સુરત, તા.૧૧
ગુજરાત રાજ્યના કૃષિ મહોત્સવ પ્રસંગે ગણદેવી સુગર ફેકટરી દ્વારા ફેકટરીના પટાંગણમાં ખેડૂત શિબિર યોજવામાં આવ્યો હતો. આ તકે ખાંડ ઉદ્યોગ પર લદાયેલા તમામ નિયંત્રણો દૂર કરવાની માંગ સાથે ખેડૂતોએ એક ઠરાવ પસાર કર્યો હતો.
પ્રારંભે ચેરમેન જયંતીલાલ પટેલે નવસારી કૃષિ યુનિ.ના તજજ્ઞા ડો.સી.એલ.પટેલ, ડો. ડી.યુ.પટેલ, ગુજરાત ખાંડ ઉદ્યોગ સહકારી સંઘની ખેતી સમિતિના અધ્યક્ષ વાંઝણાના રતિલાલ પટેલ, કાપણી વાહતુક સમિતિના અધ્યક્ષ જયંતીભાઈ પટેલનું સ્વાગત કર્યું હતું અને ખાંડ ઉદ્યોગ પર સરકારના નિયંત્રણોથી થતા લેવી સ્ટોક, વેચાણની પરતંત્રતા, પેકિંગમાં બારદાન ખરીદીના નિયંત્રણોથી થતા આર્થિક નુકસાનનો ચિતાર રજૂ કરી કેન્દ્ર સરકારે ખાંડ ઉદ્યોગ પર લાદેલા તમામ નિયંત્રણો દૂર કરવા ઠરાવ રજૂ કરાયો હતો. જેને ખેડૂતોએ તેમના હાથ ઊંચા કરી અનુમોદન આપ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે, દેશની અન્ય સુગર ફેકટરીઓ દ્વારા પણ ઠરાવો પસાર કરી નિયંત્રણો દૂર કરવા લાગણી વ્યક્ત કરી માગણી થનાર છે. ગણદેવી સુગર ફેકટરી વિશે વિગતો આપતાં ચેરમેને જણાવ્યું હતું કે, સિઝન દરમિયાન ૯ લાખ, ૮૨ હજાર, ૮૫૦ ટન શેરડીનું પીલાણ કરી ૧૧ લાખ ૪૭ હજાર ૬૭૭ ક્વિન્ટલ ખાંડ ઉત્પાદન કરી, ૧૧.૬૮ ટકા રિકવરી સાથે ગણદેવી સુગર ગુજરાતમાં પ્રથમ ક્રમે રહી છે. ૧ કરોડ ૧ લાખ લીટર રેકટીફાઈડ સ્પિરિટનું ઉત્પાદન, ૧૬ લાખ ૮૦ હજાર ઈથેનોલ અને ૧૧ લાખ ૨૬ હજાર ઈન્ડસ્ટ્રિયલ આલ્કોહોલનો સ્ટોક છે. મજૂરોની અછતને કારણે ૫ થી ૬ કલાક યંત્ર સામગ્રી સજ્જ છતાં ફેકટરીને નિયત પુરવઠો પ્રાપ્ત ન થતાં દર કલાકે ૩૦ હજાર રૂપિયા લેખે નુકસાન સહન કરવું પડયું છે. માર્ચ પછી ૧૨૦૦ ટન શેરડી સરેરાશ મજૂરોએ માથે ઊંચકીને ખેતર બહાર લાવ્યા છે. જેના ખેડૂતોએ એકર દીઠ આશરે રૂપિયા વીસ હજાર ચૂકવ્યા છે. ઉંદરોના ઉપદ્રવથી ખેતરમાં ૫થી ૬ ટન શેરડીના ટુકડા (બાણિયા) રહ્યા છે. એ માટે તજજ્ઞા અને વિજ્ઞાાનનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
એકર દીઠ વધુ અને ખાંડ નવી વધુ રીકવરી મેળવવા શેરડીની સુધારેલી જાતો ૬૭૧ અને ૮૬૦૩૨ આવતી સિઝનમાં રોપનારને રૂપિયા બસો તથા ૭૦૭ અને ૮૬૦૦૨ પોરનારને એકસો ટન દીઠ વધુ પ્રોત્સાહન રૂપે આપવાની જાહેરાત આ સાથે ચેરમેને કરી હતી. આ ફેકટરીએ ટૂંક સમયમાં ૧ કિલો અને ૫ કિલોના આકર્ષક પેકિંગમાં ખાંડ બજારમાં વેચાણ માટે મૂકવાનું આયોજન કર્યું હોવાનું જણાવ્યું હતું. તજજ્ઞાના વક્તવ્ય પહેલાં મેનેજિંગ ડિરેકટર ગણેશ પાટીલે શિબિરનો હેતુ અને ભૂમિકા સમજાવી હતી. ડો. ડી.યુ. પટેલે શેરડીની ૨૦ જેટલી જાતોની માહિતી આપી એની લાક્ષણિકતાઓ જણાવી હતી.