ઋતુગત - શ્રીલેખા શાહ
બાળકને અળાઈઓ થઈ હોય તો તેના ડાઈપર વારંવાર બદલવાનું રાખો. ડાઈપર ભીનું થાય કે તરત બદલી નાંખો.
ઉનાળાની ઋતુમાં વધતી જતી ગરમી અને ભેજ અનેક પ્રકારની સમસ્યાઓ સર્જે છે. અળાઈઓ એ ઉનાળામાં થતી અને ખૂબ પજવતી સમસ્યા છે. જેઓને આ સમસ્યા નડે છે તેઓ માટે ઉનાળો અસહ્ય બની જાય છે.
ગરમી અને ભેજને કારણે પુષ્કળ પરસેવો થાય છે. પરેસવાને કારણે ત્વચા પર ખંજવાળ અને ત્યારબાદ બળતરા ઉત્પન્ન થાય છે. અળાઈની સમસ્યા ત્વચાના રૃંધાઈ ગયેલા છિદ્રોને કારણે થાય છે. કચરો કે મૃત
ત્વચાને કારણે છિદ્રો પૂરાઈ જાય છે. પૂરાયેલા છિદ્રોમાંથી પરસેવો બહાર નીકળી શક્તો નથી. જેના પરિણામે બેકટેરિયા ઉત્પન્ન થઈને ત્વચા પર ખંજવાળ અને બળતરા ઉત્પન્ન થાય છે. ત્વચા પર ઝીણી ફોલ્લીઓ થાય છે. આ સમસ્યા સામાન્ય રીતે ડોક, સ્તનોની નીચે, બગલ, જાંઘ અને પીઠ પર થાય છે.
અળાઈઓથી દૂર રહેવાનો શ્રેષ્ઠ ઉપાય શરીરને ઠંડુ રાખવાનો છે. શરીરની ગરમીને નિયંત્રણમાં રાખે તેવા ઉપાયો કરો. તરબૂચ, કોકમનું શરબત, કાકડી, નાળિયેર વગેરેનું સેવન લાભદાયક છે. બીજાં ઉપાયો નીચે મુજબ છે.
* શેકેલા ચણાના લોટમાંથી બનાવેલું સત્તુ અળાઈઓમાં ઘણી રાહત આપે છે. શેકેલા ચણાના લોટમાં પાણી અને ખાંડ મેળવીને સત્તુ બનાવવામાં આવે છે. સત્તુનો ઉપયોગ રોજ નિયમિત રીતે કરવો જોઈએ.
* તરબૂચનું સેવન ઉનાળામાં થતી અળાઈઓમાં ખૂબ રાહત આપે છે. તરબૂચનું સેવન શરીરની ગરમીને ઘટાડે છે. તરબૂચનો બાહ્ય ઉપયોગ શરીર પરની ગરમીને ઘટાડીને અળાઈઓમાં રાહત આપે છે. તરબૂચની અંદરના લાલ ગરનો ખાવામાં ઉપયોગ કરો અને છાલની અંદર રહેલા ગરને કાઢીને ત્વચા પર લગાવો. અંદરના લાલ ગરને છૂંદીને પણ ત્વચા પર લગાવી શકાય.
* નાળિયેરનું પાણી ઉનાળાની ગરમીમાં ઠંડક આપે છે. નાળિયેરનું પાણી ગરમ શરીરને ભીનાશ આપીને શરીરના તાપમાનમાં ઘટાડો કરે છે અને અળાઈઓને મટાડે છે. નાળિયેરના પાણીને અળાઈઓ પર લગાવો.
* ગુલાબજળમાં સુખડનો પાવડર મેળવીને અળાઈઓ પર લગાવો.
* પાણીમાં કડવા લીમડાના પાન ઉકાળીને તે પાણીને ગાળી લો. પાણી ઠંડુ પડે પછી તેને અળાઈઓ પર લગાવો.
* કોપરેલમાં કપૂરના ટુકડાને ઓગાળીને અળાઈઓ કે લાલાશ પર લગાવો. તેનાથી તત્કાલ રાહત મળશે દિવસમાં ત્રણ- ચાર વાર લગાવતા રહો.
* શરીરની ગરમીને દૂર કરવામાં કોકમ ઉપયોગી છે. કોકમને પાણીમાં ત્રણચાર કલાક સુધી પલાળી રાખો. પછી પાણીને ઉકાળીને , ગાળીને ઠંડુ પડવા દો. તેમાં સાકર નાંખીને પીઓ. કોકમનું શરબત બજારમાં પણ મળે છે.
* મુલતાની માટી તેના શીતળ ગુણો માટે જાણીતી છે. પાણીમાં માટીને પલાળીને અસરગ્રસ્ત ભાગ પર લગાવો. સૂકાવા દો. સૂકાઈને ત્વચા ખેંચાવા માંડે ત્યાર પછી ઠંડા પાણીથી સ્નાન કરી લો. પરસેવાથી અને કચરાથી પૂરાઈ ગયેલા છિદ્રો ખુલી જશે અને અળાઈઓ મટી જશે. ગ્રામ્ય વિસ્તારોમાં આ ઉપાય ખૂબ જાણીતો છે.
* કુંવારપાઠુ ત્વચાની સમસ્યાઓને દૂર કરવા માટે જાણીતી વનસ્પતિ છે. તેમાં રહેલો જેલ જેવો ચીકણો પદાર્થ ત્વચા પર લગાવવાથી અળાઈ, લાલાશ વગેરેમાં રાહત મળે છે. આ જેલને વારંવાર લગાવતા રહો.
* ઉનાળામાં ઠંડા પાણીનું સ્નાન બે-ત્રણ ચાર વાર કરવાથી ઘણી રાહત મળે છે. ઠંડા પાણીમાં બોળેલા ટુવાલને અસરગ્રસ્ત ભાગ પર મૂકો. તેનાથી શરીરનું તાપમાન નીચું જાય છે અને ખંજવાળ- બળતરામાં રાહત મળે છે.
* ઉનાળામાં ગરમ પાણીથી સ્નાન કરવાનું ટાળો.
* શરીર પર પરસેવો થાય કે તરત તેને લૂછી નાંખો. ખૂબ પરસેવો થાય તો તેને ઠંડા પાણીથી ધોઈ નાંખો. તેને ત્વચા પર સૂકાવા દેશો નહિ.
* ઉનાળામાં કુદરતી સામગ્રીમાંથી બનેલા, ઢીલાં વસ્ત્રો પહેરો. ત્વચા પર હવા લાગવા દો.
* કૃત્રિમ કાપડના પોલીસ્ટર વસ્ત્રો પહેરવાનું ટાળો. આવું કાપડ અળાઈની સમસ્યામાં વધારો કરે છે.
* બાળકને અળાઈઓ થઈ હોય તો તેના ડાઈપર વારંવાર બદલવાનું રાખો. ડાઈપર ભીનું થાય કે તરત બદલી નાંખો.
* તરબૂચ, ટેટી, કાકડી, અનનાસ, ખાટાં ફળો, કૂણું નાળિયેર વગેરે જેવા ઉનાળુ ફળોનું સેવન કરો.
* ઉનાળામાં વોટર- બેઝડ્ મોઈશ્યરાઈઝરનો ઉપયોગ કરો.
* ઉનાળામાં બહાર નીકળો ત્યારે હેટ, ટોપી, છત્રી તેમજ સનસ્ક્રીન લોશનનો અચૂક ઉપયોગ કરો. બહાર નીકળવાના અડધા કલાક પહેલાં લોશન લગાવી દો.
* પૂરતું પાણી પીને શરીરને ભીનું રાખો.