સુરત, તા. ૧૧
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી માટે આજે સુરતમાં યોજાયેલા મતદાનમાં ૫૫ ટકા જેટલું મતદાન થયું હતું. કુલ ૪૦૨૨ મતદારો પૈકી ૨૨૦૦ જેટલા મતદારોએ મતદાન કર્યું હતું. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી આજે ઉત્સાહના વાતાવરણમાં યોજાઈ હતી. ગુજરાતમાં આ ચૂંટણીમાં ૯૯ ઉમેદવારોએ મેદાનમાં ઝુકાવ્યું છે જેમાં સુરતના ચાર ઉમેદવારો જે.આર.ગાંધી, આર.જી.શાહ, આર.એમ.પટેલ અને નસીમ કાદરીનો સમાવેશ થાય છે. ચૂંટણી પ્રેફરન્સિયલ મતોને આધારે થતી હોઈ ઉમેદવારોએ મતદાર વકીલોને રીઝવવા ભારે જહેમત ઉઠાવી હતી. કુલ ૯૯ ઉમેદવારો પૈકી ૨૫ ઉમેદવારો ચૂંટાશે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીનું વકીલ સમુદાયમાં ઘણું મહત્ત્વ છે. બાર કાઉન્સિલ વકીલો અને ન્યાયના હિતમાં કામ કરે છે અને કડક શિસ્ત પર ભાર મૂકતી હોઈ તેના વલણ પર મહત્ત્વનો આધાર રહે છે.