દ્વારા નોંધાવી શકશે. ઓનલાઇન helpline@gujaratcongress.org પોતાની ફરિયાદ નોંધાવી શકાશે, આ ઉપરાંત ફેસબુક પર પોતાની માહિતી મોકલી શકાશે.