આરાધના - ઘનશ્યામ ગોસ્વામી
પ્રેમાધિન ભક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે મીરાં. મીરાંબાઈ એ ભારતીય સંસ્કૃતિનું ગૌરવંતું નામ છે. ભારતનું અણમોલ નારીરત્ન છે.
મીરાંએ કોઈ આકરી સાધના, જપ, તપ નહોતાં કર્યાં. તેમણે માત્ર કૃષ્ણ ભગવાનના ચરણમાં સાચા હૃદયનો સ્નેહ સર્મિપત કર્યો હતો અને તેઓ શ્રીકૃષ્ણના ચરણમાં ચિરસ્થાયી સ્થાન પામી ગયાં.
બે નારીઓ એક રાધા અને બીજાં મીરાંબાઈ. એ બંને કૃષ્ણને પામી શકી, એની હૃદયેશ્વરી બની શકી, કૃષ્ણમાં જ વિલીન થઈ શકી. રાધા માટે તો કૃષ્ણ સહજ હતા, એ કિશોરી તો કૃષ્ણની પ્રાણવલ્લભા હતી, કૃષ્ણને એણે પોતાના લોહીમાં વહેતા કર્યા હતા. મીરાં પણ એમ કરી શકી. બંને પાસે કૃષ્ણભક્તિ તો હતી જ. રાધા પાસે સાક્ષાત્ સાકાર સ્વરૂપે કૃષ્ણ ભગવાન હતા અને મીરાં પાસે માત્ર ભાવના અને કૃષ્ણને મેળવવાની ઝંખના હતી, પરંતુ છતાંય તે કૃષ્ણને પામી શકી, કારણ કે તેની ભક્તિ પણ અખંડ અને અવિચળ હતી.
મીરાંના જન્મ અંગે, સમય અને કાળ અંગે ભિન્ન ભિન્ન મત પ્રવર્તે છે. સંશોધકો અને ઇતિહાસ લેખકો એ વિષે એકમત નથી, પરંતુ એક ધારણા પ્રમાણે મીરાંનો જન્મ ઈ.સ. ૧૫૦૪માં મેડતા પરગણાના ચોકારી ગામે થયો હતો. કોઈ ઇતિહાસકાર મીરાંનો જન્મ સંવત ૧૫૬૦માં બતાવે છે અને જન્મસ્થળ કુડકી ગામ બતાવે છે. પિતાનું નામ રત્નસિંહ હતું. મીરાંનો ઉછેર રાવ દુદાજીની આંખ નીચે થયો હતો. મીરાં ઉપર દાદાને અપાર સ્નેહ હતો. રાવ દુદાજીએ મીરાંના શિક્ષણની જવાબદારી પ્રસિદ્ધ ભક્ત અને કવિ જયમલજીને સોંપી હતી. જેના ગુરુ કવિ, પ્રભુના પરમ ભક્ત હોય તેવા શિક્ષક જેને મળે તેનું શિક્ષણ કેવું હોય તે મીરાંના વ્યક્તિત્વે ચરિતાર્થ કરી બતાવ્યું છે.
મીરાંના કૃષ્ણપ્રેમની ચિનગારીને કૃષ્ણભક્ત જયમલજીએ આગમાં ફેરવી નાખી. બાર વરસની વય થતાં તો મીરાં કૃષ્ણમય બની ગયાં. બાર વરસની નાની વયે મીરાંએ કૃષ્ણભક્તિનાં પદો રચવાનાં શરૂ કરી દીધાં હતાં. આ કાવ્યભક્તિનાં પદો જ જાણે તેમના માટે ઇષ્ટમંત્ર બની ગયાં અને પદોને રચતાં રચતાં અને ગાતાં ગાતાં મીરાં એક દિવસ સાકાર સ્વરૂપે કૃષ્ણને પામી ગયાં. મીરાં તો નાનપણથી જ કૃષ્ણને વરી ચૂક્યાં હતાં. મીરાંને કૃષ્ણપ્રેમ પાસે બધા જ સાંસારિક સંબંધો ફિક્કા લાગતા હતા. 'મેરે તો ગિરધર ગોપાલ, દૂસરો ન કોઈ' આ શબ્દો તેમણે માત્ર કંઠસ્થ નહીં, પણ હ્ય્દસ્થ કરી લીધા હતા. ગિરધર સિવાય મારું કોઈ નથી અને હું કોઈની નથી આ ભાવને લૌકિક જગત સમજી શકે તેમ ન હતું. મીરાંની આ પ્રેમાધિન ભક્તિને પણ લોકો ગાંડપણ અને દીવાનગીનું જ નામ આપતા, પરંતુ મીરાંને તેના આરાધ્ય પર પૂરી શ્રદ્ધા હતી અને તેમની ભક્તિ પર વિશ્વાસ હતો. આ જ મક્કમ નિર્ધાર અને ઇષ્ટમાં સંપૂર્ણ શ્રદ્ધાએ મીરાંનું મિલન મોહન સાથે કરાવ્યું ઈ.સ. ૧૫૧૬માં બાર વરસની નાની વયે મીરાંનાં લગ્ન સિસોદિયા વંશ ચિત્તોડગઢના રાજકુમાર ભોજરાજા સાથે થયાં. મીરાં ચિત્તોડ આવ્યાં, પણ તેમનું મન તો કૃષ્ણને સર્મિપત થઈ ચૂક્યું હતું. તે સમયે કુળવધૂને અનેક સામાજિક મર્યાદા હતી, અનેક બંધનો હતાં, પણ મીરાંએ આ બધું જ ફગાવી દીધું. મીરાં તો સાધુ-સંતોને મળતાં અને તેમની સાથે ભગવત ચર્ચા કરવામાં વ્યસ્ત રહેવા લાગ્યાં. મીરાં ચિત્તોડ આવીને પણ ભજન કરવા લાગ્યાં. સત્સંગમાં જ બધો સમય પસાર કરતાં. ભોજરાજાએ ચિત્તોડમાં મીરાં માટે સુંદર કૃષ્ણ ભગવાનનું મંદિર પણ બંધાવી આપ્યું હતું, પરંતુ ભોજરાજાના અવસાન પછી તેમના જીવનમાં મુશ્કેલીઓ પણ શરૂ થઈ. તેમનો દિયર મીરાંબાઈનો કટ્ટર વિરોધી હતો. તેમને લાગતું હતું કે મીરાંબાઈની આ દીવાનગીને લીધે સિસોદિયા કુળની લાજ ઝંખવાય છે, તેથી તેમણે મીરાં માટે વિષ ભરેલો કટોરો મોકલ્યો, પણ મીરાં તો ગિરધરનું નામ લઈને તે પણ પચાવી ગયાં. મીરાંબાઈને નજરકેદ રાખવામાં આવ્યાં, પણ મીરાંબાઈના વ્યક્તિત્વને કોઈ બાંધી શકે તેમ ન હતું. તે રાજમહેલને અલવિદા કહીને તીર્થાટન માટે નીકળી ગયાં. વ્રજધામથી મીરાં દ્વારકા આવ્યાં. ભગવાનના દરબારમાં એમણે નૃત્યો આરંભ્યાં. તેઓ દ્વારકા આવ્યાં અને ત્યાં જ અચાનક એક દિવસ ભગવાન દ્વારકાધીશ રણછોડરાયની મુર્તિમાંથી તેજવલય પ્રગટયું અને મીરાંને વીંટાળાઈ વળ્યું. પછી એ તેજનો અંબાર પાછો મુર્તિમાં સમાઈ ગયો. આ રીતે મીરાંની નિરાકાર ભક્તિને સાકાર સ્વરૂપ મળી ગયું અને તે કૃષ્ણતત્ત્વમાં વિલીન થઈ ગયાં.