વલસાડ, તા. ૧૬
વલસાડ જનસેવા કેન્દ્ર ખાતે અરજદારોએ સતત બીજા દિવસે પણ ભારે ધસારો કરતા સર્જાયેલી અંધાધંૂધીના પગલે કેટલાક અરજદારોએ જિલ્લા કલેકટરનો સીધો જ ટેલિફોનિક સંપર્ક કરવા ઉપરાંત કેટલાક અરજદારો જિલ્લા પોલીસ કંટ્રોલ રૂ મ પર પહોંચી ગયા હતાં. આ બાબતથી હરકતમાં આવેલા મામલતદારોની ટીમ, એક ખાનગી સિક્યુરિટી ગાર્ડ સહિત પોલીસની મદદથી તમામ અરજદારોને જનસેવા કેન્દ્રની બહાર કાઢી, ટોકન પદ્ધતિનો કડક અમલ કરાવતા મામલો થાળે પડયો હતો. આ હૂંસાતૂસી દરમિયાન વધુ એક યુવતી બેભાન થઇ ઢળી પડી હતી.
- લાંબી લાંબી લાઈન લાગી જતા અમલી બનાવાયેલી ટોકનપ્રથાના ધજિયા ઊડયા
- ટોકન અરજદારોએ કલેકટરને ફરિયાદ કરી તો કેટલાક પોલીસ કંટ્રોલ રૂ મમાં પહોંચ્યા
- અમલદારો અને પોલીસનો કાફલો દોડી આવ્યો
વલસાડ જનસેવા કેન્દ્ર ખાતે ગતરોજની જેમ આવક, જાતિ, ઉન્નત વર્ગ સહિતના દાખલા મેળવવા વિદ્યાર્થીઓ તથા વાલીઓએ ભારે ધસારો કરતા આજરોજ ફરી અંધાધૂંધી સર્જાઇ હતી. અરજદારોના ધસારાને ધ્યાને લઇ ગતરોજથી ટોકન પ્રથા અમલી બનાવાઇ હતી. ગતરોજ મોડી સાંજે આશરે ૨૧૨ અરજદારોને ટોકન અપાયા હતાં. ટોકન પ્રથા અમલી બનાવાતા અરજદારોને રાહત થઇ હતી. આજરોજ ટોકન મેળવનારા અરજદારો જનસેવા કેન્દ્રમાં પહોંચે તે પહેલાં જ ગ્રામ્ય વિસ્તારના અરજદારો કતારો લગાવી દેતા ટોકનધારકો હાંસિયામાં ધકેલાયા હતાં. જનસેવા કેન્દ્ર ખુલ્લું મુકાતાની સાથે જ તમામ અરજદારોએ કચેરીમાં દોટ મૂકતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગઇકાલની સરખામણીમાં સ્થિતિ વધુ કથળે તેવી શક્યતાના આધારે ટોકન મેળવનારા અરજદારોએ જિલ્લા કલેકટર એલ.સી.પટેલનો મોબાઇલ નંબર મેળવી ટેલિફોનિક ફરિયાદ કરી હતી અને જનસેવા કેન્દ્રમાં અરજદારો વચ્ચે ઘર્ષણ થાય તેવી શક્યતા દર્શાવી કેટલાક અરજદારો જિલ્લા પોલીસ કંટ્રોલરૂ મ ખાતે પહોંચ્યા હતાં. અરજદારોએ કરેલી ઉપરાછાપરી ફરિયાદના પગલે જિલ્લા કલેકટરે વલસાડ ખાતે હાજર નાયબ મામલતદારો સહિત તેમના અંગત મદદનીશને સ્થળ પર જઇ ત્વરીત કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. નાયબ મામલતદારોની ટીમે ખાનગી સિક્યુરિટી ગાર્ડ તથા પોલીસ કર્મચારીઓ તથા વલસાડ પાલિકાના કર્મચારીઓની મદદ મેળવી હતી. અરજદારોને ટોકન પ્રથાનો અમલ કરવાનો અનુરોધ કરાયો હતો પરંતુ અરજદારો ટસથી મસ ન થતા નાયબ મામલતદારોએ સંપૂર્ણ કામગીરી બંધ કરાવી દેવાનો નિર્ણય લીધો હતો. તમામ અરજદારોને બહાર કઢાયા બાદ જ કામગીરી શરૂ કરવાનો નિર્ણય લેતા અરજદારો તથા વહીવટી તંત્રના અધિકારીઓ સામસામે આવી ગયા હતાં.
આશરે ૧ કલાક સુધી દાખલા આપવાની કામગીરી બંધ કરાવી ટોકન પ્રથા મુજબ જ દાખલા આપવાની કામગીરી શરૂ કરાઇ હતી. અને જનસેવા કેન્દ્રમાં માત્ર ૧૦ અરજદારોને એન્ટ્રી અપાઇ હતી. ટોકન ન ધરાવતા અરજદારોને સહી તથા સિક્કાવાળા ટોકન આપવામાં આવ્યા હતાં. ટોકન પ્રથાનો અમલ શરૂ કરાતાની સાથે જ જનસેવા કેન્દ્રના કર્મચારીઓ સહિત અરજદારોમાં રાહતની લાગણી ફેલાઇ હતી. આ અફરાતફરી દરમિયાન પિતા સાથે આવેલી એક વિદ્યાર્થિની ઢળી પડી હતી.