નવી દિલ્હી, તા. ૧૧
કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પા પુનઃ મુખ્યપ્રધાનપદે આરૂઢ થવા ભાજપ હાઈ કમાન્ડ સમક્ષ ધમપછાડા કરી રહ્યા છે ત્યારે તેમની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જે માઇનિંગ કૌભાંડ બદલ યેદીયુરપ્પાએ મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી તે કેસમાં જ સુપ્રીમ કોર્ટે આજે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે, જોકે, યેદીયુરપ્પા માટે રાહતની બાબત એ છે કે કોર્ટે વધુ આદેશ ન અપાય ત્યાં સુધી કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સામેના તમામ કેસોની સુનાવણી પર સ્ટે મૂકી દીધો છે.
કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સામેના કેસોની સુનાવણી પર કોર્ટનો સ્ટે
મુખ્ય ન્યાયાધીશ એસ. એચ. કાપડીયાના અધ્યક્ષપદે સુપ્રીમની બેન્ચે માઈનિંગ કંપની દ્વારા તેમના પરિવારની માલિકીનાં પ્રેરણા ટ્રસ્ટને જંગી દાન આપવાના આક્ષેપોમાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. સુપ્રીમની બેંચે ૩જી ઓગસ્ટ સુધી તેમની સમક્ષ અહેવાલ રજૂ કરવા સીબીઆઈને સૂચના આપી છે.
સેન્ટ્રલ પાવર્ડ કમિટી દ્વારા કરાયેલી ભલામણને સ્વીકારીતાં સુપ્રીમે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. અદાલતનો ચુકાદો સંભળાવતાં ન્યાયાધીશ સ્વાતંતેર કુમારે જણાવ્યું હતું કે સીબીઆઈ તપાસ પૂર્ણ કર્યા બાદ સક્ષમ અદાલત સમક્ષ તેનો અહેવાલ રજૂ કરશે. અદાલતે રાજ્યની બધી જ સંસ્થાઓને પણ સીબીઆઈને સહયોગ આપવા સૂચના આપી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સીઈસીએ આ કેસમાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. સીઈસીએ આક્ષેપ કર્યો હતો કે માઈનિંગ લીઝ મંજૂર કરવામાં કથિત ગેરરીતિ આચરવામાં આવી હતી. માઈનિંગ કંપનીએ કોન્ટ્રાક્ટ મેળવવા પ્રેરણા ટ્રસ્ટને જંગી દાન આપ્યું હતું.
સુપ્રીમે યેદીયુરપ્પાના વકીલ ગીરીને આ કેસ સંબંધિત બધા જ દસ્તાવેજો સીબીઆઈને પૂરા પાડવા જણાવ્યું હતું. આ સંદર્ભમાં ગીરીએ જણાવ્યું હતું કે સીબીઆઈ તપાસ માટે અદાલતે જે દસ્તાવેજો માગ્યા છે તે બધા જ દસ્તાવેજો વિશેષ ન્યાયાધીશના માર્ગદર્શન હેઠળ ચાલતી તપાસસંસ્થા પાસે છે. અદાલતે જણાવ્યું હતું કે તેની પાસેના દસ્તાવેજો સ્પષ્ટપણે કર્ણાટક જમીન હસ્તાંતરણ કાયદાનો ભંગ થતો હોવાનું દર્શાવે છે.
યેદીયુરપ્પાએ સુપ્રીમના ચુકાદાને આવકાર્યો
બી. એસ. યેદીયુરપ્પાએ શુક્રવારે તેમની સામેના ગેરકાયદે માઈનિંગ કેસમાં સીબીઆઈ તપાસના સુપ્રીમના ચુકાદાને આવકાર્યો હતો. મૈસૂર નજીક નાનજાન્ગુડમાં એક સમારંભ દરમિયાન યેદીયુરપ્પાએ કહ્યું હતું કે મુખ્યપ્રધાન તરીકે તેમના સમયકાળ દરમિયાન ગેરકાયદે માઈનિંગ કેસમાં સુપ્રીમના સીબીઆઈ તપાસના ચુકાદાને તે આવકારે છે. તેમણે વડાપ્રધાન સમક્ષ પણ ૨૦૦૦થી મારા સમયકાળ સુધી સીબીઆઈ તપાસની માગ કરી હતી. તેમણે ગેરકાયદે માઈનિંગ કામ અટકાવ્યું હોવાથી તેમની સામે રાજકીય કાવતરું ઘડીને આ કેસમાં તેમને ફસાવાયા છે, પરંતુ આ રાજકીય કાવતરાંમાંથી બહાર નીકળતાં તેમને આવડે છે.