સુરત, તા. ૧૫
ઉપરોક્ત ત્રણેય કિસ્સાઓમાં કોમન બાબત એ છે કે ત્રણેય વિસ્તારો ભીડભાડવાળા છે. અજાણી વ્યક્તિને આ રીતે ઇજા પહોંચાડી એચઆઇવી ફેલાવવાનો હેવોક ફેલાવાઇ રહ્યો છે. એચઆઇવીગ્રસ્ત દર્દીઓને સમાજ અછૂત સમાન ગણે છે. જેથી કેટલાંક ટીખળખોરો આ પ્રકારે અજાણ્યા પર હૂમલો કરી વિકૃત આનંદ માણી એચઆઇવીગ્રસ્તોને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
- ભીડવાળા વિસ્તારોમાં સોય કે ટાંકણી વડે અજાણ્યાને ઇજા પહોંચાડી વિકૃત આનંદ લે છે
- હેવોક ફેલાવી ટીખળખોરો દ્વારા એચઆઇવીગ્રસ્તોને બદનામ કરવાનો પ્રયાસ
- છેલ્લાં ચાર મહિનામાં સિવિલ હોસ્પિટલમાં ચકાસણી અર્થેના ત્રણ કેસ નોંધાયાં
સિવિલ હોસ્પિટલના એઆરટી સેન્ટરના સિનિયર મેડિકલ ઓફિસર ડો. આલાપ મહેતાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, સામાન્ય રીતે એચઆઇવીગ્રસ્ત દર્દીઓને સમાજ તરફથી સહાનૂભૂતિ મળતી હોય છે પણ એચઆઇવીથી પીડાતા કેટલાક દર્દીઓની માનસિકતા અત્યંત વિકૃત હોય છે. એચઆઇવીથી પિડીત દર્દીઓમાંથી માંડ એક ટકા દર્દીઓ જ આવી મનોવૃત્તિ ધરાવે છે. તેઓ એવું વિચારે છે કે તેમને આ ભયાનક રોગ સમાજ તરફથી જ ભેટમાં મળ્યો છે. દર્દીઓને સમાજ હડધૂત કરે છે- અછૂત સમાન ગણે છે. આમ,ચોમેરથી તિરસ્કાર કરાતા એચઆઇવીગ્રસ્ત દર્દીઓ માનસિક રીતે પડી ભાંગે છે અને બાદમાં તેઓમાં બદલો લેવાની ભાવના જન્મે છે, જેથી સમાજમાં આ રોગ ફેલાવવા આ પ્રકારે ભીડભાડવાળા વિસ્તારો પસંદ કરી ટાંકણી કે સોય વડે પોતાના પર ઇજા કરી તે બ્લડવાળી ટાંકણી કે સોંય વડે અજાણ્યાને નિશાન બનાવી ઇજા પહોંચાડતા હોવાની શક્યતા છે. જો કે, કેટલીક વખત ટીખળખોરો પણ આવું કૃત્ય કરતા હોય છે. સમાજમાં એચઆઇવીનો ખૌફ ફેલાવવાનું કહીંને ભય ફેલાવે છે. એચઆઇવીગ્રસ્તોને બદનામ કરવાના ઇરાદા સાથે કેટલાંક ટીખળખોરોની આવી માનસિક વિકૃતિ હોય છે. મોટાભાગના કિસ્સામાં ટીખળખોરો જ આવું કૃત્ય કરતા હોય છે. ડો. મહેતાએ ઉમેર્યું કે, છેલ્લાં ચારેક મહિનામાં ઉપરોક્ત ત્રણ કેસ સિવિલ હોસ્પિટલમાં નોંધાયાં છે. અજાણ્યા દ્વારા ઇજા પહોંચાડાતા ત્રણેય દર્દીઓ ગભરાટના માર્યા એચઆઇવી ટેસ્ટિંગ માટે સિવિલ દોડી આવ્યા હતા. સદ્નસીબે ત્રણેયનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. સામાન્ય રીતે આવા કેસ બનતા જ હોય છે પણ લોકો તેને ગંભીરતાથી ન લઇ સારવાર કરાવતા નથી. તેમણે વધુમાં ઉમેર્યુ કે, આ રીતે ઇજા પહોંચાડી એચઆઇવીનો ચેપ લાગવાની શક્યતા બહુ ઓછી છે. એચઆઇવીના જીવાણું આઠ મિનિટ સુધી જ હવામાં જીવંત રહે છે. એક હજારે ત્રણ કેસમાં જ આ રીતે હૂમલો કરાયા બાદ એચઆઇવી પોઝિટિવ થવાની શક્યતા રહેલી છે. આ રીતે જો અજાણ્યા દ્વારા ટાંકણી કે સોય વડે ઇજા પહોંચાડાઇ તો તે વ્યક્તિએ લોહીવાળો ભાગ તુરંત સાબુ અને પાણીથી ધોવો જોઇએ અને તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવા પણ તેમણે જણાવ્યું હતું.
કિસ્સો-૧
ભટારમાં એક મહિલા શાકભાજી ખરીદી રહી હતી. દરમિયાન અન્ય મહિલા તેમના તરફ આવી અને તેણીને વાતોમાં ભોળવી શાકભાજી ખરીદવા આવેલી મહિલાને ટાંકણી જેવા સાધન વડે હાથ પર ઇજા પહોંચાડી હતી અને બાદમાં અજાણી મહિલા ભાગી ગઇ હતી.
કિસ્સો-૨
રેલવે સ્ટેશન વિસ્તારમાં રિક્ષામાંથી ઊતરી રહેલા એક મુસાફરને અન્ય મુસાફરે પાછળથી સોય કે ટાંકણી જેવા સાધન વડે પીઠ પર હૂમલો કર્યો હતો અને બાદમાં ભાગી ગયો હતો. રિક્ષામાંથી ઉતરેલો મુસાફર પીઠના ભાગેથી બ્લિડિંગ થતા ગભરાઇ ગયો હતો.
કિસ્સો-૩
મહિધરપુરામાં હીરાબજારમાં ભારે ભીડ વચ્ચે એક આધેડ વયની વ્યક્તિને એક યુવાન હાથના ભાગે ટાંકણી મારી દીધી હતી. આધેડ વ્યક્તિ કંઇક સમજે ત્યાં સુધીમાં તો તે યુવાન ભાગી ગયો હતો અને આધેડના હાથમાંથી લોહી નીકળવા લાગ્યું હતું.