વિજાપુર, તા.૧૬
વિજાપુર તાલુકાના ફલુ ગામે રહેતા એક પરિવારની ૩ વર્ષની માસુમ બાળાને કોઈ નરાધમ દ્વારા ઉપાડી જઈને બળાત્કાર કરી તેની કરપીણ હત્યા કરી લાશ ખેતરમાં ફેંકી દેતાં પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.પોલીસે લાશનો કબજો લઈ આગળની તપાસ હાથ ધરી છે.
- વિજાપુર તાલુકાના ફલુ ગામમાં બનેલો બનાવ
- રાત્રે ગુમ થયેલી બાળાની લાશ સવારે ખેતરમાંથી મળી આવતા પંથકમાં અરેરાટી
વિજાપુર પોલીસ સૂત્રોના અને ઘટનાસ્થળેથી મળતી મળતી વિગતો મુજબ તાલુકાના ફલુ ગામમાં રહેતી ત્રણ વર્ષની બાળા તેના દાદા સાથે ગામમાં કરિયાણાની દુકાને કરિયાણું લેવા ગઈ હતી જ્યાં તેને દાદાએ પેપ્સી અપાવતા તે દુકાનની બહાર રમવા માંડી હતી અને દાદા દુકાનમાં કરિયાણું લેતા હતા અને ત્યાર બાદ કરિયાણું લીધા પછી બાળાને શોધી હતી, પરંતુ તે ત્યાં ન હતી. રમતી રમતી કદાચ બાળા ઘરે ગઈ હશે તેવું વિચારી દાદા ઘરે આવ્યા હતા, પરંતુ તે ઘરે પણ ન હોવાથી દીકરાને વાત કરતા ઘરવાળાઓએ મહોલ્લામાં અને ગામમાં તમામ જગ્યાએ શોધખોળ આદરી હતી, પરંતુ તે ક્યાંય મળી આવી નહોતી. આ વાત ગામમાં પ્રસરતા આખા ગામે પણ ગુમ થયેલી બાળકીની ભાળ મેળવવા પ્રયત્નો કર્યા તેમ છતાં આખી રાત સુધી કોઈ ભાળ મળી ન હતી.
ત્યાર બાદ ફલુ ગામના જ એક ખેડૂત ખેતરમાં પાણી વાળવા માટે ગયેલા અને ત્યાંથી વળતા સમયે સવારે ૬ વાગ્યાના સુમારે ખેતરમાં પાણીની નીકમાંથી એક નાની છોકરીની નીચે પહેરવાની લેંઘી નજરે પડી હતી. ગામમાં બાળા ગુમ થઈ હોવાની વાત તેઓ જાણતા હોવાથી તેઓએ બત્તીના લાઈટના પ્રકાશે ખેતરમાં આસપાસ તપાસ કરતા જુવારના ખેતરની વચ્ચે લાશ તેમને જોવા મળતાં આ અંગે પ્રથમ તેમણે ગામના સરપંચ અને ઘરવાળાઓને જાણ કરતાં બધા જ ખેતરમાં દોડી આવ્યા હતા. સરપંચે કરેલી જાણને પગલે ઘટનાસ્થળે પહોંચેલા વિસનગરના નાયબ જિલ્લા પોલીસ વડા જે. કે. રાઠોડ, પી.આઈ. એમ. એમ. પરમાર, વિજાપુર પી.એસ.આઈ. કટારા દોડી આવ્યા હતા અને ખેતરમાં જોતાં રાત્રે ૮ વાગ્યે ગુમ થયેલી માસુમ બાળાની લાશ નિર્વસ્ત્ર હાલતમાં જોતાં પોલીસને બાળા સાથે બળાત્કાર થયો હોવાનું જણાઈ આવ્યું હતું.
માત્ર ત્રણ વર્ષની બાળકી સાથે બળાત્કાર કરીને તેને મારી નાખ્યાના સમાચારે પરિવારજનોમાં ભારે દુખ અને આઘાતની લાગણી ફેલાઈ ગઈ હતી. પોતાની માસુમ બાળકીની આ દશા જોઈને પરિવારજનોએ ભારે રોક્કળ કરી મૂકી હતી. જ્યારે નાનકડી માસુમ બાળાને બળાત્કાર કરીને મારી નાખ્યાની ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે આક્રોશ સાથે અરેરાટી પ્રસરી જવા પામી હતી અને આટલું અધમ કૃત્ય કરનાર આરોપીને જાહેરમાં ફાંસી આપોના ઉદ્ગારો ગ્રામજનોના મોંઢામાંથી નીકળ્યા હતા. બીજી તરફ વિજાપુર પોલીસે રેપ વિથ મર્ડરની આ ઘટના અંગે ગુનો નોંધી એફ.એસ.એલ. સહિતની ટીમની મદદથી નરાધમ એવા આરોપીને પકડવા માટેની તપાસ આદરી છે.
કપડાં નીકમાંથી મળ્યા
ગામમાં કરિયાણાની દુકાન આગળથી ગુમ થયેલી બાળકીના કપડાં પૈકીની લેંઘી પટેલ અમરતલાલના ખેતરમાં પાણીની નીકમાં જોવા મળતાં તેને આસપાસ તપાસ કરતા બાળાની લાશ જુવારના ખેતરમાં વચ્ચે મળી આવી હતી.
લાશ નિર્વસ્ત્ર હતી
લાશ ખેતરમાં પડી હોવાના સમાચાર મળતાંની સાથે જ ઘટનાસ્થળે પહોંચેલ પોલીસના જણાવ્યા મુજબ લાશ નીચેની લેંઘી કોઈ કાઢી નાખી હોવાથી નીચેના ભાગેથી નિર્વસ્ત્ર હાલતમાં હતી અને તેના ગુપ્તાંગના ભાગે લોહી તેમ જ ઇજા જણાઈ આવતાં બળાત્કાર થયો હોવાનું ફલિત થયું હતું.
મોઢુ દબાવીને હત્યા કરાઈ
બાળાની લાશનું નિરીક્ષણ બાદ પોલીસના કહેવા મુજબ તેના શરીર પર કોઈપણ પ્રકારની ઇજા ન હતી. આથી તેને મોંઢું દબાવીને હત્યારાએ મારી નાખી હોવાનું લાગી રહ્યું છે.
દીકરીને મામાને ઘરે મૂકી હોત તો સારું: પિતા
પોતાની નાનકડી માસુમ દીકરીના આવા મૃત્યુ બાદ ચોધાર આંસુએ રડતા પિતાએ જણાવ્યું હતું કે, સાહેબ મારી દીકરી તેના મામાના ઘરે હતી અને તેને ત્યાં રહેવાની જિદ કરી હતી, પરંતુ મારો છોકરો એકલો ના પડે એટલા માટે હું મારી દીકરીને ૪ દિવસ પહેલાં જ હું મારા ઘરે લાવ્યો હતો અને આ બન્યું એના કરતા દીકરીને મામાને ઘરે મૂકીને આવ્યો હોત તો સારું હતું.
ડોક્ટર શું કહે છે
બાળકીનું પી.એમ. કરનાર વિજાપુર સિવિલના ડો. ગોવિંદભાઈએ સંદેશને જણાવ્યું હતું કે બાળકી સાથે બળાત્કાર કર્યા બાદ હત્યારાએ તેનું મોંઢું દબાવી દેતાં તેનો શ્વાસોચ્છ્વાસ બંધ થઈ ગયો હશે જેને લઈ બાળાનું મોત થયું હોય એવું લાગી રહ્યું છે.
ડીવાય.એસ.પી. રાઠોડ શું કહે છે
રેપ વિથ મર્ડરની ઘટનાને પગલે તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી આવેલા વિસનગરના નાયબ જિલ્લા પોલીસ વડા જે. કે. રાઠોડે સંદેશને જણાવ્યું હતું કે નાનકડી માસુમની હત્યાનો ગુનાનો ભેદ ઉકેલવા માટે અમે ત્રણ જેટલા શકમંદોની પૂછપરછ ચાલુ કરી છે. આગામી સમયમાં કદાચ આ કેસનો ભેદ ઉકેલાઈ જાય તે અંગેના અમારા તમામ પ્રયત્નો ચાલુ છે.