ખંભાળિયા, તા.૨૪
કેન્દ્ર સરકાર દ્વારા સૌ પ્રથમ વખત કહી શકાય તેટલી ધરખમ રકમનો પેટ્રોલમાં ઝીંકવામાં આવેલ ભાવ વધારાનો સાર્વત્રિક ઉઠેલ વિરોધ વંટોળ સાથે ખંભાળિયાની જનતામાં ભારે કચવાટ સાથે રોષની લાગણી ફેલાઈ છે.
પેટ્રોલમાં ગત મધ્યરાત્રિથી અમલી બનાવવામાં આવેલ રૂપિયા પોણા આઠ પ્રતિ લીટરના ભાવ વધારા અને રૂ.૭૮ સુધી પહોંચી ગયેલી પેટ્રોલની કિંમતની ખુબ જ વિપરીત અસર આમપ્રજા પર થવાની દહેશત સાથે ખંભાળિયાના લોકોમાં ભારે કચવાટ સાથે રોષની લાગણી જન્મી છે.
પેટ્રોલના ભાવમાં વધારો થયા પુર્વે બુધવારે સાંજથી જ પેટ્રોલ પમ્પ ઉપર વાહનોની કતારો લાગી હતી.રાત્રિ સુધીમાં ટાંકી ફુલ કરી ભાવ વધારામાં આંશિક રાહત મેળવી હતી.ઘણાં પેટ્રોલ પમ્પોમાં જથ્થો ખલાસ થઈ ગયો હતો.પેટ્રોલ બાદ ડીઝલ અને ગેસના ભાવમાં વધારો આવવાની દહેશત લોકો વ્યક્ત કરી રહ્યાં છે.તો કેન્દ્ર સરકારે પેટ્રોલમાં ભાવ વધારા કરી લોકો સાથે છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ ભાજપના દિનેશભાઈ દતાણી, દિલીપભાઈ ધધડા, શૈલેશ કણજારીયા વગેરેએ કર્યો છે.