સુરત, તા. ૨૨
મંદીના માહોલ સાથે ડોલર ઇફેક્ટથી કાપડ ઉદ્યોગમાં બદલાયેલા સમીકરણોએ ટેકસ્ચ્યુરાઇઝર્સ તથા સ્પિનર્સની મુશ્કેલી વધારી દીધી છે. રો મટિરિયલ્સની વધતી કિંમત સામે યાર્નની કિંમતમાં ઊંચા મથાળે વેચાણ નહીં થતા ટેકસ્ચ્યુરાઇઝર્સના ગોડાઉનમાં યાર્નનો ભરાવો થયો છે. આ તબક્કે પીઓવાય તથા રો મટિરિયલ્સની કિંમતમાં વધારો ચાલુ રહેતા સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં ટેકસ્ચ્યુરાઇઝર્સે ઉત્પાદન કાપનો સહારો લીધો છે. સેલવાસના નાના ટેકસ્ચ્યુરાઇઝર્સે એક સપ્તાહ સુધી યુનિટ બંધ રાખવાનો અભિગમ અપનાવ્યો છે ત્યારે, સુરતના ટેકસ્ચ્યુરાઇઝર્સે પણ સ્વેચ્છાએ યાર્નના ઉત્પાદનમાં ઘટાડાનું આયોજન કર્યુ છે. હાલમાં સુરતમાં ૩૦ ટકા જેટલા ટેકસચ્યુરાઇઝિંગ એકમોમાં યાર્નનું ઉત્પાદન બંધ કરી દેવાયું છે.
- મંદીના માહોલ સાથે ડોલર ઇફેક્ટથી સુરતનાં પણ ૩૦ ટકા એકમો બંધ
- POY અને રો- મટિરિયલ્સની વધતી કિંમતથી હાલત કફોડી
- ઊંચા મથાળે યાર્નની ખપત નહીં થતા ચિંતા વધી
ટેકસ્ચ્યુરાઇઝિંગ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા વર્તુળો મુજબ, ઘણાં અરસાથી ટેકસ્ચ્યુરાઇઝર્સ તથા સ્પિનર્સની હાલત કફોડી બની છે. જેમાં પણ ફિનિશ્ડ ફેબ્રિકસમાં ખરીદી નહિ હોય, બજારમાં ગ્રે ફેબ્રિકસની ખરીદી ઘટી છે, જેને લઇને મુશ્કેલી અનુભવતા વીવર્સે પણ ગ્રે કાપડનું ઉત્પાદન ઘટાડયું છે, જેઓ યાર્નની સાવચેતીપૂર્ણ જરૂરિયાત મુજબની જ ખરીદી કરી રહ્યા છે. વીવર્સ ઊંચા મથાળે યાર્નની ખરીદી કરવાનું ટાળી રહ્યા છે, જેને લઇને બજારમાં યાર્નની ખરીદી અટકી છે. જ્યારે, બીજી તરફ ડોલરના મૂલ્યમાં થઇ રહેલા વધારા બાદ સ્પિનર્સ જૂથોએ પીઓવાય તથા રો મટિરિયલ્સની કિંમતો વધારી દીધી છે. આ સંજોગોમાં ઊંચી કિંમતના પીઓવાયમાંથી યાર્ન બનાવવા માટેનો કન્વર્ઝન ચાર્જ પણ છૂટતો નહિ હોય, ટેકસ્ચ્યુરાઇઝર્સની મુશ્કેલી વધી છે.
અગ્રણી ટેકસ્ચ્યુરાઇઝરના જણાવ્યા પ્રમાણે, એક તરફ યાર્નમાં ખરીદી મંદ હોય, ટેકસ્ચ્યુરાઇઝર્સના ગોડાઉનમાં યાર્નનો ભરાવો થયો છે. બીજી તરફ પીઓવાયની કિંમતો વધી રહી છે. આ સંજોગોમાં નવું ઉત્પાદન લઇને મુશ્કેલી વધારવાના સ્થાને ઉત્પાદન પર કાપ મૂકવાનો અભિગમ અપનાવ્યો છે. પીઓવાયમાંથી યાર્ન બનાવતા સેલવાસના નાના ટેકસ્ચ્યુરાઇઝર્સે તો સપ્તાહ સુધી યુનિટ બંધ રાખવાનો અભિગમ અપનાવ્યો છે. જે મુજબ, સુરતના ટેકસ્ચ્યુરાઇઝર્સે સામૂહિક ધોરણે ઉત્પાદન કાપનો નિર્ણય લીધો નથી પરંતુ, ટેકસ્ચ્યુરાઇઝર્સ તેમની અનુકૂળતા અનુસાર ઉત્પાદનકાપ પાળી રહ્યા છે. ઘણાં ટેકસ્ચ્યુરાઇઝર્સ એક પાળીમાં યુનિટ ચલાવે છે અથવા સપ્તાહમાં બે દિવસ બંધ રાખી રહ્યા છે. હાલના સંજોગોમાં સુરતના ૩૦ ટકા જેટલા ટેકસ્ચ્યુરાઇઝિંગ એકમો બંધ છે. જેઓ ઊંચા મથાળાનું પીઓવાય ખરીદીને યાર્ન બનાવવાના સ્થાને જમા થયેલો યાર્નનો સ્ટોક ક્લિયર કરવાનો અભિગમ અપનાવી રહ્યા છે.
યાર્ન બજાર સાથે સંકળાયેલાઓ પ્રમાણે, હાલની પરિસ્થિતિમાં માત્ર ટેકસ્ચ્યુરાઇઝર્સ જ નહિ સ્પિનર્સ જૂથો પણ સાવચેતી રાખી આગળ વધી રહ્યા છે. ઘણાં સેકન્ડ્ લાઇન સ્પિનર્સ જૂથોએ પણ તેમના યુનિટ મેઇન્ટેનન્સમાં મૂકી કેટલેક અંશે ઉત્પાદન ઘટાડયું છે. જો કે, સાવચેતીના આ તમામ પગલાં વચ્ચે પણ રૂપિયાના ચાલુ રહેલા અવમૂલ્યને ઉદ્યોગકારોની ચિંતા વધારી છે. ઉદ્યોગકારો હાલમાં તો, રૂપિયો ફરી મજબૂતાઇ હાંસલ કરે અને પીઓવાય- રો મટિરિયલ્સની આયાત સસ્તી થાય તેની આશા રાખી રહ્યા છે.