આણંદ, તા.૧૫
આણંદ તાલુકાના વલાસણ ગામે બોરકુવા પાસે રહેતી એક પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગતરાત્રીના સુમારે શરીર પર જાતે જ કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દીધી હતી જેથી પરિણીતા ભડભડ સળગી ઉઠતાં ગંભીરપણે દાઝી જવા પામી હતી.જેને સારવાર માટે કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસે જાણવાજોગ નોંધ લઈ આ પરિણીતાએ ક્યા કારણોસર આ પગલુંભર્યુ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવની જાણ વાયુવેગે વલાસણ ગામે પ્રસરી જતાં અનેક તર્કવિતર્કો સાથે ભારે ચકચાર મચી જવા પામી છે.
આણંદ તાલુકાના વલાસણ ગામે બોરકુવા પાસે રહેતા જાગૃતિબેન મહેન્દ્રભાઈ મકવાણા ઉ.વ.૩૫ નામની પરિણીતાએ ગતરાત્રીના ૧.૧૫ વાગ્યાના સુમારે પોતાના ઘરે જાતે જ શરીર પર કેરોસીન છાંટીને દિવાસળી ચાંપી દેતા તેણીની ભડભડ સળગી ઉઠી હતી જેની જાણ જાગૃતિબેનના પરિવારજનોને થતાં તેઓ ચોંકી ઉઠયા હતા અને તાત્કાલીક તેણીને લાગેલી આગ બુઝાવી પરિણીતાને તાત્કાલીક સારવાર માટે કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
૬૦ ટકા ઉપરાંત દાઝી ગયેલી પરિણીતાનો લગ્નગાળો ૧૭ વર્ષનો છે તેણે ક્યા કારણોસર અગ્નિસ્નાન કર્યુ તે જાણી શકાયું નથી આ અંગે હોસ્પિટલ દ્વારા વિદ્યાનગર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે જાણવાજોગ નોંધ લઈ તેણીનું નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે.