મીઠાપુર તા.ર૧
જામનગર જિલ્લાના સુરજકરાડી-મીઠાપુર હાઈવેને ફોરટ્રેક બનાવવા માપણીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હાઈવેના મધ્યબિંદુથી ૧પ મીટર રોડ પહોળો થશે તો અનેક કેબીનો દુર કરવી પડે તેમ છે. કેબીનો દુર થશે તો અનેક નાના ધંધાર્થીઓની રોજીરોટીનો પ્રશ્ન ઉભો થાય તેમ છે.
- નાના ધંધાથીઓનો રોજીરોટીનો પ્રશ્ન ઉભો થશે
- સુરજકરાડી-મીઠાપુર હાઈવેને
દ્વારકાથી ઓખા કે સુરજકરાડી સુધીના રસ્તાને ફોરટ્રેક બનાવવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી દ્વારકાથી સુરજકરાડી વચ્ચે માપણી-મોજણીનું કામ ચાલુ છે. મીઠાપુર હાઈવે અને સુરજકરાડી હાઈવે ઉપર બે દિવસથી માપણીનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પીજીવીસીએલના થાંભલા પણ અલગથી ઉભા કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. રોડને મધ્યબિંદુથી ૧પ મીટર પહોળો કરવા માટે જે બાંધકામો, ઈલેકટ્રીક કે ટેલીફોનના થાંભલા તથા અન્ય નડતરરૂપ જે કાંઈપણ હશે તેને દુર કરવુ પડશે. આ હાઈવે રોડ બન્યા બાદ ભીમરાણા ફાટક પાસે ઓવર બ્રિજ પણ બનાવવામાં આવશે. સુરજકરાડી-મીઠાપુર હાઈવેની બંને બાજુ નાના-મોટા ધંધાર્થીઓની અનેક કાચી-પાકી કેબીનો આવેલી છે. ફોરટ્રેક રોડ બનાવવા માટે આ કેબીનો પણ દુર કરવી પડશે. કેબીનો દુર થશે તો અનેક પરિવારોની રોજીરોટીનો પ્રશ્ન ઉભો થશે. આથી કેબીનો દુર કરતા પહેલા તંત્ર દ્વારા કેબીન સંચાલકો માટે વૈકલ્પિક વ્યવસ્થા વિચારવામાં આવે તેવી કેબીન ધારકો દ્વારા માંગણી કરવામાં આવી છે.