અમદાવાદ,તા.૧૪
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગુજરાત કોલેજથી એલીસબ્રીજ સુધી એલીવેટેડ કોરીડોર બનાવવાનું કામ ચાલી રહ્યું છે. પરંતુ મ્યુનિ.ના અધિકારીઓએ પોલીસ તંત્ર સાથે સંકલન સાધી એલીસબ્રીજ તરફના છેડાનો ટ્રાફિક ડાઈવર્ટ કરાવવાનું કામ ન કરતાં બ્રીજના કોન્ટ્રાક્ટરે તેનું કામ બંધ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે એલીસબ્રીજનો ટ્રાફિક અંદાજે છ માસ ડાઈવર્ટ કરવાની નોબત આવી હોવાથી રોજના હજારો વાહનચાલકોએ હેરાનગતિનો ભોગ બનવું પડશે.
- મ્યુનિ.એ પોલીસ સાથે સંકલન ન સાધતાં એલિવેટેડ કોરિડોરનું કામ અટક્યું
- અંદાજે છ માસ ટ્રાફિક ડાઈવર્ટ કરવો પડશેઃ હજારો નાગરિકો હાલાકીનો ભોગ બનશે
ગુજરાત કોલેજથી ગાંધીગ્રામ રેલવે ક્રોસિંગ, એમ.જે.લાઈબ્રેરી થઈ એલીસબ્રીજના છેડા સુધી બીઆરટીએસ માટે એલીવેટેડ કોરીડોર બનાવાનું આયોજન છે. આ માટેની કામગીરી છેલ્લા ઘણા મહીનાઓથી ચાલી રહી છે. ગુજરાત કોલેજ તરફના છેડાથી બ્રીજની કામગીરી શરૂ કરાયા બાદ છેલ્લા દોઢ માસથી એલીસબ્રીજ તરફના બ્રીજના છેડાની કામગીરી શરૂ કરાઈ છે. એલીસબ્રીજ પોલીસ સ્ટેશનથી એલીસબ્રીજ સુધીના રોડ પર પતરા બાંધીને નાની-નાની કામગીરી પૂર્ણ કરી લેવાઈ છે.
હવે ત્યાં મોટું કામ શરૂ કરવાનું હોવાથી એલીસબ્રીજ પરથી ટાઉન હોલ ચાર રસ્તા તરફ આવતો અને ટાઉન હોલ ચાર રસ્તાથી એલીસબ્રીજ પર જતો ટ્રાફિક નડતરરૂપ બની રહ્યો છે. તેથી તેને ડાઈવર્ટ કરવાની ફરજ પડી છે. પરંતુ મ્યુનિ.એ પોલીસ તંત્ર સાથે સંકલન ન સાધતાં હજુ સુધી ટ્રાફિક કેવી રીતે ડાઈવર્ટ કરવો તે નક્કિ ન થઈ શકતાં કોરીડોરના કોન્ટ્રાક્ટર રણજિત બિલ્ડકોને તેનું કામ અટકાવી દીધાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. મ્યુનિ. સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં એવું આયોજન કરાયું છે કે એલીસબ્રીજનો જે છેડો ટાઉન હોલ તરફ ઉતરે તે સદંતર બંધ કરી તેનો ટ્રાફિક બ્રીજના બીજા ભાગમાં એટલે ટાઉન હોલ ચાર રસ્તાથી એલીસબ્રીજ શરૂ થાય ત્યાં ડાઈવર્ટ કરી દેવાશે. ઉલ્લેખનીય છે કે એલીસબ્રીજની બન્ને સાઈડ ચાલું હોવા છતાં છેલ્લા દોઢ માસથી માત્ર પતરા બાંધ્યા છે ત્યાં ટાઉન હોલ તરફના બ્રીજના છેડે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે ત્યારે બ્રીજની એક સાઈડમાં જ બન્ને સાઈડનો ટ્રાફિક ચલાવાશે તો ટ્રાફિકની ભારે હાલાકી થશે તે નશ્ચિત છે.
જાણકારોના મતે જો એલીસબ્રીજના છેડે ટ્રાફિકજામ થશે તો તેની વિપરિત અસર એમ.જે.લાઈબ્રેરી તરફના આશ્રમ રોડ પર, વી.એસ.હોસ્પિટલ તરફના રોડ પર અને સામે માદલપુર ગરનાળા તરફના રોડ પર પણ પડશે. ત્યાં પણ સતત ટ્રાફિકજામ રહેશે.
કમિશનર દરખાસ્ત મોકલે એટલે ટ્રાફિકનું ડાઈવર્ઝન શરૂ
ટ્રાફિક ડાઈવર્ટ કરવા માટે ગઈકાલે ડીસીપી(ટ્રાફિક)એ સ્થળ મુલાકાત લઈ જાત નિરિક્ષણ કર્યું હતું. હવે મ્યુનિ. કમિશનર ટ્રાફિક ડાઈવર્ટ કરવા માટે પોલીસ તંત્રને દરખાસ્ત મોકલે એટલે તેનો તાકીદે અમલ શરૂ કરાવી દેવાશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.
વાહન ચાલકોએ કેવી રીતે હાલાકીનો ભોગ બનવું પડશે
* વિક્ટોરિયા ગાર્ડન તરફથી ટાઉન હોલ તરફ જવાનો એલીસબ્રીજની સાઈડ સદંતર બંધ કરી દેવાશે
* ટાઉન હોલ ચાર રસ્તાથી વિક્ટોરિયા ગાર્ડન તરફ જવાની એલીસબ્રીજની સાઈડ પર આવક અને જાવકનો ટ્રાફિક ચલાવાશે
* એક સાઈડમાં બે તરફનો ટ્રાફિક ચાલવાનો હોવાથી ટાઉનહોલ ચાર રસ્તાથી એલીસબ્રીજ શરૂ થાય ત્યાં સુધીના રોડ પર ચક્કાજામ થઈ જશે
* ટ્રાફિકજામ થતાં વાહનોની કતાર એમ.જે.લાઈબ્રેરી તરફ આશ્રમ રોડ પર, માદલપુર ગરનાળા વાળા રોડ પર અને વી.એસ.હોસ્પિટલ તરફના રોડ પર લંબાશે. જેથી ત્યાં પણ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાશે