ડાયટ ટિપ્સ -અંગના શાહ
ઉનાળામાં થાક ખૂબ લાગે અને શરીર સાથ ન આપતું હોય તેવું લાગે, પરંતુ ક્યારેક આવી નાની નાની સમસ્યાનો ઉપચાર આપણા રસોડામાં જ હોય છે. રસોડામાં એવાં અનેક ઔષધ છે જે શરીરમાં તાકાત આપે છે અને બદલતી ઋતુ સામે ટકી રહેવા માટે પ્રતિકારક શક્તિ પણ આપે છે. તો ચાલો જાણીએ કાળઝાળ ગરમીમાં નિરોગી રહેવા માટે કેવો આહાર લેવો જોઈએ.
ગરમીમાં શરીરમાં થતી પાણીની કમીને દૂર કરવા માટે ઠંડાં પીણાંનો વપરાશ કરવો જોઈએ તેમજ બેલેન્સ્ડ ન્યુટ્રિશિયન્સ ખોરાક ખાવો જોઈએ. જુદાં જુદાં ઠંડાં શાકભાજીના રસ અથવા શાકભાજી અને ફ્રૂટ્સને મિક્સ કરીને પીવાની આદત પાડવી જોઈએ. તદુપરાંત ગરમીમાં ફ્રૂટ જ્યુસ, ઠંડી છાશ, લીંબુનું શરબત, નાળિયેરનું પાણી પણ શરીરને જોઈતું એકસ્ટ્રા પાણી પૂરું પાડે છે. રોજિંદા ખોરાકમાં નાની નાની બાબતોનું ધ્યાન રાખવાથી એનર્જી લેવલ સાચવી શકાશે.
* બિન્સ, રોટલી વગેરે ખાવાં. બિન્સ એટલે ચણા, રાજમા, બેક્ડ બિન્સ વગેરે ખાવાથી એનર્જી મળી રહે છે. ભૂખ લાગે તો એકાદ વાટકી નટ્સ લેવાની આદત રાખો. ઘણી વાર વધુ પડતી ખાંડવાળાં પીણાં લેવાથી બ્લડસુગર એકદમ ઉપર જઈને તરત જ નીચી જતી રહે છે. જ્યારે બિન્સ વગેરે ખાવાથી સુગરનું બેલેન્સ પણ જળવાઈ રહે છે.
* દિવસમાં વચ્ચે વચ્ચે ચા કોફી પીવાની આદત પણ રાખો. ઘણી વાર દિવસ દરમ્યાન એકાદ વખત ચા-કોફી લેવાથી એનર્જીનું લેવલ વધતું હોય છે. ખૂબ ગરમીમાં ગરમ ચા ના ભાવે તો ઓછી ખાંડવાળી આઇસ ટી પણ લઈ શકાય, પરંતુ વધુ પડતી ચા-કોફી લેવાથી બ્લડ સુગર ડિસ્ટર્બ થાય છે તેનું ખાસ ધ્યાન રાખવું.
* ઘણી વાર શરીરમાં લોહીની ટકાવારી ઓછી હોય ત્યારે પણ થાક વધુ લાગે છે. કઠોળ, લીલાં શાકભાજી તેમજ ખજૂર, અંજીર લેવાથી શરીરમાં આયર્ન વધતું હોય છે, પરંતુ શરીરમાં જો લોહીની ટકાવારી વધુ ઓછી રહેતી હોય તો લોહતત્ત્વ વધારે તેવા ખોરાક સાથે હિમોગ્લોબિનની ગોળીઓનો કોર્સ પણ કરવો જોઈએ.
* તલ, મોળી સીંગ, ફલેક્સ સીડ, સનફ્લાવર સીડ્સ વગેરેમાં મેગ્નેશિયમનું પ્રમાણ વધુ હોય છે. શરીરમાંના સેલ્સને એનર્જી રિલીઝ કરવા માટે મેગ્નેશિયમ મદદરૂપ થાય છે. આ ઉપરાંત આમાં આયર્નનું પ્રમાણ પણ સારું હોય છે, માટે દિવસ દરમ્યાન વચ્ચે વચ્ચે ભૂખ લાગે ત્યારે એકાદ ચમચો તેલીબિયાં લઈ શકાય છે, પરંતુ તેનો ઉપયોગ પ્રમાણસર જ કરવો જોઈએ.
* નાસ્તો એ આખા દિવસની એનર્જી આપતું મોટામાં મોટું માધ્યમ છે. જ્યારે સવારનો નાસ્તો લેવામાં આવતો નથી ત્યારે દિવસ દરમ્યાન કેલરી ઓછી થાય છે અને થાક વધુ લાગે છે. હંમેશાં નાસ્તામાં દૂધ, હળવો કાર્બોહાઇડ્રેટવાળો ખોરાક લેવો જોઈએ. તદુપરાંત દિવસમાં ૨૦૦થી ૩૦૦ મિલિગ્રામ જેટલું વિટામિન 'સી' લેવું જોઈએ. નારંગી, લીંબુ વગેરેનો ઉપયોગ કરવાથી વિટામિન 'સી' મળે છે.
* કેળાંનો શેક એનર્જી બુસ્ટર છે. કેળું શરીરમાં ખાંડનું પ્રમાણ વધારે છે, ઉપરાંત તેમાં ફાઇબર્સ, વિટામિન અને મિનરલ્સ પણ મળે છે. કેળાંની અંદર દૂધ નાંખી કેળાંનો શેક પી શકાય છે અથવા એકલું કેળું પણ લઈ શકાય છે. કેરીમાં પોટેશિયમનું પ્રમાણ સારું એવું હોય છે માટે કેરી લેવાથી પણ એનર્જી લેવલ વધે છે. વધુ પડતી કેરી લેવાથી ઉનાળામાં વજન વધે છે. દિવસ દરમ્યાન ઓછામાં ઓછુ ૮થી ૧૦ ગ્લાસ પાણી પીવાનું ભૂલશો નહીં.
(લેખિકા અમેરિકામાં ડાયટિશ્યન છે.)
angana@anganahospital.com