એબીસી ઓફ બ્યૂટી - મરિયમ ઝવેરી
એરોમાથેરેપી એ વનસ્પતિમાંથી મેળવેલા ઇસેન્શ્યલ ઑઇલ્સનો સારવાર માટે ઉપયોગ કરવાની કળા તેમજ વિજ્ઞાન છે. આ ચિકિત્સા વિજ્ઞાન આપણને આ તેલોનો યોગ્ય ઉપયોગ કરવાની વિદ્યા શીખવે છે. 'અરોમા' શબ્દનો અર્થ સુગંધ' અને 'થેરેપી' શબ્દનો અર્થ છે 'રોગમુક્તિ માટેની ચિકિત્સા' આ ઇસેન્શ્યલ ઑઈલ્સની સુવાસ, વિવિધ ઓરોગ્યવર્ધક ગુણો ધરાવતી વનસ્પતિમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે.
ઈસેન્શ્યલ ઑઈલ્સ એ વનસ્પતિનો મૂળભૂત સારરૂપ ભાગ છે. અને તે વનસ્પતિમાં ૦.૧ ટકા જેટલો જ હોય છે. આ ઑઈલ્સ તીવ્ર અસર ધરાવતા અને ઉગ્ર હોય છે તેથી તેમને શરીર પર વાપરતા પહેલાં ખાતરી કરી લો એ શુદ્ધ અને શ્રેષ્ઠ હોય. શ્રેષ્ણ ગુણવત્તા ધરાવતા તેવો જ ધારી અસર કરતા હોય છે.
બીજી એક બાબત યાદ રાખવા જેવી એ છે કે ઈસેન્શ્યલ ઑઈલ્સ અત્યંત તીવ્ર શક્તિ ધરાવતા હોય છે તેથી તેમને કેરિયર ઑઈલ્સમાં મિક્સ કરવા જરૂરી છે. ધારી અસર અને ઉપચાર માટે તેમને યોગ્ય માત્રામાં કેરિયર ઑઈલ્સમાં મિક્સ કરવા જોઈએ.
આજના સમયમાં રાસાયણિક તત્ત્વો ધરાવતી દવાઓની અનેક આડઅસર જોવા મળે છે. આથી લોકો હવે વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિ તરફ વળ્યા છે. 'અરોમાથેરેપી' આવી જ એક ચિકિત્સા પદ્ધતિ છે. આધુનિક વિશ્વમાં આ ચિકિત્સા પદ્ધતિએ લોકોને પ્રાકૃતિક ઉત્પાદનોમાં વિશ્વાસ પાછો આણ્યો છે. આમ કોઈ આડ અસરના ભય વિના 'અરોમાથેરેપી' નો ઉપયોગ થઈ શકે છે. અયોગ્ય રક્ત પરિભ્રમણ આરોગ્યમાં અનેક અવરોધો ઊભા કરે છે. ઇસેન્શ્યલ ઑઈલ્સ શામક ઔષધની ગરજ સારે છે અને રક્તપરિભ્રમણને સુધારીને આરોગ્યમાં સુધારો લાવે છે.
ઈસેન્શ્યલ ઑઈલ્સનો અન્ય એક ઉપયોગ છે. અરોમાથેરેપી 'બાથ' પાણીમાં કુદરતી રીતે જ તાજગી આપવાની શક્તિ છે અને જ્યારે એમાં ઈસેન્શ્યલ ઑઈલ મિક્સ કરવામાં આવે છે ત્યારે તેની આ શક્તિ અનેકગણી વધી જાય છે. આ તેલો જરૂર મુજબ ઠંડા અને ગરમ પાણીમાં વાપરી શકાય છે. ક્રીમ અને લોશનમાં પણ મિક્સ કરીને વાપરી શકાય છે. જે ત્વચાનું આરોગ્ય સુધારે છે. ત્વચાના તેલોને ખૂબ સારી રીતે શોષે છે. માલિશ, સ્નાન અને ક્રીમ વગેરેમાંથી આપણી ત્વચા તૈલી તત્ત્વોને શોષે છે. આમ તેલનું સારભૂત તત્ત્વ આપણી ત્વચા અંદર ખેંચે છે.
બોટલ કે સ્પ્રે દ્વારા તેલ સૂંઘવાથી જ્ઞાનતંતુઓને સીધી અસર થાય છે તેમજ સુગંધ ફેફસાં વાટે રક્તમાં ભળવાથી આખા શરીર પર તેલના ગુણોની અસર થાય છે.
અરોમા ઑઈલ્સનો આરોગ્યની દૃષ્ટિએ અને સૌંદર્યપ્રસાધનની દૃષ્ટિએ જે ઉપયોગ છે તે અદ્વિતીય છે. તે શરીરમાં પ્રવેશીને બહાર નીકળે ત્યાં સુધીમાં શરીરમાં રહેલાં બધા જ હાનિકારક તત્ત્વોનો નાશ કરે છે.
આપણે એક વાત યાદ રાખવી ઘટે કે, દરેક ચિકિત્સા વ્યક્તિગત રીતે દરેકને ભિન્ન-ભિન્ન અસર કરે છે. કોઈ બે વ્યક્તિ સમાન નથી હોતી અને આ વાત આ ઑઈલ્સ અજમાવતી વખતે પણ ધ્યાનમાં લેવી જોઈએ. તેથી આ ઑઈલ્સનો ઉપયોગ કરતાં પહેલાં નિષ્ણાત એરોમાથેરેપીસ્ટનું માગર્દર્શન લેવું જરૂરી છે.